
- પહેલગામ હુમલા બાદ હવે ભારતે 1960નો સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કર્યો
- અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે
- પાકિસ્તાની નાગરિકોને SAARC વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતમાં મુસાફરી કરવાની મંજૂરી નહીં અપાય
- નવી દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓને અઠવાડિયામાં ભારત છોડવાનો આદેશ
- ઇસ્લામાબાદ ખાતેના ભારતીય હાઈ કમિશનમાંથી ભારતીય અધિકારીઓને પાછા બોલાવી લેવામાં આવશે
(ખાસ નોંધ- આ આર્ટિકલમાં લખેલાં વિચારો મેહુલ વાસુદેવ વ્યાસના છે)
મેહુલ વાસુદેવ વ્યાસ । વર્ષ 2014 પહેલાં દેશ પર આતંકવાદી હુમલો થાય ત્યારે જવાબદાર લોકોના રાજીનામાં માંગનારાઓ અત્યારે સત્તારૂઢ છે અને લગભગ છેલ્લાં 11 વર્ષથી સત્તારૂઢ મોદી સરકારના રાજમાં 18 જેટલાં આતંકવાદી હુમલાઓ ભારત ભૂમિ પર થયાં છે પણ હજી સુધી કથિત સંવેદનશીલ પક્ષના કોઈ સભ્યએ આ માટે પોતાની જવાબદારી લીધી નથી. એવું જ હાલમાં પહેલગામ ખાતે આતંકવાદીઓએ કરેલા નરસંહારમાં જોવા મળી રહ્યું છે. 26/11ના મુંબઈ એટેક વખતે તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે જનતા જોગ ખૂબ જ નબળું ભાષણ કર્યું હોવાનો આક્ષેપ કરનાર… માનનિય… સ્વ-અવતરિત… સ્વ-ઘોષિત મહામાનવ નરેન્દ્ર દામોદરદાસ મોદીએ હજી સુધી દેશની જનતા જોગ કોઈ પ્રકારનું ભાષણ આપ્યું નથી. પરંતુ, તેમના માનનિય ગૃહમંત્રીની નિષ્ફળતાઓ પર પડદો પાડવા અને ભારતના અંધભક્તોમાં જોમનો સંચાર કરવા માટે પાકિસ્તાન પર પાંચ પ્રકારના પ્રતિબંધો લાદતી જાહેરાત કરી છે.
હજી પુલવામાં એટેકની યાદો શહીદોના પરિવારજનોની આંખમાં આંસુ બનીને નિતરી રહી છે ત્યારે પહેલગામમાં ઘટના બની… આતંકવાદીઓને પૂરેપૂરી ખાતરી હતી કે, બૈસરન ઘાટીમાં લગભગ દોઢથી બે હજાર લોકો હશે. એમાંય એ લોકોએ જાણવા મળતાં પ્રમાણે વધુમાં વધુ અડધા કલાકમાં “તમે હિન્દુ છો, કલમો પઢી શકો છો” વગેરે વગરે પુછીને ગોળીબાર કર્યો અને 28 “હિન્દુ” માર્યા ગયાં. જોકે, આ સત્તાવાર 28 લોકોમાં બે મુસ્લિમ પણ હોવાનું જાણવા મળે છે.
હવે, 370ની કલમ હટાવ્યા બાદ અમે જમ્મુ કાશ્મિરમાં આંતકવાદને નેસ્તાનાબૂદ કરી નાંખ્યો છે એવી ખાંડ ખાનારા માનનિય મોદી સાહેબ અને એમનાં અમિત શાહ સાહેબ પોતાની નિષ્ફળતાની જવાબદારી લેવા તૈયાર છે ખરાં? એમને જવાબદારી લેતાં આવડતું હોય એવું સ્હેજેય લાગતું નથી. કારણકે, એમને તો ભક્તો બનાવતાં આવડે છે અને જવાબદારીથી છટકતાં આવડે છે. માત્ર માલેતુજારો માટે “મુજરો” કરતાં આ બંને મહા… મહા… મહા… માનવોએ કહેવાતાં હિન્દુ હ્રદય સમ્રાટોએ પોતાની ભુલો જોવાને બદલે પાકિસ્તાન સામે આકરાં પ્રતિબંધો લાદીને એમનાં ભક્તોને ખુશ કરી નાંખવાનો કારસો રચ્યો હોય એમ લાગે છે.
ફરવાપ્રેમી પીએમ મોદી સાઉદી અરબમાં નૃત્યો નિહાળીને આનંદ માણી રહ્યા હતાં ત્યાં એમનાં રંગમાં ભંગ પાડતો સમાચાર મળ્યો કે, પહેલગામમાં આતંકવાદીઓએ 28 ભારતીયોને ધર્મ પુછીને રહેંસી નાંખ્યાં… પણ, એમણે પોતાનો નૃત્ય પ્રેમ અકબંધ રાખ્યો હોઈ શકે. કારણકે, આપણાં માનનિય વડાપ્રધાન શ્રી કલાપ્રેમી છે એટલે એમણે કલાકારોનું સન્માન જાળવ્યું હોઈ શકે.
બાદમાં તેઓશ્રી આતંકવાદીઓએ ખોટા સમયે હુમલો કર્યો એવો વસવસો રાખીને તાત્કાલિક ભારત દોડી આવ્યાં. પણ, જનતા જોગ સંદેશ આપવાને બદલે એમણે તાત્કાલિક સુરક્ષા અંગેની બેઠક બોલાવી જેમાં ઘટનાને પગલે જમ્મુ-કાશ્મીરની હેલિકોપ્ટર સફર પહોંચી ગયેલાં તેમજ રેડ કાર્પેટ પર મૃતકોને શ્રદ્ધાંજલી આપનાર ગૃહમંત્રી અમિતભાઈ શાહને, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમજ વિદેશ પ્રધાન એસ જયશંકર, અને ખાસ તો NSA અજિત ડોભાલ કે જેમના માથે દેશની સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે એવાં બધાં અધિકારીઓ સાથે બેઠક કરી.
લેફ્ટનન્ટ કર્નલ સહિત 28 લોકોના મોત નિપજ્યા બાદ સુરક્ષા કડક કરવા માટે મળેલી બેઠકમાં જે કંઈ નિર્ણયો લેવાયાં એ અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જાહેરાત કરી કે, પહેલગામ આતંકવાદી હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેબિનેટ સુરક્ષા સમિતિએ 5 મોટા આકરાં નિર્ણય પાકિસ્તાન પરત્વે લીધાં છે.
પહેલો નિર્ણય તો પાકિસ્તાન સાથે 1960માં કરવામાં આવેલો સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યો છે. સાથે ઓફર આપવામાં આવી છે કે, પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ના કરે ત્યાં સુધી આ કરાર સ્થિત રહેશે.
બીજો નિર્ણય છે કે, અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. જે લોકો આ માર્ગથી પાકિસ્તાન ગયાં છે તેઓ 1 મે 2025 પહેલા પાછા ફરી શકે છે.
ત્રીજો નિર્ણય છે કે ભારતમાં રહેતાં પાકિસ્તાનીઓએ 48 કલાકમાં ભારત દેશ છોડી દેવો. અને ચોથો નિર્ણય છે કે, એક અઠવાડિયામાં નવી દિલ્હી ખાતેના પાકિસ્તાન હાઈ કમિશનન અધિકારીઓએ ભારત છોડી દેવું. અને અંતિમ નિર્ણય છે કે પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતેના ભારતીય હાઈ કમિશનમાંથી તમામ અધિકારીઓને પાછા બોલાવી લેવાં.
સમગ્ર ઘટના ક્રમમાં ડબલ – ત્રિપલ એન્જિન સરકારની કોઈ જવાબદારી બનતી નથી. 28 કે તેનાથી વધુ લોકો મૃત્યુ પામ્યા એ માત્ર પાકિસ્તાનની જવાબદારી છે. માનનિય નરેન્દ્ર દામોદરદાસ મોદી અને અમિત શાહની કોઈ જવાબદારી નથી. એમનાં તાબાના તંત્રએ 28 લાશો પડ્યા પછી તાબડતોબ ફોટોગ્રાફ સહિતની વિગતો શોધી કાઢી પણ, હુમલો ના થાય એ અંગે કોઈ વ્યવસ્થા ના કરી શક્યા એમની પણ કોઈ જવાબદારી નથી. વાંક તો માત્રને માત્ર પાકિસ્તાનનો છે.
અંધભક્તોએ આટલે સુધી સમાચાર વાંચ્યો હોય તો… ભરપૂર વખોડશો.. ધ ગુજરાત રિપોર્ટને ટ્રોલ કરો…
આ પણ વાંચોઃ
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?
Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ