
Ahmedabad News: ગુજરાતમાં ચોમાસાની પ્રારંભથી જ વરસાદે ધબદાટી બોલાવી છે, જેના કારણે રાજ્યના અનેક શહેરો અને ગામડાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં 25 જૂન, 2025ના રોજ સાંજે 7 વાગ્યા બાદ શરૂ થયેલો ધોધમાર વરસાદ શહેરના પૂર્વીય વિસ્તારો માટે આફતરૂપ બન્યો. મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ, ઓઢવ અને વિરાટનગર જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ દરમિયાન ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક ડ્રેનેજલાઈનના ખાડામાં એક બાઈકચાલક વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયો. ફાયરબ્રિગેડની ટીમે 9 કલાકની અથાગ મહેનત બાદ બાઈકચાલકનો મૃતદેહ અને બાઈક ડ્રેનેજલાઈનમાંથી 200 ફૂટ દૂરથી મળી આવ્યો.
અંબિકાનગરમાં ડ્રેનેજલાઈનમાં એક વ્યક્તિ બાઈક સાથે તણાઈ
ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સ્વરૂપદાન ગઢવીએ જણાવ્યું કે, 25 જૂનની રાત્રે 8:50 વાગ્યે ફાયર વિભાગને ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક ડ્રેનેજલાઈનના ખાડામાં એક વ્યક્તિ બાઈક સાથે તણાઈ ગયાની જાણ મળી. આ માહિતીના આધારે ઓઢવ અને નિકોલ ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ. ઘટનાસ્થળે પહોંચતાં જાણવા મળ્યું કે, ડ્રેનેજલાઈનનો ખાડો ખુલ્લો હતો અને ભારે વરસાદને કારણે તેમાં પાણીનો તીવ્ર પ્રવાહ હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, એક બાઈકચાલક રસ્તા પરથી પસાર થતો હતો, પરંતુ ખાડાને ઓળખી ન શકતાં તે બાઈક સાથે પાણીમાં ગરકાવ થઈ ગયો.
રેસ્ક્યૂ ઓપરેશન પડકારજનક
ખારીકટ કેનાલની બાજુમાં આવેલી આ ડ્રેનેજલાઈન સીધી કેનાલમાં જઈને મળે છે. આ ખાડાની આસપાસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા, પરંતુ ભારે વરસાદને કારણે તે પડી ગયા હતા, જેના કારણે આ દુર્ઘટના બની. સતત વરસાદ અને પાણીના તીવ્ર પ્રવાહને કારણે રેસ્ક્યૂ ઓપરેશન અત્યંત પડકારજનક બન્યું. ફાયરબ્રિગેડની ટીમે રાત્રે 2 વાગ્યા સુધી શોધખોળ ચાલુ રાખી, પરંતુ પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી ડ્રેનેજલાઈનમાં પ્રવેશવું શક્ય ન હતું. વહેલી સવારે 4 વાગ્યે પાણીનું સ્તર થોડું ઘટતાં, ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સેફટી સાધનો જેવા કે દોરડાં, ટોર્ચલાઈટ અને વાંસની મદદથી ડ્રેનેજલાઈનમાં પ્રવેશ કર્યો. આશરે 200 ફૂટ દૂર જતાં એક ફાયરમેનના પગમાં બાઈક અડી, અને તપાસ કરતાં બાઈકની નીચે મૃતદેહ મળી આવ્યો.
9 કલાકની જહેમત બાદ સફળતા
ફાયરબ્રિગેડની ટીમે દોરડાંની મદદથી પ્રથમ મૃતદેહને બહાર કાઢ્યો અને બાદમાં બાઈકને પણ ખેંચીને બહાર લાવ્યા. આ ઓપરેશનમાં ઓઢવ અને નિકોલ ફાયર સ્ટેશનના ફાયરમેન નવઘણ ભરવાડ, મહેન્દ્રસિંહ સોલંકી, ભરતભાઈ દેસાઈ, રામસિંહ સિસોદિયા અને મદનસિંહે મહત્વની ભૂમિકા ભજવી. 9 કલાકની સતત મહેનત બાદ મૃતકનો મૃતદેહ અને બાઈક બહાર કાઢવામાં આવ્યાં. મૃતકની ઓળખ મનુભાઈ પંચાલ (ઉંમર 52) તરીકે થઈ, જે ઓઢવના અંબિકાનગર નજીક બેલા પાર્કમાં રહેતા હતા.
AMCની બેદરકારી પર સવાલ
આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બેદરકારીને ઉજાગર કરી છે. ડ્રેનેજલાઈનના ખાડાની આસપાસ લગાવેલા બેરિકેડ્સ નબળી ગુણવત્તાના હોવાથી વરસાદમાં પડી ગયા હતા, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનોએ AMCની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, “AMCનું ડ્રેનેજ વ્યવસ્થાપન અને રસ્તાઓની જાળવણી ચોમાસા દરમિયાન સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. આવી ઘટનાઓ શહેરના આયોજન અને વહીવટની ખામીઓ દર્શાવે છે.” આ એક ગુનાહિત બેદરાકરી છે.
ચોમાસાનો કહેર અને શહેરની સ્થિતિ
અમદાવાદમાં ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ ઘટના શહેરના ડ્રેનેજ સિસ્ટમની અપૂરતી વ્યવસ્થા અને ચોમાસાની તૈયારીઓના અભાવને ઉજાગર કરે છે. સ્થાનિક લોકોએ માગણી કરી છે કે, AMCએ ડ્રેનેજ સિસ્ટમને સુધારવા અને ખાડાઓની આસપાસ મજબૂત બેરિકેડ્સ લગાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.