
Bangladesh Politics: બાંગ્લાદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના શાસનનો અંત લાવનારા વિદ્યાર્થીઓને હવે યુનુસ સરકાર પર ભરસો રહ્યો નથી. જેથી તેઓ હવે વર્તમાન સરકારને પણ ઉથલાવી પાડવાની રણનીતી બનાવી રહ્યા છે.
નવા રાજકીય પક્ષ માટે ગતિવિધિ
સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વિદ્યાર્થી જૂથો આ અઠવાડિયે એક નવો રાજકીય પક્ષ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, આ નવી પાર્ટીમાં નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની ભૂમિકા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. યુનુસે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો રાજકારણમાં જોડાવાનો કોઈ ઇરાદો નથી.
વચગાળાની સરકારમાં યુનુસની ભૂમિકા
શેખ હસીનાની હકાલપટ્ટી બાદ વિદ્યાર્થી જૂથોએ મોહમ્મદ યુનુસને મુખ્ય સલાહકાર બનાવીને વચગાળાની સરકારની રચના કરી હતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે વિદ્યાર્થી જૂથના નવા પક્ષમાં યુનુસની ભૂમિકા હશે કે નહીં. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.
ભૂતકાળમાં હિંસક આંદોલનો
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સંગઠન “સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન” (SAD) ભારે હિંસક આંદોલનો કર્યા હતા. આંદોલન જાહેર ક્ષેત્રના નોકરીના ક્વોટા સામે શરૂ થયા હતા, જે પાછળથી હિંસક બન્યા અને આખાં દેશમાં હિંસા ફેલાઈ ગઈ હતી. આ આંદોલનોને કારણે બાંગ્લાદેશમાં ભારે અશાંતિ ફેલાઈ ગઈ અને શેખ હસીનાને ભારત ભાગીને આવતું રહેવું પડ્યું હતુ. જે હજુ પણ ભારતમાં જ રહેતી હોવાનું કહેવાય છે.
વિદ્યાર્થી પોતાની પાર્ટી નવી બનાવશે
કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થી જૂથ બુધવારે એક મોટી જાહેરાત કરી શકે છે, જેમાં નવી પાર્ટીની રચના અંગે નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાહિદ ઇસ્લામે પણ આ વચગાળાની સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેઓ આ નવી પાર્ટીના કન્વીનર તરીકે જોડાઈ શકે છે.
બાંગ્લાદેશમાં ચૂંટણીનું ભવિષ્ય
શેખ હસીનાની સરકાર ગયા પછી બાંગ્લાદેશમાં ચૂંટણીઓ અંગે અનિશ્ચિતતા છે. જોકે, મોહમ્મદ યુનુસે તાજેતરમાં કહ્યું હતું કે 2025 ના અંત સુધીમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો વિદ્યાર્થી જૂથ એક મજબૂત રાજકીય બળ બને છે, તો તે બાંગ્લાદેશના રાજકારણમાં મોટો બદલાવ આવી શકે છે.
ચૂંટણી લડવા પર યુનુસનું સ્પષ્ટ નિવેદન
મુહમ્મદ યુનુસે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને ચૂંટણીમાં ભાગ લેવામાં કોઈ રસ નથી. યુનુસના કાર્યાલયે પણ નવી પાર્ટીના રચના અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
બાંગ્લાદેશમાં હજુ પણ અશાંતિ
શેખ હસીનાએ પદ છોડ્યું ત્યારથી બાંગ્લાદેશમાં ભારે અશાંતિનું વાતાવરણ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા. જેમાં 1,000 થી વધુ લોકોના મોત થયા હતા. આ આંદોલનોએ બાંગ્લાદેશના રાજકારણને હચમચાવી નાખ્યું છે અને હવે જોવાનું એ રહેશે કે નવા પક્ષની રચના દેશના રાજકીય વાતાવરણમાં શું પરિવર્તન લાવે છે.
રાજકારણમાં આ નવા આંદોલન અંગે બાંગ્લાદેશના નાગરિકોમાં આશંકા અને આશા બંનેનું મિશ્રણ છે. વિદ્યાર્થી જૂથની યોજના કેટલી સફળ થાય છે અને તે દેશના ભવિષ્યને નવી દિશા આપી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચોઃ Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકાતા સહિત અનેક શહેરો ધણધણ્યા
આ પણ વાંચોઃ RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં
આ પણ વાંચોઃ Anand: ચરોતરના સમૃધ્ધ ગણાતાં ધર્મજ ગામે કમળાના રોગે માથુ ઉંચક્યુ, અત્યાર સુધી 91 દર્દી, શું છે લક્ષણો?