
દેશમાં મોંઘવારીના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ખુબ જ વધારો થઈ ગયો છે. તો બીજી તરફ દેશના ખેડૂતોને પોતાના પાકોનું યોગ્ય વળતર ન મળતા તેઓ દેવાદાર બની રહ્યા છે. ખેડૂતો બેંકો પાસેથી લોન લેવા માટે મજબૂર બની રહ્યા છે, પરંતુ તેમની મદદ કરવા માટે સરકાર તરફથી કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું નથી. તો બીજી તરફ ખેડૂતોની લોનમાફીને લઈને પણ સરકાર કંઇ વિચારી રહી નથી. પરંતુ બીજી તરફ ઉદ્યોગપતિઓને સતત લોન માફી કરવામાં આવી રહી છે.
દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દરમિયાન પાછલા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓની 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. આમ ભારતમાં બેવડી નીતિ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. ઉદ્યોગપતિઓને ઘી-કેળા અને ખેડૂત સહિત સામાન્ય વ્યક્તિઓને લોન ન ભરી શકવાની સ્થિતિમાં ઘર-બાર બધું જપ્ત કરી લેવામાં આવે છે.
જણાવી દઇએ કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પાછલા પાંચ વર્ષમાં સૌથી વધુ રકમની લોન માફ કરી છે. નાણાકીય વર્ષ 2015થી નાણાકીય વર્ષ 2024 વચ્ચે બેંકોએ કુલ 12.3 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ રકમમાંથી 53 ટકા એટલે કે 6.5 લાખ કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોએ માફ કર્યા છે.
ડેટા અનુસાર, ટોપ 100 ડિફોલ્ટરોની પાસે કુલ એનપીએનો 43 ટકા હિસ્સો છે. આ માહિતી આઈટીઆરના માધ્યમથી મેળવવામાં આવી છે. લોન ન ચૂકવનારાઓમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત જિંદાલ અને જેપી ગ્રુપની કંપનીઓના નામ પણ યાદીમાં સામેલ છે.
જણાવી દઇએ કે, એનપીએની (નૉન-પરફોર્મિંગ એસેટ) બાબતમાં પણ સરકારી બેંકો આગળ છે. કાયદા મુજબ બેન્ક કે નાણાકીય સંસ્થા દ્વારા આપવામાં આવેલું લોન અથવા ઋણ એક નિશ્ચિત સમયગાળા પછી પરત ન થાય, તે નૉન-પરફોર્મિંગ એસેટ કહેવાય છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આરબીઆઈના આંકડાઓ અનુસાર, 30 સપ્ટેમ્બર, 2024 સુધી સરકારી બેંકોનું એનપીએ 3,16,331 કરોડ રૂપિયા હતુ. જ્યારે ખાનગી બેંકોનું એનપીએ 1,34,339 કરોડ રૂપિયા છે.
જે બેંકોએ લોન માફ કરી છે તેમાં રકમની દ્રષ્ટિએ એસબીઆઇ સૌથી આગળ છે. એસબીઆઇએ આ પાંચ વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજી નંબરે પંજાબ નેશનલ બેંક છે. ત્રીજા ક્રમે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ચોછા ક્રમે બેંક ઓફ બરોડા અને પાંચમાં ક્રમે બેંક ઓફ ઇન્ડિયા છે.
લોનની રકમ પરત લેવાનું માંડી વાળવાની બાબતમાં પણ સરકારી બેંકો ખૂબ જ આગળ છે. એસબીઆઇએ આ પાંચ વર્ષોમાં કુલ બે લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે. પંજાબ નેશનલ બેંકે 94,702 કરોડ રૂપિયા માંડી વાળ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સપ્ટેમ્બરના અંત સુધી સરકારી બેંકોએ છેલ્લા પાંચ વર્ષોની 6.5 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 42 હજાર કરોડ રૂપિયા લેવાનું માડી વાળ્યું છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે આરબીઆઇના દિશા-નિર્દેશો અને બેંકોના બોર્ડની તસ્ફથી સ્વીકૃત નીતિ અનુસાર ચાર વર્ષ પૂર્ણ થવા પર એનપીએ રાઇટ ઓફ કરવામાં આવે છે.
RBIના ડેટા અનુસાર નાદારી જાહેર કરેલી કંપનીઓનું લિસ્ટ
- રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ
- રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ
- જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ
- જયપ્રકાશ પાવર વેન્ચર લિમિટેડ
- જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ
- આઇએલએન્ડએફએસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ
- રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ
- વિડિયોકોન ગ્રુપની બે કંપનીઓ
- જિંદાલ ઇન્ડિયા થર્મલ પાવર
- ગિતાંજલિ જેમ્સ