
વર્તમાન સમયમાં દેશમાં હિન્દુ-મુસ્લિમ, મસ્જિદ-મંદિરના મુદ્દાઓ ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરકાર પણ આવા મુદ્દાઓને વધારે હવા આપી રહી છે. પરંતુ બીજી તરફ ભારતમાં બેરોજગારી ભયંકર સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે. આગામી દિવસોમાં ભારતમાં મંદીના કારણે બેરોજગારી એક નવા સ્તરે પહોંચી શકે છે. મીડલ અને ગરીબ વર્ગનું જીવન દોહિલું બની શકે છે. મોંઘવારી વચ્ચે લોકોને જીવવા માટે ભોજનના પણ ફાંફા પડી શકે છે.
ભારતીય અર્થવ્યવસ્થા પાતાળ લોકમાં જઈ રહી છે પરંતુ તે બાબતે સરકાર પણ કોઈ વાત કરી રહી નથી. અર્થવ્યવસ્થાને પાટા ઉપર ચલાવવાની જવાબદારી નિભાવનારા નિર્મલા સીતારમણ પણ અવનવા ટેક્સ લોકો ઉપર નાંખી રહ્યાં છે. હાલમાં જ તેમણે જૂની કાર અને પોપકોર્ન ઉપર 18 ટકા ટેક્સ નાંખી દીધો છે. તેથી આગામી સમયમાં જૂની કારના માર્કેટ ઉપર પણ નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
મંદીની આશંકાઓ વચ્ચે હવે રોજગારીના તકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં, EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાઓ ચિંતાજનક છે. આ આંકડાઓ અનુસાર, નવી રોજગારીના સર્જનનો દર ઘટ્યો છે, જે અર્થતંત્રમાં નબળાઈ દર્શાવે છે.
EPFOના આંકડાઓના સંકેત:
નવા સભ્યોના પંજીકરણમાં ઘટાડો જોવા મળ્યો છે.
અગાઉના મહિનોની તુલનામાં નોકરી માટે રિ-એન્ગેજમેન્ટનો દર ઘટી ગયો છે.
રોજગારીની તકોમાં ઘટાડાના કારણો:
નબળી અર્થવ્યવસ્થા અને GDP વૃદ્ધિના ઘટાડા સાથે મજુરોને નવા તકો મળવા મુશ્કેલ થઈ રહ્યા છે.
વ્યાપારિક સેક્ટરમાં મંદીનું માહોલ, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોમાં.
યુવાનો માટે પ્રત્યક્ષ અસર:
વધુ નોકરીઓ મળવામાં વિલંબ, જેના કારણે વાણિજય તથા ઉત્પાદક ક્ષેત્રોમાં નોકરીઓ માટે સઘન સ્પર્ધા છે.
તજજ્ઞો શું કહે છે?
આર્થિક તજજ્ઞોનું માનવું છે કે મિશ્ર આર્થિક નીતિઓ અને વૈશ્વિક પડકારો આ સ્થિતિ માટે જવાબદાર છે. સરકાર દ્વારા મેક-ઇન-ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, અને ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો દ્વારા નોકરીઓમાં વધારો લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ હજુ પણ ઇચ્છિત પરિણામો લાવવામાં અસમર્થ રહ્યા છે.
શું પગલા લેવા પડશે
નીતિગત સ્તરે વધુ નવો ફંડ સ્ટાર્ટ-અપ્સ માટે ઉપલબ્ધ કરાવવો પડશે.
યુવાનો માટે વધુ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ તૈયાર કરવા જરૂર છે.
બાહ્ય મૂડી રોકાણ લાવી નવી તકો ઉભી કરવી જોઈએ.
આ સ્થિતિમાં લોકોના ભવિષ્ય માટે રાજકીય અને આર્થિક નીતિઓમાં સુધારા જરૂરી છે. વધુ સચોટ માહિતી માટે આંકડાઓને ઘ્યાને લઈ સરખામણી કરવી જરૂરી છે.
ભારતનો જીડીપી દર ઘટીને 5.4 ટકા
વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ઘટીને 5.4 ટકા આવ્યો જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન જીડીપીની સરેરાશ 8.3 ટકા રહી હતી. જીડીપીમાં જોરદાર ઘટાડાનું પ્રતિબિંબ પાડતા હોય તેમ ઓક્ટોબરમાં ઇપીએફઓના ચોખ્ખા ઉમેરામાં થતી વૃદ્ધિમાં 20.8 ટકા ઘટાડો થતાં 7.50 લાખનો જ ઉમેરો થયો હતો, આમ આ વૃદ્ધિ સાત માસની નીચી સપાટીએ છે.
સપ્ટેમ્બરમાં 9.47 લાખ લોકો નોકરીમાં ઉમેરાયા હતા, એમ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા જારી કરવામાં આવતા માસિક ડેટામાં જણાવાયું છે. ઓક્ટોબરમાં જોબમાં 7.50 લાખનો ચોખ્ખો ઉમેરો થયો છે, જ્યારે કુલ ઉમેરાનો આંકડો 13.41 લાખ છે. એટલે કે 12.90 લાખ લોકો એક નોકરીમાંથી બીજી નોકરીમાં ગયા છે. જ્યારે અગાઉના મહિને આ આંકડો 14.1 લાખનો હતો, જે પાંચ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ બતાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો જોબ ગ્રોથ હવે ધીમો પડયો છે.
ઇપીએફઓના આંકડા મહત્ત્વના છે, કારણ કે તે શ્રમબજારની સાથે-સાથે દેશની આર્થિક વૃદ્ધિનું પણ પ્રતિબિંબ પાડે છે. જો કે આ આંકડા સોશિયલ સિક્યોરિટીનો ફાયદો મેળવતા અને શ્રમ કાયદાનું રક્ષણ મેળવનારાના જ છે, આવું કોઈ સંરક્ષણ ન મેળવનારી જોબ્સનો આમા સમાવેશ કરાતો નથી.
ઓક્ટોબરમાં નવા ઉમેરાયેલા ઇપીએફઓ સભ્યોમાં પણ 18થી 25 વર્ષના એટલે કે યુવાનોના પ્રમાણમાં જોઈએ તો આ પ્રમાણ પણ ઘટીને 58.5 ટકા થયું છે, એટલે કે કુલ 7.50 લાખ નવા ઇપીએફઓ સભ્યોમાં યુવાનોની સંખ્યા 4.38 લાખ જ હતી. જ્યારે સપ્ટેમ્બરમાં આ ટકાવારી 60 ટકા હતી એટલે કે 9.47 લાખના નવા ઉમેરામાં યુવાનોની સંખ્યા 567700 હતી.
આ આંકડો મહત્ત્વનો એટલા માટે છે કેમકે 18થી 25 વર્ષના નોકરિયાતો પહેલી જ વખત જોબ માર્કેટમાં પ્રવેશ્યા હોય છે. તના પરથી રોજગારીના સ્તરનો અને આર્થિક પ્રવૃત્તિ તથા ધંધાઉદ્યોગની સ્થિતિનો પણ ખ્યાલ આવે છે. જો કે બીજી મહત્ત્વની વાત એ છે કે મહિલા સબસ્ક્રાઇબરોનો હિસ્સો ગયા મહિનાના 26.1 ટકા એટલે કે 247000 થી વધીને 27.9 ટકા એટલે કે 209000 થયો છે.
શ્રમ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે મહિલા નોકરિયાતોની સંખ્યામાં થયેલો વધારો દર્શાવે છે કે આપણું શ્રમબળ વધુ સમાવિષ્ટ અને વૈવિધ્યસભર બની રહ્યું છે.પોતાનો આગવો કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડ સરવે (સીપીએચએસ) કરનારા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં શ્રમબજારોનો દેખાવ અત્યંત ખરાબ રહ્યો હતો. તેના લીધે સપ્ટેમ્બરમાં 7.8 ટકાનો બેરોજગારી દર ઓક્ટોબરમાં વધીને 8.7 ટકા થઈ ગયો હતો.
રાજ્યદીઠ પેરોલ ડેટા દર્શાવે છે કે નોકરિયાતોના ચોખ્ખા ઉમેરાોમાં ટોચના પાંચ રાજ્યો કુલ રાજ્યોમાં 61.32 ટકા હિસ્સો ધરાવે છે. તેઓએ લગભગ 8.22 લાખ સભ્યો ઉમેર્યા છે. મહારાષ્ટ્ર 22.18 ટકા જેટલા ઉમેરા સાથે ટોચના ક્રમે છે. તેના પછીના ક્રમે કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, તેલંગણા અને ગુજરાત આવે છે. આ રાજ્યોએ મહિના દરમિયાન ઉમેરેલા કુલ સભ્યોમાં લગભગ પાંચ ટકાથી વધુને ફાળો આપ્યો છે.