
Ahmedabad Couple Death: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક દંપતિનો જીવ ગયો છે. રસ્તા પરના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજકરંટ લાગવાથી દંપતીનું કરુણ મોત થયું. આ ઘટનાએ શહેરના વહીવટી તંત્ર અને વીજ કંપનીની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આ દુર્ઘટનાની ગંભીરતાને સ્પષ્ટ કરે છે.
🔸અમદાવાદના નારોલમાં વરસાદી પાણીમાં આવતા કરંટથી દંપતીનું મૃત્યુ
🔸વરસાદી પાણીમાંથી દંપતીને લાગ્યો હતો કરંટ
🔸ટુ વ્હીલર પર જતા દંપતીનું મૃત્યુ#Ahmedabad #Narol #GujaratRains pic.twitter.com/uwFZGFapD6
— DD News Gujarati (@DDNewsGujarati) September 9, 2025
ચાલુ એક્ટિવાએ કરંટ લાગ્યો
8 સપ્ટેમ્બર, 2025ની રાત્રે લગભગ 9:00થી 9:15ની આસપાસ નારોલ પોલીસ સ્ટેશન નજીક આવેલા રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજનભાઈ હરજીવનભાઈ સિંઘલ અને તેમની પત્ની અંકિતાબેન રાજનભાઈ સિંઘલ એક્ટિવા પર નારોલની મટન ગલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તેઓ એલ.જી. હોસ્પિટલમાં એક સંબંધીના ખબરઅંતર પૂછીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ રોડ પર ભારે વરસાદને કારણે લગભગ 3 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયેલું હતું, જેમાં મોટા ખાડાઓ હતા. આ ખાડાઓ અને નબળી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે રોડની હાલત અત્યંત ખરાબ હતી. જેવું દંપતી ગોપી ફેક્ટરી નજીકથી પસાર થઈ રહ્યું હતું, તેમની એક્ટિવા રોડ પરના ખાડામાં ફસાઈ, અને અચાનક વરસાદી પાણીમાં વીજકરંટ લાગવાથી અંકિતાબેન ફસડાઈ પડ્યા. પત્નીને બચાવવા માટે રાજનભાઈ તેમની તરફ દોડ્યા, પરંતુ તેમને પણ કરંટનો આંચકો લાગ્યો. આ ઘટનાને કારણે બંને બેભાન થઈ ગયા. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને વીજ કંપનીના અધિકારીઓને જાણ કરી, પરંતુ વીજકરંટના ભયને કારણે તેમને તરત બચાવી શકાયા નહીં.
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વીજ કંપનીના અધિકારીઓએ વીજપુરવઠો બંધ કર્યો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફત બંનેને એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા. નારોલ પોલીસે આ ઘટનાને અકસ્માત મોત તરીકે નોંધી અને તપાસ શરૂ કરી છે.
પરિવારનો આક્રોશ અને વહીવટ પર આક્ષેપ

આ ઘટનાએ મૃતકના પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. મૃતકની બહેને રડતાં-રડતાં જણાવ્યું, “મારા ભાઈ અને ભાભી એક સામાન્ય પરિવારના સભ્ય હતા, જેઓ પોતાનું ઘર ચલાવવા માટે સંઘર્ષ કરતા હતા. ગોપી ફેક્ટરી પાસે રોડ પર પાણી ભરાયેલું હતું, અને ત્યાં વીજકરંટ લાગતો હોવાની જાણકારી જનતા અને સરકારને હતી. છતાં કોઈ ચેતવણી બોર્ડ, બેરિકેડ કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નહીં. મારા ભાઈએ ભાભીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંનેનો જીવ ગયો. આ ઘટના માટે એએમસી, વીજ કંપની અને સરકાર જવાબદાર છે.”
તેમણે વધુમાં કહ્યું, “અમે સરકારને વોટ આપીએ છીએ, ટેક્સ ચૂકવીએ છીએ, પરંતુ ગરીબ લોકોના જીવની કોઈ કિંમત નથી? મારા ભાઈ-ભાભી ગયા, પરંતુ હવે મારા માતા-પિતા અને કાકા-કાકીનો આશરો કોણ? તેમનો એકનો એક દીકરો હતો. અમે ન્યાયની માગણી કરીએ છીએ. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે રોડની સ્થિતિ સુધારવામાં આવે.”
વહીવટ અને વીજ કંપનીનું નિવેદન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું, “નારોલ મટન ગલી રોડ પર હેવી વ્હીકલની સતત અવરજવરને કારણે રસ્તો ઊબડખાબડ થયેલો છે. ઘટનાસ્થળે લગભગ 4 ઇંચ પાણી ભરાયેલું હતું. ટોરેન્ટ વીજ કંપની દ્વારા કેબલો અને લાઇનોની તપાસ ચાલી રહી છે, જેથી વીજકરંટ લીકેજનું કારણ જાણી શકાય.”
જોકે, પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે એએમસી અને વીજ કંપનીની બેદરકારી આ ઘટનાનું મુખ્ય કારણ છે. નારોલ વિસ્તારમાં રસ્તાઓની દયનીય સ્થિતિ અને નબળી ડ્રેનેજ વ્યવસ્થા વર્ષોથી સમસ્યા બની રહી છે. કરોડો રૂપિયાનું બજેટ રોડની જાળવણી અને ડ્રેનેજ સિસ્ટમ માટે ફાળવવામાં આવે છે, પરંતુ યોગ્ય અમલવારીના અભાવે આવી ઘટનાઓ બની રહી છે. માતા પણ પોકે પોકે રડી રહી છે તંત્ર સામે સવાલ કરી રહી છે.
નારોલના રસ્તાઓની દયનીય સ્થિતિ
નારોલની મટન ગલી રોડ અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ ઘણા સમયથી ખરાબ છે. મોટા ખાડાઓ, નબળી ડ્રેનેજ વ્યવસ્થા અને હેવી વ્હીકલની અવરજવરને કારણે આ રોડ વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતો હોવાથી રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે, જે આવી દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, “આ રોડની સમસ્યા વર્ષોથી ચાલે છે. દર વર્ષે વરસાદમાં પાણી ભરાય છે, અને ખાડાઓને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એએમસી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ ઘટના એએમસીની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે.”
પરિવાર અને સ્થાનિકોનો વિરોધ
આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓએ એએમસી અને વીજ કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પરિવારજનોએ દક્ષિણ ઝોનની એએમસી ઓફિસ ખાતે ધરણા કર્યા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર સમક્ષ ન્યાયની માગણી કરી. આ દરમિયાન પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ થયું. પરિવારની એક જ માગ છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નારોલના રસ્તાઓની સ્થિતિ સુધારવામાં આવે.
ન્યાયની માગ
આ ઘટનાએ અમદાવાદના વહીવટી તંત્રની નિષ્ફળતા અને નાગરિકોની સલામતી પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે. પરિવારજનોની એક જ માગ છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નારોલ વિસ્તારના રસ્તાઓ અને ડ્રેનેજ સિસ્ટમની સ્થિતિ સુધારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુ:ખદ ઘટનાઓ ટાળી શકાય.
આ પણ વાંચો:
Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ
Gujarat: ગાંધીનગરમાં ઓછી ક્ષમતાનું ડેટા સેન્ટર બનાવીને સરકાર ખુશ કેમ?
‘તંત્ર ગુંડાગીરી પર આવ્યું’, પોલીસે AAP ધારાસભ્યની કેવી રીતે કરી ધરપકડ? | Doda | Mehraj Malik
Viral Video: બે મુસ્લીમ દુકાનદારો મીઠાઈમાં વીર્ય ભેળવતાં ઝડપાયા!, પછી થયા આવા હાલ!
Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ









