
મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા યોગ્ય
સોમવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(CPCB)એ સંગમના પાણી અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ મુજબ કુંભમાં ન્હાવા જતાં સંગમનું પાણી ન્હાવા લાયક ન હોવાનું સાબિત થયું છે. મતલબ સંગમનું પાણી ઘણુ પ્રદૂષિત થયું છે. CPCBએ રિપોર્ટ રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ને સોંપ્યો છે. પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં લાખો ભક્તો સ્નાન કરવા જાય છે. જો કે હવે તેમને સ્નાન કરતાં પહેલા ચેતવું જોઈએ.
આ રિપોર્ટ અનુસાર, સંગમમા પાણી ખૂબ ગંદુ થયું છે. પાણીની ગુણવત્તાને અનુરૂપ નથી. CPCB અનુસાર, કોઈપણ પાણીમાં ફેકલ કોલિફોર્મની મહત્તમ મર્યાદા પ્રતિ 100 મિલી 2,500 યુનિટ હોવી જોઈએ, પરંતુ મહાકુંભ દરમિયાન ગંગા-યમુનાના પાણીમાં આ સ્તર ઘણી જગ્યાએ નિર્ધારિત ધોરણો કરતા વધારે જોવા મળ્યું છે.
તો હવે બુધવારે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંગમના પાણીની ગુણવત્તા પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો પર પ્રતિક્રિયા આપી છે. સીએમ યોગીએ કહ્યું છે કે સંગમનું પાણી પીવા તેમજ નહાવા માટે યોગ્ય છે.
તેમણે કહ્યું, “ગંગાજી હોય કે યમુનાજી, તેની આસપાસના બધા પાઈપો અને ગટર ટેપથી બંધ થઈ ગયા છે અને પાણી શુદ્ધ કર્યા પછી જ છોડવામાં આવી રહ્યું છે.” તેમણે કહ્યું, “ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ત્યાંના પાણીની સતત દેખરેખ રાખે છે અને તેની ગુણવત્તા જાળવવા માટે કામ કરે છે.”
સીએમ યોગીએ કહ્યું કે આજના તેમના રિપોર્ટ મુજબ, સંગમ નજીક બીઓડી (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) ની માત્રા અને ઓગળેલા ઓક્સિજનની માત્રા ધોરણો મુજબ છે. “આનો અર્થ એ થયો કે સંગમનું પાણી નહાવા માટે અને પીવા માટે પણ યોગ્ય છે.”
વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “જે લોકો આ વિશે ખોટો પ્રચાર ફેલાવી રહ્યા છે તેમણે આની તપાસ કરવી જોઈએ.”
ઉલ્લેખનિય છે કે, પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર NGTના અધ્યક્ષ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાંત સભ્યએ સેન્થિલ વેલની બેન્ચ સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું હતું કે CPCBએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં વિવિધ લીધેલા નમૂનામાં ‘ફેકલ કોલિફોર્મ’ ના સંદર્ભમાં પાણીની ગુણવત્તાને અનુરૂપ નહોતી. મતલબ નદીનું પાણી પ્રદૂષિત હતુ. તે ઉપયોગ કરવા યોગ્ય નથી. પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે, જેના કારણે ગંદા પાણીની સાંદ્રતા વધે છે.
યુપી પીસીબીને ઠપકો
ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB હજુ સુધી ગટરના પાણીને નદીમાં પડતા અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગે કોઈ વિગતવાર અહેવાલ NGTને સોંપ્યો નથી. બોર્ડ દ્વારા કેટલાક પાણી પરીક્ષણ અહેવાલો સાથે ફક્ત એક ટૂંકો પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં સંતોષકારક માહિતી આપવામાં આવી ન હતી. NGT એ UP PCB પર આકરા પ્રહારો કર્યા છે અને રાજ્યના અધિકારીઓને 19 ફેબ્રુઆરીએ આગામી સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.
55 કરોડ લોકોએ કરી લીધુ સ્નાન
મોટા સ્ટાર્સથી લઈને ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકો સુધી, દરેક વ્યક્તિ મહાકુંભમાં આવી રહ્યા છે અને સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. આ પવિત્ર સ્નાન માટે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો ભારતમાં આવ્યા છે. અત્યાર સુધીમાં 55 કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે.