
- ઇસ્કોનના કથાકાર ચંદ્રગોવિંદ દાસનો 6 વર્ષ જૂનો વિડીયો વાઈરલ થતાં વિવાદ
- મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી ક્ષમા માંગુ છું – ચંદ્રગોવિંદ દાસ
Iskon Controversy । મોદી રાજમાં સાધુ – સંતો અને કથાકારો મોંના સાવ છુટ્ટા બની ગયાં છે. ગુંડા તત્વો હાથના છુટ્ટા હોય છે એવું કહેવાય છે જેનો અર્થ થાય કે, તેઓ ગમે ત્યારે અચાનક હાથ ઉપાડી શકે તેવા હોય છે. તેવી જ રીતે સાધુ – સંતો, કથાકારો પણ રાજકારણીઓ જેવા મોંના સાવ છુટ્ટા બની ગયાં છે. તેથી જ છાશવારે વિવાદાસ્પદ નિવેદનો કરી દેતાં હોય છે. અને પાછા પાક્કા રાજકારણીની માફક વિવાદ સર્જાતા માફી પણ માંગી લેતાં હોય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાણી વિલાસ અને મુર્ખતાઓના અનેક દાખલાઓ સામે આવ્યા બાદ છેલ્લાં બે દિવસથી ઇસ્કોનના કથાકાર ચંદ્રગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલ નો એક વિડીયો વાઈરલ થયો હતો. વિડીયોમાં ચંદ્રગોવિંદ દાસ જાણે ભારતના સંવિધાન (Constitution of India) થી પણ પોતાની જાતને મહાન ગણતાં હોય એવી વાતો કરતાં જોવા મળે છે.
ચંદ્રગોવિંદ દાસ વ્યાસપીઠ પર બેસીને શ્રોતાઓને કહે છે કે, જે તે લોકો સરકાર અને સંવિધાનના આશ્રય પર બેઠાં છે. આ લોકો આપણને સુખી કરશે? કોઈ દિવસ થઈ શકે. કાયદો શું કરી લેશે તે મને કહો? તમારો દીકરો કે દીકરી, તમે 20 વર્ષ સુધી તેનો ઉછેર કર્યો હોય, પણ જો એ જાતે ક્યાંક લગ્ન કરી લે તો તમે કંઈ જ ના કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મૂર્ખ હશે? અને આ બંધારણ જેમણે બનાવ્યું છે તેઓ કેટલા અવ્વલ નંબરના મૂર્ખ હશે? લોકો કહે છે સંવિધાનને ફોલો કરો… આ સંવિધાન તો દેશને વ્યભિચાર તરફ ધકેલી રહ્યું છે. સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ.
આંબેડકર જયંતીના થોડા દિવસો પહેલાં ચંદ્રગોવિંદ દાસનો વિડીયો વાઈરલ થતાં દલિતો અને સંવિધાન પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. લોકોનો રોષ જોતાં ચંદ્રગોવિંદ દાસને પોતાની મુર્ખતાનો ખ્યાલ આવ્યો અને તેમણે વિડીયો જાહેર કરી માફી માંગી લીધી છે.
માફી માંગતા વિડીયોમાં ચંદ્રગોવિંદ દાસ કહે છે કે, વાઈરલ વિડીયોમાં જે સ્ટેટમેન્ટ મેં આપ્યું હતું તે ખાસ કરીને દીકરીઓ પર થતાં અત્યાચાર અને ન્યાય ન મળતાં કિસ્સાઓ સામેનો રોષ હતો. હું કોઈ વ્યક્તિ, સમાજ કે જાતિ સામે નહોતો બોલ્યો. વિશેષ રીતે, 18 વર્ષની ઉંમર પછી દીકરીને લગ્ન કરવા સંવતંત્રતા મળે છે, તેવી કલમ જે સંવિધાનમાં ઉમેરી છે, તે બાબતે મને રોષ હતો. પણ મારા હ્રદયમાં કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી. છતાં પણ જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી ક્ષમા માંગુ છું.
મોદી રાજમાં બેફામ વાણી વિલાસ કરવા લાગેલાં સાધુ – સંતો વગેરે પર સરકાર કોઈ કંટ્રોલ કરે તેવી શક્યતા તો દૂર દૂર સુધી જોવા મળતી નથી. પરંતુ, આ મામલે કેટલાં જાગૃત દેશભક્તો દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી હાલના સમયની માંગ છે.