
Isudan Gadhvi: દેવભૂમિ દ્વારકાથી લઈને કચ્છ અને આસપાસના વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતો અને પશુપાલકો લાંબા સમયથી આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. પાકને નુકસાન થયા બાદ હવે સૌથી મોટી ચિંતા પશુધનને બચાવવાની બની છે. પીવાના પાણી, પશુઆહાર અને ઘાસચારાની અછતને કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઈશુદાન ગઢવીએ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના વિસ્તારોમાં સિઝનનો ઓછો વરસાદ પડ્યો હોવાનો દાવો કર્યો હતો. હવે ખેડૂતો આગામી વરસાદના રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે, જેથી પાણી ભરાય અને પશુધન માટે સિઝન પસાર કરવી શક્ય બને.
ખેડૂતોની માંગ, તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો
આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા લાંબા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે જ્યાં સુધી દ્વારકા સહિત અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સામે લડત ચાલુ રહેશે.
ઈશુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામની મુલાકાત લીધી હતી. અહીં ઘાસનો ડેપો આવેલો છે. તેમની સાથે પક્ષના પ્રમુખ રામજીભાઈ સહિતની ટીમ પણ હાજર રહી હતી. ઘાસ ડેપોની મુલાકાત દરમિયાન તેમણે પશુપાલકો પાસેથી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી અને સરકાર દ્વારા આપવામાં આવતા ઘાસચારાની વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યા હતા.
પાંચ પશુઓની મર્યાદા અને સાત દિવસે એકવાર ઘાસનો મુદ્દો
ગઢવીના જણાવ્યા પ્રમાણે ઘાસ મેળવવા માટે ખેડૂતનો વારો સાત દિવસે આવે છે અને એક પશુપાલકને વધુમાં વધુ પાંચ પશુઓ માટે જ ઘાસ આપવામાં આવે છે. પાંચથી વધુ પશુ હોય તો વધારાના પશુઓ માટે ઘાસ ન મળતું હોવાનો તેમણે દાવો કર્યો હતો.
તેમણે પરિવહન ખર્ચનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. ધરમપુર અને હર્ષદપુર જેવા વિસ્તારોમાંથી પશુપાલકોને ઘાસ લેવા ડેપો સુધી આવવું પડે છે. આ માટે અંદાજે રૂ.195 ટોલ ચૂકવવો પડે છે અને ત્યારબાદ ઘાસની ગાંસડી લઈ જવા માટે રૂ.500થી રૂ.600 સુધીનું ભાડું ચૂકવવું પડતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક ગાંસડીની કિંમત આશરે રૂ.280 હોવાનું પણ જણાવાયું હતું.
ઘાસની ગુણવત્તા અને મજૂરી વ્યવસ્થા સામે પણ સવાલ
ઈશુદાન ગઢવીએ ઘાસની ગુણવત્તા અંગે પણ ફરિયાદ કરી હતી. કેટલાક સ્થળે મળતું ઘાસ પશુઓ ખાઈ શકે તેવી સ્થિતિમાં ન હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. સાથે જ ડેપો પર ઘાસ ચડાવવા માટે પૂરતી મજૂરીની વ્યવસ્થા ન હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો.
તેમણે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને અપીલ કરી હતી કે અધિકારીઓની ચેમ્બરમાંથી બહાર આવીને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના એક દિવસ ઘાસ ડેપોની મુલાકાત લેવી જોઈએ. તેમના કહેવા પ્રમાણે અધિકારીઓ અને મંત્રીઓને વાસ્તવિક સ્થિતિનો અનુભવ ત્યારે જ થશે જ્યારે તેઓ જાતે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી જોશે.
દેવભૂમિ દ્વારકાના 2.54 લાખ ખેડૂતોનો ઉલ્લેખ
ગઢવીએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે 2.54 લાખ ખેડૂતો છે અને તેમાં મોટી સંખ્યામાં પશુધન ધરાવતા પરિવારો છે. આવી સ્થિતિમાં માત્ર પાંચ પશુઓ પૂરતું ઘાસ આપવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ઘાસના ડેપોની સંખ્યા વધારવા, ગામડે-ગામડે ઘાસ પહોંચાડવા અને પાંચ પશુઓની મર્યાદા દૂર કરવાની માંગ કરી હતી. ગામમાં જ તલાટી અને સરપંચ જેવા સ્થાનિક તંત્રની મદદથી ઘાસ પહોંચાડવામાં આવે તો ખેડૂતોને ટોલ અને ભાડાનો વધારાનો ખર્ચ પણ ન કરવો પડે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
સરકારના વરસાદ આધારિત નિર્ણય સામે વિરોધ
દુષ્કાળ જાહેર કરવા અંગે સરકાર તરફથી જણાવાયું છે કે હજુ વરસાદની સિઝન બાકી છે. મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા પ્રમાણે જો આગામી વરસાદી રાઉન્ડમાં સારો વરસાદ થાય તો હાલ દુષ્કાળ જાહેર કરવાની જરૂર નહીં પડે, પરંતુ સિઝન પૂર્ણ થયા બાદ વરસાદના આંકડા ઓછા રહેશે તો સરકાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને દુષ્કાળ જાહેર કરી જરૂરી સહાય કરશે.
ઈશુદાન ગઢવીએ આ અભિગમ સામે સવાલ ઉઠાવીને કહ્યું હતું કે ખેડૂતોને હાલમાં જ રાહત અને વિશ્વાસની જરૂર છે. તેમણે દાવો કર્યો હતો કે કેટલાક વિસ્તારોમાં આશરે બે ઇંચ જેટલો પણ વરસાદ થયો નથી અને ખેતરોમાં પાક સુકાઈ ગયો છે.
સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ
ગઢવીએ સરકારને ખેડૂતો અને પશુપાલકો માટે સ્પષ્ટ આશ્વાસન આપવાની માંગ કરી હતી કે દુષ્કાળ જાહેર થશે, સહાયની રકમ ખાતામાં જમા થશે, પશુઓ માટે પૂરતો ઘાસચારો મળશે અને સિંચાઈ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે મનરેગા હેઠળ રોજગારીના દિવસો વધારવાની પણ માંગ તેમણે કરી હતી.
તેમણે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને પણ પોતાના મતવિસ્તારના ખેડૂતો માટે સરકાર પર દબાણ લાવવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોની જાતે મુલાકાત લઈને કલેક્ટરો સાથે જમીની સ્થિતિ તપાસવા અને તાત્કાલિક રાહત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
હવે મુખ્ય સવાલ એ છે કે આગામી વરસાદની રાહ જોવાને બદલે સરકાર અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો માટે તાત્કાલિક રાહત પેકેજ, ઘાસચારો, પીવાનું પાણી અને સિંચાઈની વ્યવસ્થા અંગે ક્યારે સ્પષ્ટ નિર્ણય લેશે.








