
- ઔરંગઝેબ વિવાદ પર RSSના દત્તાત્રેય હોસાબલેએ શું કહ્યું?
ઔરંગઝેબ અને તેમની કબરના વિવાદને લઈને નાગપુરમાં હિંસા થઈ હતી. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
રવિવારે દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે આપણે વિચારવું જોઈએ કે આ દેશના ઇતિહાસ સાથે કોને જોડવા જોઈએ.
કર્ણાટકના બેંગલુરુમાં આયોજિત ત્રણ દિવસીય RSS બેઠકના છેલ્લા દિવસે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં હોસબલેએ આ નિવેદન આપ્યું હતું.
સમાચાર એજન્સી ANI અનુસાર, તેમણે કહ્યું, “ઇતિહાસમાં ઘણી ઘટનાઓ બની છે. ઔરંગઝેબ વિશે દિલ્હીમાં ઔરંગઝેબ માર્ગ હતો, તેને બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યો. તેની પાછળ કોઈ હેતુ તો છે ને?”
દત્તાત્રેય હોસબલેએ કહ્યું, “જે લોકો ગંગા-જમુની સંસ્કૃતિ વિશે વાત કરે છે તેમણે ક્યારેય ઔરંગઝેબના ભાઈ દારા શિકોહને આદર્શ બનાવ્યા નહીં. તો મુદ્દો એ છે કે શું આપણે એવા લોકોને આદર્શ બનાવવા જોઈએ જેઓ આ સ્થળની માટી અને સંસ્કૃતિ સાથે ભારતમાં રહ્યા છે કે જેઓ ભારતની વિરુદ્ધ જાય છે.”
તેઓ કહે છે કે “સ્વતંત્રતા ચળવળ ફક્ત અંગ્રેજો સામેની લડાઈ નહોતી. અંગ્રેજો પહેલા આવેલા આક્રમણકારો સામે પણ સ્વતંત્રતા ચળવળ હતી.”
તેમણે કહ્યું કે આમાં વિદેશી, સ્વદેશી કે ધર્મનો કોઈ પ્રશ્ન નથી.
પોતાના જવાબમાં મહારાણા પ્રતાપનો ઉલ્લેખ કરતા હોસાબલેએ કહ્યું, “રાણા પ્રતાપે જે કર્યું તે પણ એક સ્વતંત્રતા ચળવળ હતી. તેથી, જો આજે પણ હુમલો કરવાની માનસિકતા ધરાવતા લોકો અસ્તિત્વમાં છે, તો તેઓ દેશ માટે ખતરો છે. આપણે (વિચારવું જોઈએ) કે આપણે આપણા દેશના ઇતિહાસને કોની સાથે જોડવા માંગીએ છીએ.”
સત્તરમી સદીના મુઘલ સમ્રાટ ઔરંગઝેબનો મકબરો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લા (અગાઉ ઔરંગાબાદ)ના ખુલદાબાદમાં સ્થિત છે.
છેલ્લા કેટલાક સમયથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત કેટલાક હિન્દુ સંગઠનો આ કબરને દૂર કરવાની માંગ કરી રહ્યા છે.
તાજેતરમાં, આ સંગઠનોએ આ માંગણીને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને આ દરમિયાન નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી.