
અમદાવાદનો સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજ બંધ રહેવા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. બ્રિજ તોડીને નવો બનાવાશે. 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બંધ રહેશે.
રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો
હવે સારંગપુર બ્રિજ બંધ થતાં લોકોની અવર-જવર માટે રસ્તાને ડાયવર્ટ કરાયો છે. રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.
વૈકલ્પિક માર્ગો
1) ગીતા મંદિર,ગાંધી રોડ,ખાડીયા તથા શહેર તરફથી આવતા વાહનો કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઈ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
2) ગીતા મંદિર તથા શહેર તરફથી આવતા વાહનો જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે, તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
3) રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ જવા રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
4) રખિયાલ ઓઢવ તરફથી કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઇ કાલુપુર બ્રીજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.