
- વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ કેમ દોડી રહ્યા છે?
ભારતીય શેરબજાર કેમ ઘટી રહ્યું છે? ઓક્ટોબર 2024થી ભારતીય શેરબજારમાં $1 ટ્રિલિયનનું નુકસાન થયું છે, જ્યારે ચીની બજારમાં $2 ટ્રિલિયનનો વધારો થયો છે. ચીનનો હેંગ સેંગ ઇન્ડેક્સ માત્ર એક મહિનામાં 16% વધ્યો છે, જ્યારે ભારતનો નિફ્ટી 2% થી વધુ ઘટ્યો છે. તો શું ભારતમાંથી વિદેશી રોકાણકારો ચીન ભાગી રહ્યા છે કે પરિસ્થિતિ કંઈક બીજી છે?
ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક મહિનાઓથી સંઘર્ષ કરી રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરથી સેન્સેક્સમાં લગભગ 12 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા છ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 9% અને 10%નો ઘટાડો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટાડો એટલા માટે થયો છે કારણ કે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી મોટા પાયે તેમના પૈસા પાછા ખેંચી રહ્યા છે. જે અહેવાલો આવી રહ્યા છે તે આ વાતની પુષ્ટિ કરે છે.
સપ્ટેમ્બરમાં બજાર તેની ટોચ પર પહોંચ્યું ત્યારથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ લગભગ $25 બિલિયન પાછા ખેંચી લીધા છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે શેરબજાર ઊંચા મૂલ્યાંકન અને ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થા અંગે ચિંતાનો સામનો કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ, ભારતીય શેરબજારમાં FIIની વેચવાલી ચાલુ છે. જાન્યુઆરીમાં એક્સચેન્જ દ્વારા 81,903 કરોડ રૂપિયાના શેર વેચ્યા બાદ FIIએ 21 ફેબ્રુઆરી સુધીમાં 30,588 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
તો પ્રશ્ન એ છે કે વિદેશી રોકાણકારો શેરબજારમાંથી ઉપાડેલા પૈસા ક્યાં લઈ રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ એમાં પણ મળે છે કે તેઓ આ પૈસા કેમ ઉપાડી રહ્યા છે?
વિદેશી રોકાણકારો વિવિધ કારણોસર ભારતીય શેરબજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. આમાં ભારતના GDP વૃદ્ધિ દરમાં ઘટાડો, કંપનીઓના નબળા પરિણામો, અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડમાં વધારો, અમેરિકામાં મજબૂત આર્થિક વૃદ્ધિ અને ડોલરમાં વધારો શામેલ છે. યુએસ માર્કેટમાં સારા વળતરને કારણે FII ભારત જેવા ઉભરતા બજારોને બદલે ત્યાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન ચીનના શેરબજારમાં પણ જોરદાર વાપસી થઈ છે. આ કારણે ભારતીય ઇક્વિટી તુલનાત્મક રીતે ઓછા આકર્ષક લાગે છે.
આ પણ વાંચો-આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ પ્રથાને નામે રાજ્યના યુવાનોનું શોષણ: અમિત ચાવડા
ચીનના AI DeepSeekની એન્ટ્રી, ચીની કંપનીઓના પ્રમાણમાં સસ્તા મૂલ્યાંકન, અલીબાબા અને લેનોવો જેવી કંપનીઓના સારા પ્રદર્શનને કારણે રોકારણકારો ચીનમાં રસ દાખવી રહ્યા છે.
લાઇવ મિન્ટના અહેવાલ મુજબ જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “‘સેલ ઈન્ડિયા, બાય ચીન’ વ્યૂહરચનાથી લાભ મળી રહ્યો છે. બજાર સાવધાન મૂડમાં છે, જ્યાં સુધી કોર્પોરેટ કમાણીમાં નોંધપાત્ર સુધારો ન થાય અને સરળ વૈશ્વિક પ્રવાહિતા અને સ્થિર ચલણ સાથે અનુકૂળ વાતાવરણ ન બને ત્યાં સુધી અનુકૂળ સ્થિતિ બની શકશે નહીં. “
FDIમાં પણ મોટો ઘટાડો થયો
FDI એટલે કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ પણ દેશની આર્થિક સ્થિતિ દર્શાવતું સૂચક છે. તાજેતરના મહિનાઓમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે FDI રોકાણકારોએ ભારતીય અર્થતંત્રમાંથી નફો કમાવવાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. FDIમાં રેકોર્ડ ઘટાડાના સમાચાર છે. આ નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબર સમયગાળા દરમિયાન ભારતમાં ચોખ્ખો વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહ પાછલા વર્ષોના સમાન સમયગાળાની તુલનામાં 12 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે.
RBIના ડેટા દર્શાવે છે કે એપ્રિલ-ઓક્ટોબર 2024 માં ભારતમાં ચોખ્ખો FDI પ્રવાહ ઘટીને $14.5 બિલિયન થયો, જે 2012-13 પછીનો સૌથી નીચો છે. ત્યારે તે 13.8 બિલિયન ડોલર હતું. કોરાના મહમારી પછી 2012-13 થી 2023-24 સુધી ચોખ્ખો FDI વર્ષ-દર-વર્ષ ધીમો પડી રહ્યો છે. 2020-21ના એપ્રિલ-ઓક્ટોબર સમયગાળા દરમિયાન ચોખ્ખો FDI 34 બિલિયન ડોલર હતો, જે 2021-22માં ઘટીને 32.8 બિલિયન ડોલર, 2022-23માં 27.5 બિલિયન ડોલર અને 2023-24માં 15.7 બિલિયન ડોલર થયો.
જ્યારે વિદેશી કંપનીઓ રોકાણ માટે ભારતથી દૂર જઈ રહી હોય તેવું લાગે છે, તે વચ્ચે ભારતીય કંપનીઓ પણ એવું જ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યુ છે. એપ્રિલ-ઓક્ટોબર 2024 માં ભારતીય કંપનીઓ દ્વારા વિદેશી રોકાણ વધીને $12.4 બિલિયન થયું, જે ઓછામાં ઓછા 2011-12 પછી સૌથી વધુ છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ 55 ટકાનો વધારો છે.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી કે વિજયકુમારના મતે, ભારતીય બજારો માટે સૌથી મોટી ચિંતા FII દ્વારા સતત વેચાણ છે. “ચીની શેરબજારમાં તીવ્ર તેજી એ નજીકના ભવિષ્યનો બીજો પડકાર છે,” તેમણે કહ્યું, ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ વેલ્થમિલ્સ સિક્યોરિટીઝના ઇક્વિટી સ્ટ્રેટેજીના ડિરેક્ટર ક્રાંતિ બાથિનીએ પણ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં ચીની બજાર રોકાણકારો માટે વધુ આકર્ષક બન્યું છે. જોકે, ચીની શેરબજારમાં મજબૂત તેજી હોવા છતાં બધા નિષ્ણાતો માનતા નથી કે આ વલણ લાંબા સમય સુધી ટકશે.
આ પણ વાંચો-રાજકોટના માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત; ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત