
સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું.
વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કર્યા બાદ સાંસદોને તેના પર બોલવા માટે સમય આપવામાં આવ્યો હતો. ઘણા પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યા પછી બિલને ફરીથી રજૂ કરવા માટે ઇલેક્ટ્રોનિક મતદાન થયું. પક્ષમાં 220 અને વિપક્ષમાં 149 મત પડ્યા હતા. સ્પીકરે કહ્યું કે જે સભ્યો પોતાનો મત બદલવા માંગે છે, તેઓ સ્લીપ લઈ લે. ત્યારપછીની મતગણતરીમાં પક્ષમાં 269 અને વિપક્ષમાં 198 મત પડ્યા હતા. કાયદા મંત્રી મેઘવાલે ફરીથી બિલ રજૂ કર્યું.
મેઘવાલે કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાઓમાં સંશોધનનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ- 1963, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી- 1991 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ- 2019નો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધારા પણ કરી શકાય છે.
અમિત શાહે કહ્યું કે જ્યારે બિલ કેબિનેટમાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ને મોકલવામાં આવે છે. વન નેશન, વન ઈલેક્શન બિલના વિરોધમાં સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે વન નેશન, વન ઈલેક્શન બિલ દેશમાં તાનાશાહી લાવવાનો ભાજપનો પ્રયાસ છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- 2029 કે 2034માં એક સાથે ચૂંટણી શક્ય છે
પૂર્વ રાષ્ટ્રપતિ અને સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વિશે કહ્યું – દેશમાં 2029 અથવા 2034માં એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે. જે દિવસે આપણું અર્થતંત્ર 10%-11% સુધી વધશે, તે દિવસે આપણો દેશ વિશ્વની ત્રીજા-ચોથા સૌથી મોટા અર્થતંત્રોની હરોળમાં આવી જશે. આ મોડલ ભારતીય વસ્તીનો વિકાસ કરવામાં સક્ષમ છે. અન્ય પાસાઓમાં પણ આ મોડલ અપનાવવું રાષ્ટ્ર માટે મદદરૂપ થશે.