
Air India: એર ઇન્ડિયાના કાફલામાં રહેલા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેકનિકલ ખામી સર્જાવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.લંડન હીથ્રોથી બેંગલુરુ જઈ રહેલી ફ્લાઇટ AI132 માં ટેકઓફ પહેલા જ ખામી સર્જાઈ હતી, સૌથી આઘાતજનક વાત એ હતી કે, આ ખામી અમદાવાદમાં તૂટી પડેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 જેવી જ હતી જે ધ્યાને આવી જતા સદ નસીબે વધુ એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.
■ ટેકઓફ પહેલાં એક મોટો ખતરો ટળ્યો.
૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ, જ્યારે એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ વિમાન બેંગલુરુ માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે પાઇલટ્સને એન્જિન સ્ટાર્ટ કરતી વખતે ગંભીર ટેકનિકલ સમસ્યા ધ્યાને આવી હતી. સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન અનુસાર, પ્લેનના ડાબા એન્જિન પરનો ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોક થઈ રહ્યો ન હતો. જ્યારે પાઇલટ્સે તેને ‘RUN’ મોડ પર સેટ કર્યો, ત્યારે તે આપમેળે ‘CUTOFF’ પર શિફ્ટ થઈ ગયો. જો આ ફ્લાઇટ રનવે પરથી ઉડાન ભર્યા બાદ આ થયું હોત, તો તે ખૂબ જ ખતરનાક સાબિત થયું હોત અને અમદાવાદ જેવીજ મોટી દુર્ઘટના સર્જાઈ હોત પણ સદનસીબે આ વાત પાયલોટ્સને પ્લેન ઉડાન ભરે તે પહેલા જ ધ્યાને આવી જતા મોટી દુર્ઘટના થતાં સ્હેજમાં રહી ગઈ હતી.ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોક પ્રોબ્લેમ ધ્યાને આવતા ક્રૂએ પ્લેન ન ઉડાડવાનો નિર્ણય લીધો હતો.
■ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ ઉડાન ભર્યા બાદ આજ સમસ્યા આવતા વિમાન ક્રેશ થઈ ગયું હતું.
સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન કહે છે કે એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર સાથે આ પહેલી વાર નથી બન્યું. AI-171 ફ્લાઇટમાં પણ આવી જ ફરિયાદ હતી, જ્યાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ઢીલો હતો અને લોક થઈ શકતો ન હતો. બંને કિસ્સાઓમાં ખામીઓ સીધા લાંબા સમયથી ચાલતી બોઇંગ ડિઝાઇન ખામી તરફ નિર્દેશ કરે છે, જેના વિશે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ 2018 માં ચેતવણી જારી કરી હતી. FAA એ સ્પષ્ટપણે કહ્યું હતું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોમાં ઘર્ષણ ઓછું થવાને કારણે, તેઓ આપમેળે કટઓફ સ્થિતિમાં પ્રવેશી શકે છે, જેનાથી ફ્લાઇટમાં એન્જિન બંધ થવાનું ગંભીર જોખમ ઊભું થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-170, બોઇંગ 787) ટેક-ઓફ બાદ 32 સેકન્ડમાં ક્રેશ થઈ હતી, જેમાં 242 લોકોમાંથી 241 મુસાફરો સહિત જમીન પરના લોકો મળી 270થી વધુ લોકોના મોત થયા હતા આ દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં પણ ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં ખામી હોવાનું સામે આવ્યું હતું, જેનાથી એન્જિન બંધ થઈ ગયા હતા અને વિમાન ઉડાન ભર્યાના માત્ર 32 સેકન્ડમાં તૂટી પડ્યું હતું.
■ એર ઇન્ડિયાના દાવા વિરુદ્ધ વાસ્તવિકતા
એર ઇન્ડિયા કહે છે કે, DGCA ના નિર્દેશ પર, તેણે પહેલાથી જ તેના સમગ્ર બોઇંગ 787 કાફલાનું નિરીક્ષણ કર્યું હતું, અને બધા વિમાન સુરક્ષિત હોવાનું જણાયું હતું જોકે, મોટો પ્રશ્ન એ છે કે જો નિરીક્ષણ પૂર્ણ થયું હતું અને બધું બરાબર હતું, તો AI-132 પર તે જ ખામી ફરીથી કેવી રીતે દેખાઈ? આ તાજેતરની ઘટના બાદ, એરલાઇને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને સંપૂર્ણ અહેવાલ સુપરત કર્યો છે. સંડોવાયેલા વિમાન, VT-ANX, ને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ તકનીકી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.આમ,તંત્રની ઢીલી નીતિના કારણે આવી ઘટનાઓમાં વારંવાર ક્ષતિઓ સામે આવી રહી છે જે ખૂબજ મોટી બેદરકારી સૂચવે છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા






