
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનાર દસ વર્ષની દીકરી મોત સામેની જંગ હારી ગઈ છે. આ સમાચાર સાંભળ્યા બાદ અમે ખૂબ જ દુઃખી થયા. છેલ્લા દસ વર્ષમાં આવા કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. આવા નરાધમોને ફાંસી અપાવવામાં પણ ખૂબ જ વિલંબ થતો હોય છે. પોસ્કોના કેસોમાં 4375 કેસો પેન્ડિંગ છે. હવે આવા નરાધમોને કડકમાં કડક તાત્કાલિક સજા થાય તેના માટે રાજ્ય સરકાર કડકમાં કડક કાયદા બનાવે તેવી અમે માંગ કરીએ છીએ. કોઈપણ જગ્યાએ આવી ઘટના ન ઘટવી જોઈએ.
ચૈતર વસાવાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
જ્યારે બીજા રાજ્યમાં દુષ્કર્મની ઘટના ઘટે છે તો આપણા મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ બીજા રાજ્યોની સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે અને કેન્ડલ માર્ચ પણ કરે છે. ઝઘડિયાની ઘટનાને આટલા દિવસો થયા તેમ છતાં પણ સ્થાનિક નેતાની સાથે સાથે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી મૌન સેવીને બેઠા છે, જેના કારણે આવા કૃત્યો કરનાર લોકોને હિંમત મળે છે. અમે ફરીવાર માંગણી કરીએ છીએ કે કડકમાં કડક કાયદા બનાવવામાં આવે અને આવા બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે. આપણે મહિલા સુરક્ષાઓની વાતો કરીએ છીએ અને બીજી બાજુ ગુજરાતમાં 648 જેટલી મહિલાઓ સાથે એક વર્ષમાં આવી ઘટનાઓ ઘટી છે, આ આપણી વાસ્તવિકતા છે. આવી ઘટના પર રોક કઈ રીતે લગાવવામાં આવે તેના પર આપણે વિચારવું પડશે અને સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારે તેવી અમે માંગ કરીએ છીએ.
જુઓ વિડિયો…