
ગુજરાતમાં ભાજપ સરકાર માટે વર્ષ 2024નું વર્ષ ખુબ જ મજાનું રહ્યું છે. કેમ કે 2024માં ભાજપને ચૂંટણી બોન્ડ દ્વારા 2244 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ પ્રજા માટે 2024 ભારે કષ્ટદાયી બની રહ્યું છે. તો ભાજપ સરકાર પોતાની સિદ્ધીઓને ગણાવવા કરોડો રૂપિયા જાહેરાતમાં ખર્ચી રહી હોવા છતાં 2024માં તેમની સરકારની સત્તા કરવાની અણઆવડતતા કે ગુનાખોરોને છાવરવાના કારણે સિદ્ધિઓની સરખામણીમાં કૌભાંડ-કાંડોનો આંકડો વધી જતાં નામોશી થઈ છે.
આ બાબતે સરકારને ભારે બદનામી વ્હોરવી પડી હોવા છતાં તેના પેટનું પાણી હલ્યું નથી. ખ્યાતિકાંડ, હરણીકાંડ, ટીઆરપી ગેમઝોનકાંડ ઉપરાંત નકલી સીએમઓ,નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકુ, નકલી હોસ્પિટલે સરકારની ભારે નામોશી કરી દીધી હતી. આટલા બધા કાંડ હોવા છતાં સરકાર મુદ્દા ઉપર વાત કરવાની જગ્યાએ ઉંધા રસ્તે જ લઈ જવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપરથી ધ્યાન ભટકાવવા માટે સરકાર જનતાની આંખ ઉપર પાંટા બાંધવા માટે અવનવા ગતકડા કરી રહી છે. તો સરકાર પણ ધૃતરાષ્ટ્રની જેમ પાંટા બાંધીને કામ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે 2024માંં એક નહીં પરંતુ અનેક ભ્રષ્ટાચાર અને કાંડ થયાં હોવા છતાં સરકાર તેને જોવા માંગી રહી નથી. સરકારમાં બેસેલા ધૃતરાષ્ટ્રના આંખે બાંધેલા પાટા કોણ ખોલશે તે પણ પ્રશ્ન છે.
ગુજરાતમાં એક રેપનો હોબાળો પુરો થયો પણ નહોય અને બીજા રેપના સમાચાર સામે આવી જતો હોય છે તો એક કૌભાંડ-કાંડના આરોપીઓને પકડ્યા પણ નહોય અને અન્ય મોટા કૌભાંડ સામે આવી જઇ રહ્યો છે. મહત્વપૂર્ણ બાબાત તે છે કે, આ તમામ કાંડમાં ક્યાંકને ક્યાંક બીજેપીના નેતાઓની સંડોવણી પણ બહાર આવી છે. આ કારણોસર સરકારે આખુય વર્ષ જાણે સામા વહેણે તરવુ પડે તેવી સ્થિતીમાં રહેવું પડ્યું હતું.
ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ચારેકોર ભરમાળ
ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ચારેકોર ભરમારને લીધે ભારતીય જનતા પાર્ટી સામાન્ય જનતાનો વિશ્વાસ ગુમાવી રહી છે. તેથી સરકાર હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ બાબતે નફરતી મુદ્દાઓ થકી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. તો જનતા પણ તેમની વાતોમાં આવી જઈને પોતાના ભવિષ્યની ચિંતા કરવાની જગ્યાએ ડરના માહોલમાં જીવન જીવી રહી છે.
આ સરકારમાં માત્ર મુસ્લિમોને ખરાબ ચિતરવામાં આવીને બહુમતિ ધરાવતા વર્ગને એકમાત્ર એવો મેસેજ આપવામાં આવે છે કે, અમે છીએ તો તમે સુરક્ષિત છો. પરંતુ ખરેખર વર્તમાન સમયમાં રાજ્યની તમામ જનતા બેરોજગારી, ભ્રષ્ટાચાર, મંદી સહિતની સમસ્યાઓથી ભયકર રીતે હેરાન-પરેશાન થઈ રહી છે. ખ્યાતિકાંડ, આયુષ્યમાનકાર્ડ કૌભાંડ, ગેમઝોન અગ્નિકાંડ સહિતની ઘટનાઓએ સાબિત કર્યું કે સરકારની વહીવટી તંત્ર પર પકડ નથી.
વર્ષ 2024 વિદાય લઇ રહ્યું છે પણ આ વર્ષ ભાજપ સરકાર માટે રાજકીય દ્રષ્ટિએ કઠીન રહ્યું હતું કેમકે, ગુજરાતમાં એક પછી એક એવી ઘટનાઓ બની કે, સરકારને નીચાજોણુ કરવું પડ્યું હતું જેમકે, સ્થાનિક તંત્રની ઘોર નિષ્ફળતાને લીધે સુરતમાં તક્ષશિલાકાંડ સર્જાયો હતો. જેમાં નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતાં. આ પાછળ પણ સ્થાનિક અધિકારીઓ અને નેતાઓનો ક્યાંકને ક્યાંક હાથ જોવા મળી રહ્યો હતો. પૈસા આપો તો વર્તમાન સરકારમાં બધુ જ શક્ય હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
તો અન્ય એક ઘટનામાં વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાળજીને લીધે હરણી તળાવમાં માસુમ ભૂલકાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાઓની શાહી સૂકાઇ ન હતી ત્યાં રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આનંદ માણવા ગયેલાં લોકોની મરણચીસો ગુજરાતભરમાં ગુંજી હતી. તે પછી રાજકોટ અન્ય એક ઘટનામાં હોસ્ટેલમાં ભાજપના નેતાઓએ યુવતીઓને શિકાર બનાવતાં આખોય મામલો ચગ્યો હતો.
ખ્યાતિકાંડ થઇ ગયો પરંતુ સરકારી તંત્ર નિંદ્રામાં રહ્યું
ખ્યાતિકાંડે તો ભગવાન સમાન ડોક્ટરો નાણાં કમાવવા માટે કેટલી હદે જઇ શકે તે વાત ઉઘાડી પડી હતી સાથે સાથે આરોગ્ય વિભાગ પણ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું. તેનો ખુલાસો થયો હતો. આ કાંડમાં કેટલાંય નિર્દોષ દર્દીઓએ જાન ગુમાવ્યા હતાં. આ દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગમાં એવું પોલંપોલ બહાર આવ્યું કે, મજૂરીના બહાને યુવકોને લાવીને બારોબાર નસબંધી કરી દેવામાં આવી હતી.આ કાંડને પગલે પણ સરકારની ઘણી બદનામી થઇ અને થવી પણ જોઈએ. કેમ કે જવાબદારો જવાબદારી ઉઠાવે નહીં તો બદનામી થાય તે સ્વભાવિક છે. વાત અહીં પૂરી થઈ રહી નથી, સુરતમાંથી બોગસ ડીગ્રીકાંડ બહાર આવ્યુ હતું.
ભાજપ સરકારમાં નકલીની બોલબાલા
બોગસ ડીગ્રી આધારે સારવાર કરી લેભાગુ ડોક્ટરોએ લોકોના જીવ સાથે ચેડાં કર્યા હતાં. આ ઘટનાઓ વચ્ચે પાટીદાર નેતાના પુત્રની સંડોવણી સાથે બામણબોર-વાંકાનેર હાઇવે પરથી નકલી ટોલનાકુ પકડાયુ હતું. ગાંધીનગરમાંથી નકલી કોર્ટ સાથે નકલી જજ પકડાયો હતો. દાહોદમાં તો નકલી સરકારી કચેરીને ખુદ સરકારે જ લાખો-કરોડો રૂપિયા ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી. નકલીની બોલબાલા વચ્ચે ગોંડલ સ્ટેટના નકલી રાજા પણ પકડાયાં હતાં. આ અરસામાં નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી ઇડી ઓફિસર, નકલી સીબીઆઇ,નકલી એનઆઇએ અધિકારી અને નકલી આર્મીમેન પણ પકડાયાં હતાં.
ગુજરાતમાં ચીજ-વસ્તુઓ પણ નકલી
ગુજરાતમાં પૈસા ખર્ચીને પણ જનતાને શુદ્ધ ખાદ્યપદાર્થ મળી શકતા નથી. આજે ઘી, પનીર, દૂધ, દવા પણ નકલી મળી રહી છે. ખાદ્યપદાર્થ તો ઠીક પણ હવે તો ગુજરાતમાંથી નકલી સિમેન્ટ પણ પકડાઇ છે. આમ, અસલી ગુજરાતમાં નકલી મોડેલે તો સરકારની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી દીધી હતી. આ કાંડોએ તો સરકારની વહીવટી તંત્ર પર કોઇ પક્કડ નથી.એટલુ જ નહી, આ ઘટનાઓએ ગુજરાતમાં જાણે ધૃતરાષ્ટ્રનું રાજ હોય તેવો લોકોને અહેસાસ કરાવી દીધો છે.
એક પછી એક કૌભાંડ-કાંડ બહાર આવ્યા પછીય સરકારે કોઇ ધડો લીધો નહી. કોઇ નક્કર પગલાં લીધાં નહી જેથી આજેય ભાજપ સરકાર કઠેડામાં ઉભી હોય તેવી સ્થિતિમાં છે. ટૂંકમાં, ભૂપેન્દ્ર પટેલની સરકારને વર્ષ 2024 ફળ્યુ નથી તેમ કહેવામાં કશું ખોટુ નથી. હવે નવા વર્ષ 2025માં સરકાર કેવી કામગીરી કરે છે તેના પર ગુજરાતીઓની નજર છે.
ગુજરાતમાં મહિલાઓ અસલામત : વડોદરા-દાહોદ-ઝઘડિયામાં રેપકાંડ
વડોદરામાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ જેમાં ભાજપના એક કાર્યકરની સંડોવણી બહાર આવી હતી. જ્યારે દાહોદમાં આરએસએસ સાથે સંકળાયેલાં આચાર્યએ વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલાં કર્યા હતાં. ઝઘડિયામાં નિર્ભયાકાંડ થયો હતો. આ બધીય ઘટનાઓએ ગુજરાતમાં દિકરી-મહિલા સલામત નથી તે વાતને પ્રસ્થાપિત કરી દીધી હતી. આ ઘટનાઓએ ગુજરાતમાં કાયદા વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા હતાં.
વિદેશમાં રજા માણી શિક્ષકોએ પગાર મેળવ્યો પણ સરકાર-શિક્ષણ વિભાગને ગંધ સુદ્ધાં આવી નહી
ગુજરાતમાં સરકારી શાળામાં ફરજ બજવતા શિક્ષકો પર ગાંધીનગર સ્થિત વિધા સમિક્ષા કેન્દ્ર પરથી ઓનલાઇન નજર રાખવામાં આવે છે. લાખોના ખર્ચે નિર્માણ થયેલાં લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ વિદ્યા સમિક્ષા કેન્દ્ર હોવા છતાંયે કેટલાંય શિક્ષકો ગુલ્લી મારવામાં સફળ રહ્યા હતાં. મોટાભાગના શિક્ષકો બારોબાર વિદેશના પ્રવાસે ઉપડ્યા હતાં. વિદેશમાં મજા માણતા રહ્યાંને પગાર મેળવતાં રહ્યાં હતો. તેમ છતાંય સરકાર અને શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢતુ રહ્યું હતું. આ વિવાદને લીધે સરકારને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
હાઇકોર્ટમાં સરકારની એફિડેવિટનો પણ અસ્વીકાર
ગુજરાતમાં ઘણાં એવા કિસ્સા બન્યાં છે જેમાં હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. ટ્રાફિકથી માંડીને રસ્તા પર રખડતા પશુઓનો મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જોકે, જમીનની બાબત હોય કે પછી અન્ય કોઇ મુદ્દો હોય. સરકારે જે એફિડેવિટ ફાઇલ કરી છે તે પૈકી કેટલાંય કિસ્સામાં અસ્વિકાર કરાયો છે. જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
ભાજપે પોતાની પાર્ટીના સભ્ય બનાવવા માટે પણ કર્યો સરકારી તંત્રનો ઉપયોગ
પ્રજાના કામો જ થતા નથી. એટલું જ નહીં, આમજનતા મોઘવારીની માર વચ્ચે પિસાઇ રહી છે. અનેક સમસ્યાઓથી પિડીત પ્રજા સરકારથી ભારોભાર ખફા છે પરિણામે ભાજપ સદસ્યતા અભિયાનને નબળો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યુ છે. કીલ, ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સ. વેપારી, રમતવીરો, કલાકારો તો ઠીક, આંગણવાડીની બહેનો,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, કિન્નરો, નિરાશ્રિતો,અનાથ બાળકો-મહિલા, વિધવા,ત્યકતાને પણ ભાજપના સભ્ય બનાવી દેવાયાં હતાં. સભ્ય બનાવવા જે અવનવી રીત અપવાનાઇ તે ટીકાપાત્ર બની રહી હતી.
BZ ગ્રુપે જનતાનું 6000 કરોડ રૂપિયાનું કરી નાંખ્યું
ગુજરાતમાં રોકાણ સામે મોટુ રિટર્ન આપવાની લાલચ આપી 6000 કરોડનું કૌભાંડ (Scam) બીજેડ ગ્રુપ દ્વારા આચરવામાં આવ્યું છે. ગુજરાતની જનતાને વધારે નફો કમાવી આપવાની લાલચ બતાવીને ભાજપના સભ્ય એવા ભુપેન્દ્રસિંહએ જનતા પાસેથી 6000 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યુ છે. ભાજપના મોટા નેતાઓ સાથેના ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા સોશ્યલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
રાજયના રોકાણકારો સાથે છેતરપીંડી અને ઠગાઇ કરવાના ઇરાદે એક સુવ્યવસ્થિત કૌભાંડ આચરી ગુજરાત તથા રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં ઓફિસ/બ્રાન્ચો ખોલી રાષ્ટ્રિયકૃત બેન્કો તેમજ અન્ય નાણાકિય સંસ્થા કરતા વધુ ઉંચા વળતરની જાહેરાતો આપી રોકાણકારોને પ્રલોભન આપી બીજેડ ગ્રુપની અલગ અલગ શાખાઓ મારફતે આશરે રૂપિયા 6000 કરોડ રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે નાણા ઉધરાવી લીધા હતા. આ આરોપીને પોલીસ હજું સુધી પકડી શકી નથી. ખરેખર તો હર્ષ સંઘવીએ આવા આરોપીઓને 24 કલાકમાં પકડવાની તાકિદ કરવી જોઈએ. ભલે સુરજ ઉભે ત્યાર સુધી ન પકડાય પરંતુ એક અઠવાડિયે તો પકડાવો જોઈએ. નહીં તો ભૂપેન્દ્ર જેવા ઠગોને ગુનાહિત પ્રવૃત્તિ કરવાનું પ્રોત્સાહન મળશે અને ગુજરાતની જનતા ઠગાતી રહેશે.
ભાજપ સરકારનું બીજી નામ ભ્રષ્ટાચાર રાખી દઈએ તો પણ વાંધો આવશે નહીં. કેમ કે તેમની સરકારમાં ભ્રષ્ટાચાર અને કાંડ સિવાય બીજું કઈ થઈ જ રહ્યું નથી. મોટા-મોટા કાંડ ગણવા બેસીએ તો પણ આંગળીની પેઢીએ ગણી શકાશે નહીં. પરંતુ અમે તમને નીચે લિસ્ટ આપી જ દઈએ છીએ…
ખ્યાતિકાંડ, આયુષ્યમાન કાર્ડ કાંડ, હરણીકાંડ, ટીઆરપી ગેમઝોન કાંડ, બોગસ ડીગ્રી કાંડ, આટકોટ છાત્રાલય રેપકાંડ, અમરેલી-વિરમગામ અંધાપાકાંડ, બીઝેડ પોન્ઝીકાંડ, દાહોદ-ઝઘડિયા રેપકાંડ, નસબંધીકાંડ, સિરપકાંડ-નડિયાદ, વલસાડ જમીન કૌભાંડ, દાહોદ ખેતી જમીન કૌભાંડ, નકલી જજ-કોર્ટ કાંડ, ગેરહાજર શિક્ષકોનું કાંડ, સહકારી સંસ્થામાં મેન્ડેટ વિવા, એમ્બ્યુલન્સ-રોડના અભાવે પ્રસુતાને અસુવિધા, ગુજરાતમાં નકલીની બોલબાલા, નકલી શાળા, નકલી સરકારી કચેરી, નકલી હોસ્પિટલ, નકલી કોર્ટ-આર્બિટ્રેટર, નકલી સીબીઆઇ, નકલી સીએમઓ-અધિકારી, નકલી ઇડી અધિકારી, નકલી આઇએએસ, નકલી એનઆઇએ અધિકારી, નકલી સચિવાલય અધિકારી, નકલી કલેક્ટર, નકલી આર્મી કેપ્ટન, નકલી ખેડૂત
હવે ગુજરાતની જનતાને જાગૃત થઈને વિકાસના મુદ્દા ઉપર ચર્ચા કરવી પડશે. નહીં તો સરકારની છત્રછાયામાં કૌભાંડ અને કાંડ થતાં જ રહેશે. જો જનતા પોતાના મુદ્દાઓને લઈને વાત કરશે નહીં તો અંતે આંદોલન કરતી રહેશે પરંતુ તેમણે કોઈ જવાબ મળશે નહીં. રાજ્યની જનતા ગુલામી ભણી વધી રહી છે. તેથી સ્વતંત્ર ભારતમાં ગુલામ થઈને રહેવા કરતાં અવાજ ઉઠાવવો જ યોગ્ય રહેશે.