
CJI Surya Kant cockroach Statement: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CGI) જસ્ટિસ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના દ્વારા કરાયેલી કેટલીક તીખી મૌખિક ટિપ્પણીઓ અંગે શનિવારે એક સત્તાવાર સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. કાનૂની ક્ષેત્રના અગ્રણી પોર્ટલ્સ ‘લાઈવ લો’ અને ‘બાર એન્ડ બેન્ચ’ ના અહેવાલો અનુસાર, મુખ્ય ન્યાયાધીશે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મીડિયાના એક ચોક્કસ વર્ગે અદાલતની અંદર થયેલી વાતોને સંપૂર્ણપણે ખોટી રીતે અને સંદર્ભ બહાર રજૂ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે મીડિયાએ એવું ચિત્ર ઊભું કર્યું જાણે તેમણે દેશના સમગ્ર યુવાધન અને રોજગાર વિહોણા નાગરિકોની આલોચના કરી હોય. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે વિરોધ અને વિવાદ ફાટી નીકળ્યા બાદ ચીફ જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે તેમનો ઈશારો દેશના યુવાનો તરફ નહીં, પરંતુ માત્ર એવા લોકો તરફ હતો જેમણે નકલી કે બનાવટી ડિગ્રીઓના સહારે વકાલાત જેવા પવિત્ર વ્યવસાયમાં ઘૂસણખોરી કરી છે.
બનાવટી ડિગ્રીધારકોને કહ્યા પરજીવી, યુવાનોને ગણાવ્યા વિકસિત ભારતના મજબૂત સ્તંભ
મુખ્ય ન્યાયાધીશે પોતાની ટિપ્પણીનો અસલી સંદર્ભ સમજાવતા પત્રકારોને કહ્યું કે, “મને એ જોઈને અત્યંત ઊંડું દુઃખ થયું છે કે મીડિયાના એક વર્ગે શુક્રવારે એક નિરર્થક કેસની સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મારી મૌખિક ટિપ્પણીઓની ખોટી વ્યાખ્યા કરી છે. મેં વિશેષ રૂપે અને કડક શબ્દોમાં માત્ર એવા અસામાજિક તત્વોની ટીકા કરી હતી જેમણે નકલી અને બનાવટી શૈક્ષણિક ડિગ્રીઓની મદદથી બાર (કાનૂની વ્યવસાય) જેવા જવાબદાર ક્ષેત્રોમાં પ્રવેશ મેળવી લીધો છે. આવા જ નકલી લોકો આજે મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય સન્માનિત વ્યવસાયોમાં પણ ઘૂસી ગયા છે અને તેથી તેઓ આખી વ્યવસ્થા માટે પરજીવી (Parasites) સમાન છે.” તેમણે ઉમેર્યું કે તેઓ દેશના માનવ સંસાધન અને યુવાનોની ક્ષમતા પર ગર્વ અનુભવે છે અને ભારતીય યુવાનો તેમના માટે પ્રેરણાસ્ત્રોત તેમજ વિકસિત ભારતના ખરા સ્તંભ છે, તેથી તેમની આલોચના કરવાનો દાવો તદ્દન બેબુનિયાદ છે.
દિલ્હી હાઈકોર્ટ અને વકીલ સંજય દુબેની અરજી પર સુનાવણી દરમિયાન ભડક્યો હતો વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત શુક્રવારે થઈ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ વકીલ સંજય દુબેની એક અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીકર્તા વકીલ સંજય દુબેએ આક્ષેપ કર્યો હતો કે દિલ્હી હાઈકોર્ટ સિનિયર વકીલો (Senior Advocates) ના નામાંકનથી સંબંધિત સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા લાગુ કરવામાં બહુ મોટો વિલંબ કરી રહી છે, તેથી હાઈકોર્ટ વિરૂદ્ધ અદાલતી તિરસ્કાર (Contempt of Court) ની કાર્યવાહી શરૂ થવી જોઈએ. જોકે, સુનાવણી દરમિયાન વકીલના આ આક્રમક વલણથી સુપ્રીમ કોર્ટની બેન્ચ ભારે નારાજ થઈ ગઈ હતી. જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ અરજી ફગાવી દેતા કડક શબ્દોમાં કહ્યું કે ‘સિનિયર વકીલ’ નો હોદ્દો અદાલત તરફથી અપાતું સન્માન છે, આ કોઈ બજારૂ ‘સ્ટેટસ સિમ્બોલ’ નથી જેની પાછળ દોડવું જોઈએ.
અદાલતની અંદર વકીલોની ડિગ્રીઓ પર શંકા અને ‘કોકરોચ’ શબ્દનો પ્રયોગ
સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે ન્યાયતંત્ર પર વધી રહેલા અયોગ્ય અને નકામા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બેન્ચે અરજીકર્તા વકીલને પૂછ્યું કે, “સમાજમાં પહેલાથી જ એવા પરજીવીઓ હાજર છે જે આખી લોકશાહી વ્યવસ્થા પર હુમલો કરે છે, શું તમે પણ તેમની સાથે જોડાવા માંગો છો? કેટલાક યુવાનો એવા છે, જેમને વ્યાવસાયિક જીવનમાં કોઈ યોગ્ય રોજગાર નથી મળતો કે તેઓ જગ્યા નથી બનાવી શકતા, જેના કારણે તેઓ કોકરોચની જેમ બધે ફેલાઈ જાય છે. તેમનામાંથી કેટલાક પત્રકાર બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા પર એક્ટિવિસ્ટ બની જાય છે, કેટલાક આરટીઆઈ (RTI) કાર્યકર્તા બની જાય છે અને પછી દરેક બંધારણીય સંસ્થા પર હુમલો શરૂ કરી દે છે.” ચીફ જસ્ટિસે સંજય દુબેને એમ પણ સંભળાવ્યું કે સોશિયલ મીડિયા પર વકીલોની પોસ્ટ્સ જોઈને તેમને તેમની કાયદાની ડિગ્રીઓની પ્રમાણિકતા પર ગંભીર શંકા છે અને તેઓ કોઈ એવા યોગ્ય કેસની રાહ જોઈ રહ્યા છે જેમાં દિલ્હીના અનેક વકીલોની ડિગ્રીઓની તપાસ સીબીઆઈ (CBI) પાસે કરાવી શકાય, કારણ કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) રાજકીય કારણોસર આ કરવામાં નિષ્ફળ રહી છે.
અરજીકર્તા વકીલ સંજય દુબેનો વળતો પ્રહાર: ‘મેરિટને નજરઅંદાજ કરીને અપાયો સિનિયર દરજ્જો’
બીજી તરફ, સર્વોચ્ચ અદાલતમાંથી અરજી પાછી ખેંચવાની ફરજ પડ્યા બાદ, વકીલ સંજય દુબેએ સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં ન્યાયતંત્રની આંતરિક પ્રણાલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે વર્ષ ૨૦૧૪ માં દિલ્હી હાઈકોર્ટમાં સિનિયર દરજ્જો આપવા માટે જે નોટિફિકેશન બહાર પડ્યું હતું, તેની પ્રક્રિયામાં બહુ મોટી ગેરરીતિઓ આચરવામાં આવી હતી. દુબેએ ખુલાસો કર્યો કે આ ગેરરીતિઓથી નારાજ થઈને સુધીર નંદ્રાજોગ જેવી કમિટીના સભ્યએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે આક્ષેપ કર્યો કે સિનિયર વકીલનો દરજ્જો નક્કી કરતી વખતે લાયક અને યોગ્ય ઉમેદવારોની સરેઆમ અવગણના કરવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારના મેરિટ કે સાચી કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના માત્ર વગદાર અને અયોગ્ય લોકોને જ આ સર્વોચ્ચ દરજ્જો આપી દેવામાં આવ્યો હતો, જેના આધારે જ તેમણે ન્યાય માટે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા.
સાંસદ મનોજ ઝાનો મુખ્ય ન્યાયાધીશને પત્ર: ‘નાગરિકો કંઈ લોકશાહીના કીડા-મકોડા નથી’
મુખ્ય ન્યાયાધીશના આ નિવેદન બાદ દેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના રાજ્યસભા સાંસદ પ્રો. મનોજ ઝાએ ચીફ જસ્ટિસના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર એક ખુલ્લો પત્ર શેર કરીને ન્યાયતંત્રની ભાષા પર તીવ્ર ચિંતા વ્યક્ત કરી છે. મનોજ ઝાએ પત્રમાં લખ્યું કે, “તમારી ટિપ્પણીઓમાં વપરાયેલા ‘કોકરોચ’ અને ‘પરજીવી’ જેવા શબ્દોએ દેશના કરોડો નાગરિકોની જેમ મને પણ અંદરથી હચમચાવી દીધો છે. જ્યારે દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દેશના બેરોજગાર યુવાનો, આરટીઆઈ કાર્યકર્તાઓ અને મીડિયા કર્મીઓની સરખામણી કોકરોચ સાથે કરે છે, ત્યારે તે માત્ર વ્યક્તિગત ગુસ્સો નથી રહેતો, પરંતુ તે લોકશાહીની મૂળ આત્મા અને બંધારણીય સંસ્કૃતિને આહત કરે છે. ભારતના બેરોજગાર યુવાનો કે અસંમતિ વ્યક્ત કરનારા નાગરિકો આ લોકશાહીમાં રહેનારા કોઈ કીડા-મકોડા નથી.” તેમણે ઉમેર્યું કે રાજકારણમાં ભાષાનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે ન્યાયતંત્ર પાસેથી ગરિમાની આશા હતી.
ચીફ જસ્ટિસની આ ટિપ્પણી સામે દેશના જાણીતા પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓએ પણ મોરચો ખોલ્યો છે. પ્રખ્યાત આરટીઆઈ એક્ટિવિસ્ટ અંજલિ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “સવાલ પૂછવાનો અધિકાર લોકશાહીની આત્મા છે. સત્તા પાસે જવાબ માંગનારા નાગરિકો વ્યવસ્થા પર હુમલો નથી કરતા પરંતુ તેને મજબૂત કરે છે. મુખ્ય ન્યાયાધીશને આવા શબ્દો શોભા નથી આપતા.” અભિનેતા અતુલ કુલકર્ણીએ પણ કટાક્ષ કરતા લખ્યું કે જો આ ખોટું નિવેદન નથી તો આપણી લોકશાહીની સ્થિતિ અત્યંત દયનીય છે. જ્યારે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આવી સામાન્યીકૃત ટિપ્પણી વર્તમાન સત્તાધારી વ્યવસ્થાની વિચારસરણી સાથે મેળ ખાય છે અને સીએજેઆઈએ આના માટે માફી માંગવી જોઈએ.
દેશની સર્વોચ્ચ અદાલતની ગરિમા અને અભિવ્યક્તિની આઝાદી વચ્ચે ઉભા થયેલા આ ગંભીર વિવાદ પર એક જાગૃત નાગરિક તરીકે કેટલાક પ્રશ્નો ઉઠાવવા અનિવાર્ય બને છે: ૧. ન્યાયતંત્ર ભલે એમ કહે કે આ મૌખિક ટિપ્પણીઓ માત્ર નકલી ડિગ્રીધારકો માટે હતી, પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા સુનાવણી દરમિયાન સત્તાવાર રીતે ‘બેરોજગાર યુવાનો, મીડિયા અને આરટીઆઈ એક્ટિવિસ્ટો’ ના જૂથોનો ઉલ્લેખ કરીને ‘કોકરોચ’ શબ્દ વાપરવો, શું દેશમાં સત્તા સામે અવાજ ઉઠાવનારાઓ અને પ્રશ્ન પૂછનારાઓનું મનોબળ તોડવાનો પ્રયાસ નથી? વકીલ સંજય દુબેએ હાઈકોર્ટમાં સિનિયર વકીલ બનાવવાની પ્રક્રિયામાં જે ભ્રષ્ટાચાર અને ફેવરિટિઝમ (ભાઈ-ભત્રીજાવાદ) નો ગંભીર આક્ષેપ કર્યો છે અને જેના કારણે કમિટીના સભ્યએ રાજીનામું આપ્યું હતું, તેના પર સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસ કરવાના બદલે અરજીકર્તા વકીલના જ વ્યવસાયિક આચરણ અને ડિગ્રી પર સવાલો ઉઠાવીને કેસ ફગાવી દીધો, તે ક્યાંનો ન્યાય છે? શું વ્યવસ્થાની ખામીઓ છુપાવવા માટે અરજીકર્તાને જ ટાર્ગેટ કરાયા? જો ચીફ જસ્ટિસ પોતે સ્વીકારે છે કે દિલ્હીના અનેક વકીલો નકલી ડિગ્રીઓ પર વકાલાત કરી રહ્યા છે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) રાજકીય કે અન્ય કારણોસર તેમની સામે પગલાં નથી લઈ રહી, તો સુપ્રીમ કોર્ટ પોતાની સર્વોચ્ચ બંધારણીય સત્તા (Suo Motu) નો ઉપયોગ કરીને આ કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપવા માટે કોઈ ‘યોગ્ય કેસ’ ની રાહ કેમ જોઈ રહી છે? લાખો પક્ષકારોના ભવિષ્ય સાથે આવી ગંભીર રમત રમવા દેવી કેટલી વ્યાજબી છે?
આ પણ વાંચો:







