
- જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઈન્ડ વિસ્ફોટ; સેનાના 6 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં સબ ડિવિઝનમાં ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં એલઓસી પાસે લેન્ડમાઇન ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં પાંચથી છ જવાનો ઘાયલ થયા છે. તમામની હાલત સ્થિર છે. તેમને આર્મી હોસ્પિટલ રાજૌરી રિફર કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નિયમિત પેટ્રોલિંગ કરતા સેનાના દળે ભૂલથી એક લેન્ડમાઈન્ડ પર પગ રાખી દીધો હતો, જેના કારણે આ વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ સૈનિકોને તાત્કાલિક ધોરણે રાજૌરીની 150 જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટ થયાની માહિતી મળતાં જ ત્યાં સેનાના જવાનો, પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત આસપાસ પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. આ પહેલા નવમી ડિસેમ્બર-2024ના રોજ જમ્મુના પૂંચમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક જવાન શહીદ થયા હતા. ઓક્ટોબર 2024માં કુપવાડામાં સુરંગ વિસ્ફોટ થયો હતો, જેમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા.
આ પણ વાંચો-ટૂંક સમયમાં BCCI બનાવી શકે છે કડક નિયમ; સારું પ્રદર્શન ન કર્યું તો પગાર કપાશે