
Mamta Kulkarni expelled from Kinnar Akhara : કિન્નર અખાડાએ પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરી દીધી છે. ઉપરાંત, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી દૂર કરવામાં આવી છે. આ કાર્યવાહી કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે કરી છે.
તાજેતરમાં મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન સન્યાસની દીક્ષા લીધી હતી. પિંડદાન અને સંગમમાં ડૂબકી લગાવ્યા પછી, મમતા કુલકર્ણીનો કિન્નર અખાડા દ્વારા અભિષેક કરાવાયો હતો. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને કિન્નર અખાડામાં સામેલ કર્યા હતા અને તેમના જીવનના આ નવા અધ્યાય પર ખુશી પણ વ્યક્ત કરી હતી.
કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી
પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા મહાકુંભ દરમિયાન સંન્યાસની દીક્ષા લીધી હતી અને ત્યારબાદ તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરાઈ હતી. જોકે, આ નિર્ણય પછી જ વિવાદ ઉભો થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે જણાવ્યું હતું કે મમતા કુલકર્ણીએ ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું નથી અને તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મમતાને મહામંડલેશ્વર બનાવ્યા પછી, ઘણો વિવાદ થયો હતો અને ઘણા સંતો સતત તેનો વિરોધ કરી રહ્યા હતા.
લક્ષ્મી ત્રિપાઠીને પણ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા
આ સાથે, ઋષિ અજય દાસે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી મુક્ત કર્યા છે.
વર્ષ 2019નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે લક્ષ્મી ત્રિપાઠીએ અગાઉ પણ જુના અખાડા સાથે કોઈપણ સંમતિ વિના કરાર કર્યો હતો, જે અનૈતિક અને ગેરબંધારણીય છે. આ વિવાદને કારણે કિન્નર અખાડામાં આંતરિક ઝઘડો વધ્યો અને સંત સમુદાયમાં પણ રોષ ફેલાયો. આ પછી, મહામંડલેશ્વરનું બિરુદ સીધું આપવા અને ત્યાગનો માર્ગ અપનાવ્યા વિના મમતા કુલકર્ણીને રાજ્યાભિષેક કરવાને કારણે, હવે લક્ષ્મી ત્રિપાઠીને પણ તેમના પદ પરથી દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમને ટ્રાન્સજેન્ડર સમુદાયના ઉત્થાન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ પોતાની જવાબદારીઓથી વિચલિત થઈ ગયા છે, તેથી જ તેમને હટાવવામાં આવી રહ્યા છે.








