
દુબઈમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું. ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું.
કેપ્ટન રોહિત શર્માએ 76 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતીય ટીમે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2002 અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
રોહિત શર્મા ઉપરાંત શ્રેયસ ઐયરે પણ 48 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેએલ રાહુલ 34 રનની ઇનિંગ રમીને અણનમ રહ્યો અને ટીમને જીત તરફ દોરી ગયા પછી જ પેવેલિયન પાછો ફર્યો.
ભારતની જીતમાં બોલરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જો ભારતીય સ્પિનરોએ શાનદાર પ્રદર્શન ન કર્યું હોત, તો ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં ન્યૂઝીલેન્ડને 251 રનના સ્કોર પર રોકી શકી ન હોત.
રચિન રવિન્દ્રએ ન્યૂઝીલેન્ડને 39 રનની શાનદાર શરૂઆત અપાવી. પરંતુ પહેલો પાવર પ્લે પૂરો થતાં જ કેપ્ટન રોહિત શર્માએ કુલદીપ યાદવ પર દાવ લગાવ્યો.
રોહિત શર્માની આ ચાલ કામ કરી ગઈ અને તેણે મેચમાં પોતાના પહેલા જ બોલ પર રચિનને બોલ્ડ આઉટ કર્યો. ન્યૂઝીલેન્ડ સ્વસ્થ થાય તે પહેલાં કુલદીપ યાદવે તેની આગામી ઓવરમાં અને ન્યૂઝીલેન્ડની ઇનિંગની 13મી ઓવરમાં વિલિયમસનને પાછો મોકલ્યો.
કુલદીપ યાદવની આ બે વિકેટ બાદ ન્યુઝીલેન્ડને રિકવર થવાની તક મળી નહીં. કુલદીપ યાદવે 10 ઓવરમાં 40 રન આપ્યા.
ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્ર અને વિલ યંગે ન્યુઝીલેન્ડ માટે ઇનિંગ્સની શરૂઆત કરી અને ટીમને 50 રનની પાર પહોંચાડી દીધી હતી.
પરંતુ વરુણ ચક્રવર્તીએ પોતાની બીજી ઓવરના પાંચમા બોલ પર વિલ યંગને LBW આઉટ કરીને ન્યૂઝીલેન્ડની ટીમને પહેલો ઝટકો આપ્યો હતો.
ત્યારબાદ કુલદીપ યાદવે 8 બોલમાં બે વિકેટ લીધી અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 12.2 ઓવરમાં 75/3 થયો.
આ પછી ન્યુઝીલેન્ડને રિકવર થવાની વધુ તક મળી નહીં અને ભારતીય સ્પિનરોએ મજબૂત બોલિંગ ચાલુ રાખી હતી.
જોકે, ડેરિલ મિશેલે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને સંભાળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. ફિલિપ્સે પણ 34 રન બનાવીને મિશેલને સારો સાથ આપ્યો.
પરંતુ વરુણે તેને બોલ્ડ કરીને પેવેલિયન પાછો મોકલી દીધો. ન્યૂઝીલેન્ડે 37.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા.
આ પછી બ્રેસવેલે ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની કમાન સંભાળી અને 40 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ્સ રમી. તેમની ઇનિંગને કારણે, ન્યુઝીલેન્ડ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રનનો સ્કોર હાંસલ કરવામાં સફળ રહ્યું.
જોકે, ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેનોએ સંપૂર્ણ યોગદાન આપીને ભારતને વિશ્વ વિજેતા બનાવી દીધું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે.