
- 28 માર્ચે રાત્રે અનંત અંબાણીએ વનતારાથી કાફલા સાથે પદયાત્રા શરૂ કરી.
- 10 એપ્રિલે દ્વારકાધીશના ધામમાં જન્મદિવસની ઉજવણી કરશે.
ANANT AMBANI । મુકેશ અંબાણીના વનતારા ફેઈમ અનંત અંબાણીએ પોતાનો જન્મદિવસ દ્વારકામાં ઉજવવાની ઈચ્છા સાથે જામનગરના વનતારાથી દ્વારકા સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. 28 માર્ચે મધરાતે વનતારાથી શરૂ થયેલી પદયાત્રા 10મી એપ્રિલે દ્વારકા પહોંચશે.
અનંત અંબાણી ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે પદયાત્રા કરી રહ્યાં છે. જેમાં રોજ રાત્રે આશરે 10 થી 12 કિમી જેટલું પગપાળા યાત્રા કરી રહ્યાં છે. તેમની પદયાત્રામાં મોટી સંખ્યામાં મિત્રો સહિતના લોકો જોડાયા છે.
પહેલાં દિવસે રિલાયન્સ ટાઉનશિપથી ન્યારા કંપની સુધીની યાત્રા કરી હતી ત્યારબાદ તેઓ ત્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ જતાં રહ્યા હતાં. બીજા દિવસે રાત્રે સાડા ત્રણ વાગ્યે ન્યારા કંપની પાસેની હોટલ શ્યામ-વેથી યાત્રા ફરી શરૂ કરી હતી. સવારે 8 વાગ્યે ખંભાળિયા પાસે પહોંચ્યા બાદ તેમનો રસાલો રિલાયન્સ ટાઉનશિપ પરત ફર્યો હતો. હવે આજે રાત્રે તેઓ ખંભાળિયા પાસેથી પદયાત્રાનો પ્રારંભ કરશે.
અનંત અંબાણીની પદયાત્રામાં જોડાયેલાં લોકો દ્વારકાધીશનો જયઘોષ કરતાં આગળ વધતાં હોય છે. તેમજ બીજી તરફ રસ્તામાં આવતાં ગ્રામજનોમાં પણ અનંત અંબાણીને જોવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સેલ્ફી પાડવા માટે અનંતની નજીક જતાં હોય છે. જોકે, મોટાભાગના લોકોને તો સિક્યુરિટીવાળા દૂર કરી દેતાં હોય છે. સોશિયલ મિડીયામાં અનંતની પદયાત્રાના સંખ્યાબંધ ફોટો – વિડીયો વાઈરલ થઈ રહ્યાં છે.
દેશના મોટા ઉદ્યોગપતિના પુત્ર દ્વારા કે પરિવારજન દ્વારા આવી રીતે પગપાળા યાત્રા કરી હોય એવું કદાચ આ પહેલીવાર બન્યું છે. એમાંય જામનગર આસપાસના વિસ્તારમાં તો અંબાણી પરિવાર ઘણો લોકપ્રિય હોવાથી લોકોના ટોળાં અનંતને જોવા માટે રાતના ઉજાગરાં કરી રહ્યાં છે.
તા. 10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ છે. ત્યારે દ્વારકા પહોંચીને દ્વારકાધીશના પાવનધામમાં અનંત અંબાણી પોતાનો જન્મદિવસ ઉજવશે. જે પ્રસંગે મુકેશ અંબાણી પરિવાર દ્વારકા પધારશે.
અત્રે નોંધનિય છે કે, અગાઉ પણ અંબાણી પરિવાર દ્વારકા, બાલા હનુમાન, સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યો હતો. તાજેતરમાં યોજાયેલા મહાકુંભમાં પણ અંબાણી પરિવારે સ્નાન કર્યું હતું.