
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે સીએમ યોગી આદિત્યનાથે દિલ્હીની મુલાકાત લીધી હતી અને અમિત શાહ-જેપી નડ્ડા સહિત અનેક નેતાઓને મહાકુંભ માટે આમંત્રણ આપ્યું હતું. જેને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સીએમ યોગી પર આકરા પ્રહારો કર્યા છે. સંભલમાં ચાલી રહેલા ખોદકામ અંગે તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી યોગીના આવાસની નીચે શિવલિંગ છે, ત્યાં પણ ખોદકામ કરવું જોઈએ. જો કે આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મહાકુંભના આમંત્રણને લઈને પણ નિશાન સાધ્યું
સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે કહ્યું કે મહાકુંભ માટે કોઈને આમંત્રણ આપવામાં આવતું નથી. લોકો કુંભમાં શ્રદ્ધાના કારણે આવે છે. શું કુંભમેળામાં આવનારા કરોડો લોકોને આમંત્રણ આપવામાં છે? જો કે આ સરકારની વાત જ અલગ છે.
યોગી સરકારમાં કામ થઈ રહ્યું નથી
અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે આગ્રામાં દેશનું સર્વશ્રેષ્ઠ મ્યુઝિયમ બનવાનું હતું, પરંતુ સપા સરકાર જતા જ આ પ્રોજેક્ટ એવી જ હાલતમાં પડી રહ્યો છે. આજે દુનિયા ક્યાં પહોંચી ગઈ છે? યોગી સરકારમાં કોઈ કામ નથી થઈ રહ્યું, માત્ર સપા સરકારમાં થયેલા કામની ગણતરી થઈ રહી છે.