
- સુરક્ષા તમારી દંડ અમારો; ખિસ્સુ બચાવવા માટે ખરીદો હેલ્મેટ
રાજ્યમાં પાછલા કેટલાક સમયથી અકસ્માતના આંકડો વધી ગયો છે. તો આ અકસ્માતમાં મરનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. તેવામાં અકસ્માતમાં મરનારાઓની સંખ્યા ઘટાડવા માટે રાજ્ય સરકારે કામગીરી હાથ ધરી છે. તેથી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ અંગે એક પરિપત્ર બહાર પાડીને ટ્રાફિકના નિયમો અને હેલ્મેટ જેવી સુરક્ષા બાબતોને વધારે ચૂસ્ત કરવાની વાત કહી છે.
ગૃહ વિભાગે ટૂ-વ્હીલ પર ચાલતા ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાની ક્વાયત હાથ ધરી છે. શહેરી વિસ્તારોમાં સહિત હાઇવે પર હેલ્મેટ માટે કડક અમલીકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે. ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ તથા સીસીટીવીના માધ્યમનો ઉપયોગ કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે. નવા પરિપત્ર પછી હવે હેલ્મેટ પહેર્યા વગર બાઈક લઈને જતા હોવ તે સમયે રસ્તામાં પોલીસ મળી જાય તો ખિસ્સુ તો ખાલી થવાનું જ છે પરંતુ જો વધારે ખરાબ નશીબ હોય ને અકસ્માત થાય તો માથું પણ બાકાત રહેશે નહીં.
પરિપત્રમાં અકસ્માતોને ગંભીરતાથી લેતા જણાવતા કહ્યુ છે કે, આજના સમયમાં માર્ગ સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. હેલ્મેટ પહેરવું એ એક સરળ અને અત્યંત અસરકારક પગલું છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. જનતા જાણે જ છે કે હેલ્મેટ ન પહેરવું કોઈ દિવસ ખતરનાક સાબિત થઈ શકે છે, જેવી રીતે બધા લોકોને ખ્યાલ જ છે કે તમાકું-ગુટખા, સિગરેટ પીવાથી કેન્સર જેવો જીવલેણ રોગ થાય છે.
તમે તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરશો નહીં તો દંડ લેવા માટે તો પોલીસ તૈયાર જ બેસી છે. આ માટે પરિપત્રમાં સ્પષ્ટ રીતે નિર્દેશ આપ્યા છે. પરિપત્રમાં કેવી રીતે દંડ ફટકારવા તેનો પણ સારી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી તમારી સુરક્ષાનો મુદ્દો તો મહત્વપૂર્ણ છે અને સરકાર તે મુદ્દાને જ તમારી આગળ ધરીને તમારી પાસેથી દંડ વસૂલી લેશે અને તમે કંઈ કહી પણ શકશો નહીં અને કરી પણ શકશો નહીં.
પરિપત્રમાં સીસીટીવી કેમેરા, સ્પીડગન, ઈન્ટરસેપ્ટર વાન , પીઓસી મશીન સહિતના માધ્યમથી દંડ ફટકારવાની પણ વાત કરવામાં આવી છે. જોકે, તેમની ભાષા થોડી અલગ હોય છે. જે તમે નીચે વાંચી શકશો. હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવામાં આળસ કરશો તો કોઈ દિવસ અકસ્માત થયો તો રામ રમી જઇ શકે છે, તેમાં શંકાને સ્થાન નથી. તો અકસ્માત થશે નહીં તો પણ તમારા ખિસ્સા ઉપર દંડરૂપી દંડો તો પડવાનો જ છે. તેથી પોતાની જાતની રક્ષા પણ થાય અને ખોટા પૈસાનું વેડફાડ ન થાય તે માટે સુરક્ષા માટે સાધન-સામગ્રીની ખરીદી કરી લેવી સારી…
પરિપત્રમાં જણાવ્યું છે કે, ”મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.
પોલીસને શું સુચનાઓ આપવામાં આવી ?
(1 ) ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ટુલ્સનો ઉપયોગ વધારવો અને તેનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ઇ-ચલણ ઇસ્યુ કરવાની પ્રક્રિયા સઘન બનાવવા માટે શહેર/જીલ્લાઓ ખાતે આધુનિક સાધનોનો ઉપયોગ (a) CCTV કેમેરા (B) સ્પીડગન (c) ઇન્ટરસેપ્ટર વાન (d) ચાર શહેરો ખાતે POS મશીન (e) VOC એપ. વિગેરેના માધ્યમથી ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ માટે કામગીરી વધુ સઘન બનાવવી.
(2) દ્વિ-ચક્રીય વાહનનો ઉપયોગ કરનાર તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં તેમજ જાહેર જનતામાં “Helmet Rule” નું કડક અમલીકરણ થાય તે માટે ટ્રાફિક પોલીસ ડીપ્લોયમેન્ટ કરી અસરકારક અમલવારી કરાવવા શહેર/જીલ્લાના વડાશ્રી મારફત જરૂરી આયોજન સુનિશ્ચિત કરવું. હેલ્મેટના અમલવારી અંગે કરેલ કામગીરીની આંકડાકીય વિગતો નમુના પત્રક મુજબ દર સોમવારે સવારના કલાકઃ ૦8.૦૦ વાગ્યા સુધીમાં એસ.ટી.બી. કચેરીના ઇ-મેઇલ ઉપર મોકલી આપવી”
ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં રાજ્યમાં પ્રતિદિવસ માર્ગ અકસ્માતના સમાચાર વાંચવા મળે છે. આ અકસ્માતોમાં આશાસ્પદ યુવકોના મોત થાય છે. આ અકસ્માતો સર્જાવા પાછળ અનેક કારણ ખરાબ રોડ-રસ્તા, ખોટી જગ્યાએ મૂકેલા સ્પીડ બ્રેકર અને ગફલતભર્યું ડ્રાઈવિંગ પણ છે. તો બીજી તરફ અકસ્માત સર્જાયા પછી હેલ્મેટ કે સીટ બેલ્ટ જીવ બચાવી શકે છે.
પરંતુ મહત્વપૂર્ણ પ્રશ્ન તે છે કે, રાજ્યમાં સર્જાઈ રહેલા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે સરકારે પગલા ભરવા જોઈએ. અકસ્માતોની સંખ્યા કેવી રીતે ઘટાડવી તે એક યક્ષ પ્રશ્ન સરકાર સામે છે. હેલ્મેટ અને સીટ બેલ્ટથી જીવ બચી શકે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ આ નિયમોની કડક અમલવારી માત્ર સરકાર માટે દૂજણી ગાય સમાન રહે છે. સુરક્ષાના નામે વર્ષે દહાડે સરકાર સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવી લે છે.
ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી પણ સ્વીકારી ચૂક્યા છે કે, રોડ-રસ્તા બનાવવામાં એન્જિનિયરોની ભૂલોના કારણે અકસ્માતોમાં વધારો થયો છે. તો રોડ ઉપર મૂકવામાં આવતા સાઈન બોર્ડ પણ ભૂલ ભરેલા હોવાના કારણે ઘણી વખત અકસ્માત સર્જાય છે. તો રોડ-રસ્તા વચ્ચે બગડેલી ગાડીઓ સૌથી વધારે અકસ્માત સર્જવામાં કારણભૂત બને છે. રાત દરમિયાન સામેથી આવતી ગાડીની લાઈટો વાહન ચાલકની આંખોમાં પડે છે, તેથી રોડની સાઈડમાં ઉભેલું વાહન ગાડી વાહકને દેખાતું નથી અને તેમાં ધડાકાભેડ ગાડી અથડાઈ જતી હોય છે.
આ તમામ મુશ્કેલીઓને દૂર કરવામાં આવે તો અકસ્માતના આંકડાઓમાં ઘટાડો લાવી શકાય છે. માત્ર દંડ ઉઘરાવવાથી અકસ્માતના આંકડાઓ ઓછા થશે નહીં.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ પરિપત્રમાં અકસ્માતમાં કેટલાક ડેટા પણ આપ્યા છે. રાજયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે વર્ષ 2023માં કુલ 7,854 તથા વર્ષ 2024માં કુલ 7,542 લોકો મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતોમાં 35% લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા.
તે ઉપરાંત તેમને પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, કુલ જીવ ગુમાવનારમાંથી 25% જેટલા વ્યકિતઓ 26 વર્ષની નીચેની ઉંમરના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સહિતના યુવકો હોય છે.
આ પણ વાંચો- UP Accident: હોળીની ઉજવણી કરે તે પહેલા જ 5 લોકોના મોત, વતને જતાં નડ્યો અકસ્માત,