
કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાં અને માફીની માંગને લઈને પહેલાં તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે, તેમના ટોચના નેતૃત્ત્વ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હોવા છતાં પાર્ટી પોતાની માંગથી પીછેહઠ નહીં કરે. આંદોલનના પહેલાં તબક્કામાં કોંગ્રેસના પ્રમુખ નેતા, સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ દેશના આશરે 150 શહેરોમાં 22-23 ડિસેમ્બરે પ્રેસ કોન્ફરન્સ કરી આંબેડકરના વારસાનું સ્મરણ કરવાની સાથે અપમાનજનક ટિપ્પણી સામે રાજીનામાની માંગ કરશે.
દેશભરમાં આંબેડકર સન્માન સપ્તાહ ઉજવવામાં આવશે
આ સાથે જ કોંગ્રેસે આવતા અઠવાડિયા સુધી દેશમાં આંબેડકર સન્માન સપ્તાહ ઉજવવાની જાહેરાત કરી છે. જોકે, 26 ડિસેમ્બરે બેલગામમાં યોજાવનારી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પણ આંબેડકરના અપમાનનો મુદ્દો પ્રમુખ એજન્ડાના રૂપે ચર્ચાના કેન્દ્રમાં રહેશે.
બેલગામમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક
પાર્ટીના કાર્યક્રમોની કોંગ્રેસ સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલે જાહેરાત કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, 24 ડિસેમ્બરે દેશભરમાં આંબેડકર સન્માન મોરચો નીકાળતા કોંગ્રેસ અમિત શાહના રાજીનામાની માંગ કરીને જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સોંપશે. બેલગામમાં કોંગ્રેસ કાર્યસમિતિની વિસ્તૃત બેઠકમાં બાબા સાહેબના અપમાન અને બંધારણ પર પ્રહારના મુદ્દા પર ચર્ચા થશે. આ સાથે ડિસેમ્બરે આ એક મોટી રેલીમાં ભાજપ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
બસપા પણ કરશે દેશવ્યાપી આંદોલન
ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પર ભડકેલી બસપા અધ્યક્ષ માયાવતીએ તેમને પોતાના શબ્દ પરત લઈ પશ્ચાતાપની માંગ કરી છે. એક્સ પર તેઓએ લખ્યું કે, હજુ સુધી ગૃહમંત્રીએ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર પર આપેલા પોતાના નિવેદનને પરત નથી લીધું, તેથી પોતાની આ માંગના સમર્થનમાં બસપાએ પણ 24 ડિસેમ્બરે દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.
24 ડિસેમ્બરે બસપા કાર્યકર્તા તમામ જિલ્લા મુખ્યાલયો પર શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરશે. દેશના વંચિત સમાજ માટે બંધારણના રચયિતા ડૉ. આંબેડકર ભગવાનની જેમ પૂજનીય છે. કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવતું તેમનું અનાદર વંચિત સમાજના લોકોની લાગણીને દુભાવનારૂ છે.