
સમગ્ર ભારતને હચમાચી દેનારા બળાત્કારના કેસ એટલે કે નિર્ભયા ગેંગ રેપ કેસને આજે 12 વર્ષનો સમય વિત્યો છે. જેમાં પિડિતાનું મોત થયું હતુ.
ત્યારે તેની 12મી પુણ્યતિથિ પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. જેમાં બળાત્કારના ગુનેગારોને નપુંસક બનાવવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા અંગે માર્ગદર્શિકા બનાવવા અને કાયદામાં સુધારો કરવા સહિતની 20 માંગણીઓ કરવામાં આવી છે.
મહિલા વકીલોના સંગઠન સુપ્રીમ કોર્ટ વુમન લોયર્સ એસોસિએશનએ અરજીમાં જાહેર ઇમારતો અને સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા, ઓનલાઈન પોર્નોગ્રાફિક અને ઓટીટી અશ્લીલ સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.
જાણો નિર્ભયા કેસનો મામલો
વર્ષ 2012ની 16 ડિસેમ્બરે દિલ્હીમાં નિર્ભયા પર 6 શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતુ. જ્યારે તેની સ્થિતિ ગંભીર બની ત્યારે નિર્ભયાને 27 ડિસેમ્બરે સારવાર માટે સિંગાપોર લઈ જવાઈ હતી. જ્યાં 29 ડિસેમ્બરે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું હતુ. નિર્ભયાના 6 આરોપીઓમાંથી 4 ગુનેગારોને ફાંસી અપાઈ હતી. જ્યારે 1 ગુનેગાર તિહારની જેલમાં આપઘાત કરી લેતા મોતને ભેટ્યો હતો.