
NEET Paper Leak CBI Chargesheet: 2026ની NEET UG પરીક્ષાના કથિત પ્રશ્નપત્ર લીક કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં પોતાની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. દેશભરમાં પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે ઉઠેલા સવાલો તેમજ વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો બાદ આ કેસમાં તપાસ તેજ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં કુલ 13 આરોપીઓના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વિષય નિષ્ણાતો, કોચિંગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો અને અન્ય વચેટિયાઓનો સમાવેશ થાય છે.
પ્રોફેસર પી.વી. કુલકર્ણી મુખ્ય આરોપીઓમાં સામેલ
CBIની તપાસ મુજબ પુણેના પ્રોફેસર પી.વી. કુલકર્ણી આ સમગ્ર કાવતરાના મુખ્ય આરોપીઓમાંના એક છે. તેઓ વર્ષ 2019થી NTAની કેમિસ્ટ્રી એક્સપર્ટ પેનલ સાથે જોડાયેલા હતા. તપાસ એજન્સીનો દાવો છે કે અંગ્રેજીમાંથી મરાઠીમાં પ્રશ્નપત્રનું અનુવાદ કાર્ય તેમની જવાબદારીમાં હોવાથી તેમને સંપૂર્ણ પ્રશ્નપત્ર સુધી પહોંચ ઉપલબ્ધ હતી.
તપાસમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કુલકર્ણીએ આ પહોંચનો દુરુપયોગ કરીને પ્રશ્નપત્રની માહિતી અન્ય લોકો સુધી પહોંચાડી હતી. CBIના જણાવ્યા મુજબ આ બદલામાં તેમણે અંદાજે ₹21 લાખ જેટલી રકમ મેળવી હોવાનો આરોપ છે.
વિષય નિષ્ણાતો અને કોચિંગ નેટવર્ક વચ્ચે કથિત સાંઠગાંઠ
ચાર્જશીટ અનુસાર કુલકર્ણીએ અન્ય બે વિષય નિષ્ણાતો સાથે મળીને પોતાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્નો ઉપલબ્ધ કરાવ્યા હતા. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ત્યારબાદ પ્રશ્નપત્ર એક સુનિયોજિત નેટવર્ક મારફતે આગળ પહોંચાડવામાં આવ્યુ, જેમાં કોચિંગ સંસ્થાઓના સંચાલકો, કાઉન્સેલિંગ સેન્ટર ચલાવતા લોકો અને અન્ય મધ્યસ્થીઓનો સમાવેશ થતો હતો.
CBIના જણાવ્યા મુજબ ત્યારબાદ પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ₹50 હજારથી લઈને ₹10 લાખ સુધીની રકમ લઈને વેચવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે.
પૈસા કમાવવાનો અને કોચિંગ સંસ્થાઓની પ્રતિષ્ઠા વધારવાનો આરોપ
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર કથિત કાવતરાનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે નાણાકીય લાભ મેળવવાનો હતો. સાથે જ કોચિંગ સંસ્થાઓના પરિણામોમાં સુધારો કરીને તેમની બજારમાં વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાવાયું છે.
CBIનું કહેવું છે કે તપાસ દરમિયાન અનેક રાજ્યોમાં ફેલાયેલું એક સંગઠિત નેટવર્ક સામે આવ્યું છે, જેમાં NTAના વિષય નિષ્ણાતો, કોચિંગ સંસ્થાઓ અને એજન્ટો વચ્ચે પરસ્પર સંકલન હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે.
વિદ્યાર્થીઓ માટે કથિત વિશેષ ક્લાસનું આયોજન
તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોફેસર કુલકર્ણી પોતાના નિવાસસ્થાને મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપતા હતા. આરોપ છે કે આ દરમિયાન તેઓ પ્રશ્નો, વિકલ્પો અને તેમના જવાબો બોલીને લખાવતા હતા અને વિદ્યાર્થીઓ તેને પોતાની નોટબુકમાં નોંધતા હતા.
CBIના દાવા મુજબ બાદમાં જપ્ત કરાયેલી કેટલીક નોટબુકમાં નોંધાયેલા પ્રશ્નો અને સત્તાવાર NEET પ્રશ્નપત્ર વચ્ચે નોંધપાત્ર સમાનતા જોવા મળી હતી.
અલગ ગુનાહિત ગેંગ નહીં પરંતુ સંકલિત નેટવર્કનો દાવો
તપાસ દરમિયાન CBIને એવો કોઈ પુરાવો મળ્યો નથી કે પ્રશ્નપત્ર લીક માટે અલગથી કોઈ સ્વતંત્ર ગુનાહિત ગેંગ કાર્યરત હતી. તેના બદલે તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક કોચિંગ સંચાલકો અને વિષય નિષ્ણાતો વચ્ચેનું નેટવર્ક વિદ્યાર્થીઓને પરીક્ષામાં લાભ અપાવવાના હેતુથી કાર્યરત હતું.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પ્રશ્નપત્ર અથવા તેના વિવિધ ભાગો અલગ-અલગ વ્યક્તિઓને વેચીને કેટલાક આરોપીઓએ ₹50 હજારથી લઈને ₹15 લાખ સુધીની કમાણી કરી હોવાનો આરોપ છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ અત્યાર સુધી આરોપીઓ સામે અગાઉનો કોઈ નોંધાયેલ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી.
અન્ય વિષય નિષ્ણાતો સામે પણ કાર્યવાહી
CBIએ પોતાની ચાર્જશીટમાં NTAની વિષય નિષ્ણાત મનીષા હવાલદાર અને મનીષા માંધરેના નામ પણ સામેલ કર્યા છે. તપાસ અનુસાર મનીષા માંધરે પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલા હતા અને બોટની તથા ઝૂલોજી વિભાગ અંગેની માહિતી ધરાવતા હતા, જ્યારે મનીષા હવાલદારને ફિઝિક્સ વિભાગ સંબંધિત માહિતી ઉપલબ્ધ હતી.
તપાસ એજન્સીનો દાવો છે કે કુલકર્ણીએ મનીષા વાઘમારે દ્વારા ભેગા કરાયેલા વિદ્યાર્થીઓ માટે યોજાયેલા વિશેષ સત્રોમાં પ્રશ્નો અને જવાબોની માહિતી આપી હતી.
બેંક ખાતા, લોકર અને ડીમેટ ખાતા ફ્રીઝ
CBIએ નાણાકીય વ્યવહારોની પણ વિગતવાર તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અનેક આરોપીઓના બેંક ખાતા, બેંક લોકર તેમજ એક ડીમેટ ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે.
એજન્સીના જણાવ્યા મુજબ ડિજિટલ ફોરેન્સિક તપાસ, હેન્ડરાઇટિંગ નિષ્ણાતોના અભિપ્રાય અને શૈક્ષણિક નિષ્ણાતોની રિપોર્ટના આધારે તપાસ આગળ વધારવામાં આવી છે. તપાસમાં મળેલા પુરાવાઓના આધારે આરોપીઓની પરીક્ષા પહેલાં પ્રશ્નપત્રના કથિત પ્રસાર સાથે સંડોવણી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિશાળ પુરાવા અને સાક્ષીઓનો સમાવેશ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં CBIએ 360 સાક્ષીઓના નિવેદનો, 422 દસ્તાવેજી પુરાવા અને 43 ભૌતિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો છે. તપાસ એજન્સીએ તમામ 13 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, પુરાવા નષ્ટ કરવા સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ આરોપ મૂક્યા છે.
તે ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અને જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) અધિનિયમ, 2024ની સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ફરી ચર્ચા
NEET UG પ્રશ્નપત્ર લીક કેસ સામે આવ્યા બાદ દેશભરમાં પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા અને સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ હતી. આ કેસના કારણે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને પરીક્ષા પ્રક્રિયામાં સુધારાની માંગ ઉઠી હતી. હવે CBI દ્વારા પ્રથમ ચાર્જશીટ દાખલ થતાં તપાસનો આગામી તબક્કો કોર્ટની કાર્યવાહી અને રજૂ કરાયેલા પુરાવાઓના આધારે આગળ વધશે.







