
અમદાવાદમાં બોમ્બ થકી હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જોકે, પ્લાન ઘડનાર બૂટલેગર પોતાના હેતુમાં સફળ થઈ શક્યો નહતો. પરંતુ તે છતાં બોમ્બથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
વાત જાણે તેમ છે કે, હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતી પત્નીના તેના સહ કર્મચારી મદદનીશ ક્લાર્ક સાથે અનૈતિક સંબંધ હોવાથી પોતાના છૂટાછેડા થઈ રહ્યા હોવાની શંકા રાખી બુટલેગર પતિએ ક્લાર્કની હત્યા માટે તેમના ઘરે પાર્સલમાં બોમ્બ મોકલ્યો હતો. જોકે, તે ડિલિવરી આપવા આવેલા બુટલેગરના મિત્રના હાથમાં ફૂટ્યો હતો, જેમાં પાર્સલ આપવા આવેલા વ્યક્તિને અને ક્લાર્કના પિતરાઈ ભાઈને ઈજા થઈ હતી.
અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ IOC રોડ પાસેની સોસાયટીમાં ગતરોજ (21 ડિસેમ્બર) સવારના 10:30 કલાકની આસપાસ એક વિસ્ફોટ થયો હતો. જેમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા પાર્સલ લઈને આવ્યા બાદ તેમાંથી અચાનક ધુમાડો નીકળ્યો અને વિસ્ફોટ થયો હતો.
આ ઘટનાના ફરિયાદી બળદેવ સુખડિયાએ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે અજાણ્યા શખસ કે જે પાર્સલ લઈને આવ્યો હતો, તેના વિરુદ્ધ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ચાંદખેડાના શિવમ રોહાઉસમાં રહેતા 56 વર્ષીય બળદેવ સુખડિયા કે જેમને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગુજરાત હાઇકોર્ટમાં 6 વર્ષથી મદદનીશ ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેમની સાથે કામ કરતાં મહિલા વકીલ સાથે તેઓના આડા સંબંધોની શંકામાં મહિલા વકીલના પતિ રૂપેન બારોટ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું છે, પરંતુ હું તે મહિલા વકીલને મારી દીકરી સમાન માનું છું.
મહિલા વકીલના પતિ રૂપેન બારોટ દ્વારા તેની પત્ની અને મારા વચ્ચે આડા સંબંધો હોવાની આશંકા રાખીને અવારનવાર તેની પત્ની સાથે એટલે કે, મહિલા વકીલ સાથે ઝઘડા કરવામાં આવતા હતા. જેથી માર્ચ 2024થી મહિલા વકીલ તેના પિતાના ઘરે પોતાના 10 વર્ષના દીકરા સાથે રહેવા જતી રહી છે અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી પણ દાખલ કરેલી છે.