
Christmas protest: સમગ્ર દેશમાં આ વખતે ક્રિસમસ અને 31ની ઉજવણી ઉપર અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હિન્દૂ સંગઠનો આ વખતે તમામ જગ્યાએ ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરી રહયાના બનાવો સામે આવી રહયા છે,અનેક જગ્યાએ તોડફોડના અહેવાલો છે,દુકાનો અને મોલમાં ક્રિસમસ ટ્રી તેમજ શાંતાક્લોઝ કે ટોપી રાખવા કે વેચવા પર પણ વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના થલતેજ સ્થિત પેલેડિયમ મોલમાં પણ આજે શનિવારે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે કરાયેલા ડેકોરેશનનો વિરોધ થયો હતો અને ક્રિસમસ ટ્રી તોડી નખાયું હતું.
ભગવા સેનાના કાર્યકરોએ મોલમાં ક્રિસમસ ડેકોરેશન સામે વિરોધ કરી ક્રિસમસ ટ્રીને એક બાદ એક નીચે પાડી દઈ વિરોધ વ્યક્ત કર્યો હતો, પરિણામે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કેટલાક કાર્યકરોની અટક કરી હતી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા તેમજ મોલ ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
■દેશમાં ઠેરઠેર ક્રિસમસના વિરોધના અહેવાલો
નાતાલ-ક્રિસમસ પર્વ ઉપર દેશના અનેક શહેરોમાં હિન્દુ સંગઠનો દ્વારા ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે.
આસામમાં નલવાડી જિલ્લામાં આવેલ એક સ્કુલમાં ક્રિસમસની ઉજવણી દરમિયાન તોડફોડ કરી ઉપરાંત દુકાનોમાં ક્રિસમસ તહેવાર અનુરૂપ વેચવા માટે રાખવામાં આવેલા સામાનને તોડી વિખેરી નાખ્યો પરિણામે વેપારીઓને નુકશાન થયું.અહીંની પાનિગાંવ સેન્ટમેરી સ્કુલમાં યોજાનાર ક્રિસમસ કાર્યક્રમ વખતે ઘૂસેલા ટોળાએ તોડફોડ કરી બેનર-પોસ્ટર પણ સળગાવી નાખ્યા.
યુપીમાં બરેલીમાં એક ચર્ચ સામે હિન્દુવાદી સંગઠનોના કાર્યકરોએ દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અહીં એકત્ર થયેલા કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યા હતો કે ચર્ચમાં ક્રિસમસ કાર્યક્રમની ઉજવણી દરમિયાન હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો જેથી હિન્દૂ સંગઠનો ત્યાં પહોંચ્યા અને શ્રી હનુમાનજી ચાલીસાનું પઠન કર્યું અને જય શ્રી રામ અને હરહર મહાદેવના નારા લગાવ્યા હતા.
હરિયાણાના હિસ્સારમાં પણ ક્રિસમસ પર શહેરની 160 વર્ષ જૂના ચર્ચ બહાર બજરંગ દળ દ્વારા હિન્દુ શકિત સંગમ નામના ધાર્મિક કાર્યક્રમના આયોજનની જાહેરાત કરવામાં આવતા અહીં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
જ્યારે છતીસગઢની રાજધાની રાયપુરમાં એક મેગ્નેટો મોલમાં લાઠીઓ સાથે ઘૂસી ગયેલા એક ટોળાએ ક્રિસમસના તહેવાર માટે ગ્રાહકોને આકર્ષવા માટે લગાવેલી સજાવટ તોડી નાખી હતી.મધ્યપ્રદેશના જબલપુરમાં પણ ક્રિસમસ કાર્યક્રમમાં સામેલ એક પ્રજ્ઞાચક્ષુ મહિલાને ભાજપ નેતા અંજૂ ભાર્ગવે જાહેરમાં અપશબ્દો બોલી પરેશાન કર્યાના અહેવાલો છે.
જ્યારે દિલ્હીમાં પણ સાંતા કલોઝની ટોપી પહેરેલી મહિલાઓને બજરંગ દળના કાર્યકરો દ્વારા પરેશાન કર્યાના અહેવાલો સામે આવી રહયા છે ત્યારે અમદાવાદમાં પણ થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલમાં ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે કરાયેલી સજાવટ તોડી પાડવામાં આવી હતી.
ભગવા સેનાના કાર્યકરોએ મોલમાં લાગેલા ડેકોરેશન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ક્રિસમસ ટ્રીને તોડી પાડતા ભારે તંગદિલી ઉભી થતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને પોલીસે ભગવા સેનાના કેટલાક કાર્યકરોની અટકાયત કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને મોલ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









