
- 8 લોકોને ફંગોળી બૂમાબૂમ કરનાર રક્ષિત ચોરસિયાને એક દિવસના રિમાન્ડ
8 લોકોને ફંગોળી બૂમાબૂમ કરનાર રક્ષિત ચોરસિયાને કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાના કારેલીબાગ પાસે એક નબીરાએ નશામાં ધૂત થઈને આઠ લોકો ઉપર ગાડી ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો તેનો પતિ જીવન-મરણ વચ્ચે જોકા ખાઈ રહ્યા છે. તે ઉપરાંત એક નાની બાળકી સહિત અન્ય ત્રણ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાનો વડોદરા પોલીસે રેપિડ ટેસ્ટ કર્યો અને તેમાં તેને નશો કર્યો હોવાનું પૂરવાર થઈ ગયું છે. તો મેડિકલ ટેસ્ટ માટે બ્લડના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. જે આવતા થોડો સમય લાગે છે. પરંતુ આ બધા વચ્ચે વડોદરા પોલીસની કામગીરી ઉપર ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
વડોદરા પોલીસ ભોગ બનનારાઓને ન્યાય અપાવવાની જગ્યાએ નશો કરીને અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાનો બચાવ કરતી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. કેમ કે કાયદાકિય પ્રક્રિયા પૂરી નથાય ત્યાર સુધીમાં આરોપીને મીડિયા ટ્રાયલ આપવા દેવી જોઈએ નહીં. પરંતુ અહીં શું થઈ રહ્યું છે? મીડિયા સામે આરોપીને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. તે મીડિયા સામે એકદમ નિર્દોષ બની રહ્યો છે. તે નિવેદન આપી રહ્યો છે કે તે પરિવારની માફી માંગવા જશે.
મૃત્યુ પામેલા વ્યક્તિની કેવી રીતે માફી માંગીશ ભઈ? ખેર, કાયદાકીય રીતે જોઈએ તો હજું સુધી આરોપીની ઓળખ પરેડ પણ કરવામાં આવી નથી. કાયદો કહે છે કે, જો આરોપી જાણિતો ન હોય અને સાક્ષીઓને તેને ઓળખવાની જરૂર હોય તો CRPCની કલમ 9 હેઠળ ઓળખ પરેડ જરૂરી થાય છે.
જો આરોપી ન્યાયિક પ્રક્રિયાને અસફળ કરવા માટે અથવા જનતાના પ્રતિભાવોને પ્રભાવિત કરવા માટે મીડિયામાં નિવેદન આપે તો કોર્ટ તેની સામે અવમાનનાનો કેસ કરી શકે છે.
ઉલ્લેખનિય છે કે, અકસ્માત પછી હજું સુધી આરોપીને કોર્ટમાં પણ રજૂ કર્યો નથી. તે પહેલા જ આરોપીએ એકથી વધારે મીડિયાને પોતાના નિવેદન આપીને પોતે નિર્દોષ હોવાની વાતો કહી છે. તે જનતાના પ્રતિભાવોને પ્રભાવિત કરવા માટે લાગણી સભર નિવેદન મીડિયા સામે આપી રહ્યો છે.
પોલીસે પોતાની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર રક્ષિતને મીડિયા સામે કેમ જવા દીધો? આ પ્રશ્નનો જવાબ વડોદરા પોલીસે આપવો જોઈએ. અમદાવાદમાં બનેલા તથ્યકાંડ વખતે અમદાવાદ પોલીસે તથ્યને મીડિયા સામે હાજર થવા દીધો નહતો. વડોદરા પોલીસે તથ્યકાંડ ઉપર નજર નાંખી હોત તો પણ તેમને ખ્યાલ આવ્યો હોત કે તેઓ જે કરી રહ્યા છે તે કાયદાની વિરૂદ્ધમાં છે.
શું વડોદરા પોલીસ આરોપી રક્ષિતને બચાવવાની કોશિશ કરી રહી છે? શું વડોદરા પોલીસ આરોપીને બચાવવા માટે હાલથી રસ્તો બનાવી આપી રહી છે? પોલીસની કામગીરીને જોતા સ્વભાવિક રીતે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. વડોદરા પોલીસે જવાબ આપવો રહ્યો. જવાબદાર પોલીસ અધિકારીએ જવાબ આપવો રહ્યો.