
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત અને આગની ઘટના ઘટી, જેનાથી સમગ્ર શહેર ચોંકી ઉઠ્યું. આ દુર્ઘટના અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે બની હતી. દુર્ઘટનાના દ્રશ્યો એટલા ભયાનક હતા કે ત્યાં હાજર લોકો આ વાતને યાદ કરીને હચમચી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોનાર કોઈપણ વ્યક્તિ ડરી જાય તેવું દ્રશ્ય છે.
આ અકસ્માતમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે, જ્યારે 35 જેટલા લોકો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થળ પર તાત્કાલિક સહાય માટે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમે રાત્રે ભારે જહેમત સાથે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે.
વિસ્ફોટનો અવાજ આવતા જ લોકોએ દોડધામ શરૂ કરી દીધી હતી. ઘટનામાં ગેસ ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલી અથડામણ બાદ ઘણા વિસ્ફોટો થયા, જેના અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા. લોકોએ અકસ્માતનો ભોગ બનેલા લોકોને જીવતા બળી જતા જોયા. આ ઘટનાના કારણે 200 મીટર લાંબો રસ્તો આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો. ઘટનાના કારણે આકાશમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ લગભગ 8 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો. હતો ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દુર્ઘટના સવારે 5.45 વાગ્યે જયપુરના ભાંકરોટા વિસ્તારમાં બની હતી. ભારત પેટ્રોલિયમ કંપનીનું એક LPG ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. યૂટર્ન લેવા દરમિયાન તે અજમેર તરફ જતી ટ્રક સાથે અથડાયું, જેના કારણે ટેન્કરની 5 નોઝલ તૂટી ગઈ અને લગભગ 18 ટન ગેસ લીક થયો હતો. ગેસના લીકેજના કારણે ગંભીર આગ ફાટી નીકળી અને એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા.
જો કે પાછળ આવતું બીજું ટેન્કર અને માચીસના લાકડાઓ ભરેલી ટ્રક સમયસર રોકાઈ ગયા, જેના કારણે આ ઘટના વધુ ભયાનક બનતા અટકી. જણાવી દઇએ કે, આ દુર્ઘટનાના ઘાયલોને તાત્કાલિક સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાક લોકો 80-90 ટકા સુધી દાઝી ગયા છે. અત્યાર સુધીમાં 13 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય 3 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. 9 મૃતકોની ઓળખ કરવામાં આવી છે.