
Vadodara News: વડોદરા પાસેના અંકોડીયા ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી મેડિકલ કોલેજના બે MBBS વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. મૃતકોની ઓળખ સુરતના આદિત્ય રામાકૃષ્નન ઐયર (ઉ.વ. 21) અને જામનગરના પ્રેમ પ્રવિણભાઈ માતંગ (ઉ.વ. 21) તરીકે થઈ છે, જેઓ બંને ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા.
મળતી જાણકારી અનુસાર ગઈકાલે આદિત્ય અને પ્રેમ તેમના બે અન્ય મિત્રો, સંકેત નહટો અને અંશ પારગી, સાથે ફરવા માટે અંકોડીયા ગામે નર્મદા કેનાલ પાસે ગયા હતા. ચારેય મિત્રો કેનાલની બાજુમાં ઊભા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીનું ચંપલ ભૂલથી કેનાલમાં પડી ગયું. ચંપલ લેવાની કોશિશમાં આદિત્ય અને પ્રેમ બંને કેનાલના પાણીમાં ઉતર્યા, પરંતુ તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા.
ઘટના જોઈને બાજુમાં ઊભેલા તેમના મિત્રોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા. ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી, અને લાશ્કરોની ટીમે સ્થળ પર પહોંચીને શોધખોળ શરૂ કરી. લાંબી શોધખોળ બાદ બંને વિદ્યાર્થીઓના મૃતદેહો કેનાલમાંથી મળી આવ્યા.
ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે બંને મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને આ દુઃખદ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.
આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને કોલેજમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.