
ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા મહાસંમેલનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, આર. રામ હમ તમિલનાડુ, હરિ સિંહ સાઉથ ઈન્ડિયન વિભાગ પ્રમુખ, કુંવર અમિત સિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા છે. આ મહાસંમેલનમાં ગુજરાતભરના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. આ એકતા મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજની રાજકીય ક્ષેત્રે થઈ રહેલી બાદબાકી સહિત તેમના સ્વાભિમાન ઉપર થઈ રહેલા પ્રહારોને લઈને ચર્ચા કરવામાં આવશે.
જોકે, આ વચ્ચે પોલીસ અને કરણી સેનાના કાર્યકર્તાઓ વચ્ચે આઈડી ચેક કરવાને લઈને બબાલ થતાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન તેમણે પોલીસ પ્રશાસન સંબોધીને કહ્યું કે, અમને મજબૂર ન કરો નહીં તો અમે અહીંથી વિધાનસભા કૂચ કરી જઈશું… અમને મજબૂર ન કરો નહીં તો અમે સીએમના ઘરમાં ઘુસી જઈશું… અમને મજબૂર ન કરો નહીં તો અમે ગૃહરાજ્યમંત્રીના ઘરમાં ઘુસી જઈશું…
રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે એક થયા છીએ. પાઘડીનું અપમાન થયું હતું જેના બદલો લેવા માટે ભેગા થયા છીએ. મારી કંપનીનું લાઇસન્સ પણ રદ કરી દેવાયું હતું. સામાજિક આગેવાન લડે છે તો તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે. આજે સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવામાં આવ્યો છે. ક્યારેય આગેવાન પર પ્રહાર થાય તો ક્યારેક સરકારી સંપત્તિને નુકસાન કરવું નહીં. તમારે મોટી સંખ્યામાં ધારાસભ્યના ઘરમાં ઘૂસી જવાનું છે. સાંસદના ઘરમાં ઘૂસી આક્રમકતા કરવાની છે. જેથી આ બધા ગાંધીનગર અને દિલ્હી ફોન કરશે. ધારાસભ્ય-સાંસદોના ઘરમાં ઘૂસી જવાનું જેથી આગેવાનને છોડવા માટે ફોન કરશે.
રાજ શેખાવતે આગળ કહ્યું કે, સમાજની એકતા કરવાની છે. મારો સમાજ ક્ષત્રિયોના નામે કેમ એક ના થાય? ભાજપના નેતાની ટિકિટ રદ કરવાની હતી તો પાટીદાર એક હતા. પાટીદારે એક્તાનો લાભ લીધો તો આપણે ક્ષત્રિયો એક કેમ થયા નહીં. આપણે પણ એકતાનો લાભ લેવો જોઇએ. તમામ ક્ષત્રિયો આજે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. હું તમામને દંડવત કરી અને પાઘડીને ઝૂકાવું છું. પાઘડીનું સન્માન રાખી અને એક થાઓ.
મહાસંમેલન બાદ મીડિયા સાથે વાત કરતા રાજ શેખાવતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત પ્રદેશના 31 ટકા ક્ષત્રિયોના જે આગેવાનો છે તેમણે આ આયોજનમાં હાજરી આપી છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની ઉપેક્ષા કરવામાં આવી, અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો અને પાઘડી પર પ્રહાર કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજના આગેવાનો પર વ્યાપક પ્રમાણમાં પ્રહાર કરવામાં આવ્યો. ભવિષ્યમાં આ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે અમે આજે અહીં ભેગા થયા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, અમે એક જ વાત કહેવા માગીએ છીએ આ સકરારને કે જો તમે ખોટું કરશો તો અમે તમને જવાબ આપવા તૈયાર છીએ. સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી રહી છે. તમે આ ઘટનાનું પુનરાવર્તન નહીં રોકો અને મારી કંપનીનું જે લાઈસન્સ જે રદ કર્યું છે તેનું તમે બહાલ નહીં કરો તો ટુંક સમયમાં અમે વિધાનસભા સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ.
વધુમાં જણાવ્યું હતું કે, આ અમારી શરૂઆત છે અને ગુજરાતથી 31 પ્રાંતને એક મંચ પર લાવવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં ભારતવર્ષમાં તમામ ક્ષત્રિયો જે સમાન્ય સમાજમાં આવતા હોય, ઓબીસીનો લાભ લેતા હોય કે પછી બક્ષીપંચનો લાભ લેતા હોય એમને અમે એક મંચ પર લાવવા જઈ રહ્યા છીએ. ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર જ્યારે પ્રહાર થયો ત્યારથી અત્યાર સુધી આખા ગુજરાતના તમામ ક્ષત્રિયોમાં ભયંકર આક્રોશ છે. ક્યાંકને ક્યાંક અમારા જે ભાગલાઓ હતા તેમાં તેમને આંશિક સફળતા મળી. પરંતુ હવે ગુજરાતના 31 ટકા ક્ષત્રિયો એક મંચ પર આવી ગયા છે એટલે હવે સરકારે વિચારવાનું છે કે તમારે ભવિષ્યમાં કઈ રીતે અમને લેવા છે. અમે હવે ઉપેક્ષા સહન નહીં કરીએ. સીધી સીધી વાત છે તમે જે પ્રહારો કરી રહ્યા છો એ બંધ નહીં કરોને સાહેબ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ક્ષત્રિય સમાજ જવાબ આપશે… આપશે ને આપશે…
સ્થાનિક સ્વારાજ ચૂંટણીનો બિલકુલ વિરોધ છે, હતો અને રહેશે. કેટલાક આગેવાનો ભલે ભાજપની સાથે છે પરંતુ 99.99 ટકા જે સામાન્ય ક્ષત્રિય જનતા છે તે ભાજપથી આક્રોશિત છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જવાબ આપવા એકતા કરી લીધી છે. તમામ ક્ષત્રિયો એક થયા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ પદે ક્ષત્રિય તો જોઈએ: પી.ટી.જાડેજા
સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો આવ્યા છે. ક્ષત્રિયોની વાત આવે ત્યારે આવે જ અને આવે જ… જે ડરી ગયો એ મરી ગયો… હું સમાજ માટે જ જીવીશ. હું કોઈ રાજનીતિ નથી કરવાનો. આ બધા આગેવાનો દૂરથી આવ્યા છે. સંગઠન એક મોટી તાકાત છે. ખુદ જાગૃત બનો. આપણે રાજા રજવાડા આપી દીધા છે. જો સંગઠિત હશો તો ન્યાય મળશે. રાજનીતિમાં ક્ષત્રિયોએ બહુમતિથી જવું જોઈએ. ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવાના છે ત્યારે ક્ષત્રિય તો જોઈએ.
અમદાવાદના કુંજાડમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું છે. જેમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા ગરાસદાર, કાઠી, કારડીયા, ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજરી આપી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર, આગેવાનોના વ્યાપાર પર થયેલ પ્રહાર તથા રાજનૈતિક ક્ષેત્રમાં ઘોર ઉપેક્ષા સંદર્ભે જવાબ આપવા આ સંમેલન બોલાવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો તેમના એકતા મહાસંમેલનમાં પણ ઉપરોક્ત તમામ મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ક્ષત્રિયોને એક મંચ પર એક સાથે લાવી સંપૂર્ણ ભારતવર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિયોની એકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર, આગેવાનોના વ્યાપાર પર થયેલ પ્રહાર તથા રાજનૈતિક ક્ષેત્રમાં ઘોર ઉપેક્ષાનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે તથા સ્વાભિમાનની લડાઈનું કેન્દ્રબિંદુ ગુજરાત, લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં આપણી નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો આગામી સમયમાં ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે કોઈપણ ક્ષેત્રે અન્યાય ન થાય તે માટે પગલા ભરવાને લઈને તૈયારીના ભાગરૂપે એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને પાછલા કેટલાક વર્ષોમાં ક્ષત્રિય સમાજની રાજકીય રીતે ઘૌર ઉપેક્ષા કરવામાં આવી રહી હોવાના કારણે ફરીથી એક વખત સત્તામાં પોતાના સમાજને કેવી રીતે સ્થાપિત કરવો તે બાબતે પણ એકતા સંમેલનમાં આયોજન કરવામાં આવી શકે છે. દેશભરના ક્ષત્રિયોને એક કરીને પોતાના સમાજે ગુમાવેલું રાજકીય અસ્તિત્વ પરત મેળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
ભવિષ્યમાં ક્ષત્રિયોના સ્વાભિમાનની રક્ષા માટે એક શંખનાદ સાથે બધા ક્ષત્રિયો એક થઈ ન્યાય અને અધિકાર મેળવી ક્ષત્રિયોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ અને ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન અટકાવી શકાય તેમજ ક્ષત્રિયોના ઉજ્જવળ ભવિષ્યને લગતી અનેક માંગણીઓ આ રાજકીય પક્ષો સુધી પહોંચાડવામાં આવે તેના માટે આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા હતા.
મહિલા ક્ષત્રિય આગેવાન સોનલબા પઢિયારની તલવાર રાસની ‘બાઇસા’ ટીમની 14 ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસ કર્યો હતો. બંને હાથે તલવાર લઇને હવામાં ફરેવી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. 10 વર્ષથી લઇને 18 વર્ષની ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસ કર્યા હતા. હર હર મહાદેવ અને ભાગ ફિરંગી ભાગ ઝાંસી કી રાની આયી હૈના ગીત પર તલવાર રાસ કર્યો હતો.







