
Gujarat Data Center Policy: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી ‘ડેટા સેન્ટર પોલિસી’ ને લઈને રાજ્યભરમાં ચર્ચાઓ તેજ બની છે. સરકાર આ નીતિને ડિજિટલ ઈકોનોમી અને ટેકનોલોજીકલ પ્રગતિનું મોટું પગલું ગણાવી રહી છે અને અંદાજે ૬ લાખ કરોડ રૂપિયાના રોકાણનો દાવો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આનાથી રાજ્યમાં ક્લાઉડ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સેમીકન્ડક્ટર ઉદ્યોગને વેગ મળશે. જોકે, આ ચકચકાટભર્યા દાવાઓની પાછળ એક એવું ગણિત છુપાયેલું છે જે પર્યાવરણ અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય છે. વિદેશી ટેકનોલોજી અને ડેટા સેન્ટર કંપનીઓ જે વિશ્વના અનેક દેશોમાં પર્યાવરણીય વિરોધનો સામનો કરી રહી છે, તે હવે ગુજરાતમાં પોતાનો પાયો નાખી રહી છે.
પાણીની તંગી વચ્ચે મહાકાય ઉદ્યોગોનું આગમન
ગુજરાતનું ભૌગોલિક સ્થાન પહેલેથી જ પાણીની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની અછત એક વાસ્તવિકતા છે. આવી સ્થિતિમાં, ૧૦ ગીગાવોટની ક્ષમતા ધરાવતા ડેટા સેન્ટરો અને સેમીકન્ડક્ટર ચીપ બનાવતી ૨૦ કંપનીઓને ગુજરાતમાં લાવવાનો નિર્ણય ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. એક અંદાજ મુજબ, આ કંપનીઓ દ્વારા વપરાતું પાણી રાજ્યની ૮ કરોડની વસ્તી જેટલું પાણી વાપરે છે, તેના કરતાં પણ ઘણું વધારે હશે. મુખ્ય સચિવ એમ.કે. દાસે પોતે સ્વીકાર્યું હતું કે એક ગીગાવોટના ડેટા સેન્ટર માટે રોજનું ૩.૫ કરોડ લીટર પાણી અને લાખો ઘરોને મળે તેટલી વીજળીની જરૂર પડે છે. જો આ રીતે ૨૦ કંપનીઓ કાર્યરત થાય, તો રાજ્યની જળ સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
ડેટા પ્રોસેસિંગનું ‘છુપાયેલું’ પાણીનું ગણિત
આજના ડિજિટલ યુગમાં આપણે ગૂગલ કે ચેટ જીપીટી પર જે સર્ચ કરીએ છીએ, તે પ્રક્રિયા પાછળ મોટા પ્રમાણમાં વીજળી અને પાણીનો વપરાશ થાય છે. એક સામાન્ય સર્ચ કે પ્રશ્નનો જવાબ મેળવવા માટે ડેટા સેન્ટરોએ જે પ્રોસેસ કરવી પડે છે, તેનાથી ઉત્પન્ન થતી ગરમીને ઠંડી રાખવા માટે લાખો લીટર પાણી વપરાય છે. સંશોધનો જણાવે છે કે માત્ર ૧૦ પ્રશ્નો પૂછવા પાછળ એક મોટી ચમચી જેટલું પાણી વપરાય છે. હવે કલ્પના કરો કે કરોડો લોકો જ્યારે સતત ડેટા પ્રોસેસિંગનો ઉપયોગ કરતા હોય, ત્યારે આ ડેટા સેન્ટરોને ઠંડા રાખવા માટે રોજનું કરોડો લીટર પાણી જોઈએ. આ પાણી દરિયાનું હશે કે નર્મદાનું કે પછી ભૂગર્ભ જળનો ઉપયોગ કરાશે, તે બાબતે સ્પષ્ટતાનો અભાવ એક મોટો ભય પેદા કરે છે.
રોજગારીના દાવાઓ સામે નિષ્ણાતોનો અભાવ
સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટ્સથી ૧ લાખ લોકોને રોજગારી મળશે. પરંતુ સવાલ એ છે કે શું ગુજરાતના યુવાનો પાસે સેમીકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરિંગ કે અત્યાધુનિક ડેટા પ્રોસેસિંગની કુશળતા છે? નિષ્ણાતોનું માનવું છે કે મોટાભાગની નોકરીઓ વિદેશી નિષ્ણાતો દ્વારા ભરવામાં આવશે અથવા તો અન્ય રાજ્યના કુશળ લોકો ત્યાં કામ કરશે. સ્થાનિક સ્તરે જે નોકરીઓ મળશે તે કદાચ ખૂબ જ પાયાના સ્તરની હશે. ગુજરાત પાસે અત્યારે એ પ્રકારનો સ્કિલ્ડ મેનપાવર ઉપલબ્ધ નથી જે આટલી જટિલ ટેકનોલોજીને હેન્ડલ કરી શકે. પરિણામે, સ્થાનિક લોકોને આ પ્રોજેક્ટ્સનો આર્થિક લાભ મળે તે બાબત પણ શંકાના દાયરામાં છે.
વિકાસના નામે પર્યાવરણીય વિરોધાભાસ
વિશ્વભરમાં જ્યાં પણ આ પ્રકારના ડેટા સેન્ટરો સ્થપાય છે, ત્યાં સ્થાનિક લોકો દ્વારા પર્યાવરણને થતા નુકસાન અંગે વિરોધ થઈ રહ્યો છે. સમુદ્રનું પાણી રીસાયકલ કરી વાપરવાના દાવાઓ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સવાલોના ઘેરામાં છે, કારણ કે દરિયાનું તાપમાન વધવાથી દરિયાઈ જીવસૃષ્ટિ પર વિપરીત અસર પડે છે. સાણંદ, ધોલેરા અને સુરત જેવા વિસ્તારોમાં જ્યાં પહેલેથી જ પાણીની વ્યવસ્થા મર્યાદિત છે, ત્યાં આટલા મોટા પ્રોજેક્ટ્સ લાવવા એ કુદરતી સંસાધનો પર આક્રમણ સમાન છે. સરકાર જ્યારે ‘ઝીરો ડિફેક્ટ’ અને ‘ઝીરો ઇફેક્ટ’ની વાત કરે છે, ત્યારે વાસ્તવિકતામાં તે પર્યાવરણને થતા નુકસાનને નજરઅંદાજ કરી રહી હોય તેવું લાગે છે.
શું ગુજરાત ફરી દુષ્કાળ તરફ જઈ રહ્યું છે?
જો ૨૦૩૦ સુધીમાં ૧૭ મહાનગરો જેટલું પાણી માત્ર આ કંપનીઓ વાપરી જશે, તો સામાન્ય નાગરિકો અને ખેડૂતો માટે પાણી ક્યાંથી બચશે? ૧.૧૫ કરોડ લીટર પાણીનો દૈનિક વપરાશ એક એવો આંકડો છે જે ગુજરાતની પાણીની સ્થિતિને ડગમગાવી શકે છે. આ કંપનીઓ ભલે આર્થિક વિકાસના આંકડા સુધારી દે, પણ જો ખેતી અને પીવાના પાણીની અછત સર્જાશે, તો તે વિકાસનો અર્થ શું? ગુજરાતના પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યા છે ત્યારે આટલા વિશાળ પ્રમાણમાં પાણીનો વપરાશ રાજ્યને ફરી એકવાર દુષ્કાળ જેવી કપરી સ્થિતિમાં ધકેલી શકે છે. નેતાઓ અને સરકાર જ્યારે આ આંકડાઓ છુપાવે છે, ત્યારે સામાન્ય નાગરિક તરીકે પ્રશ્નો પૂછવા તે આપણી જવાબદારી છે.
પારદર્શિતાની તાતી જરૂરિયાત
આખી ડેટા પોલિસી પાછળ એક મોટી રમત છે. જે ટેકનોલોજી કંપનીઓ પશ્ચિમી દેશોમાં વિરોધને કારણે જગ્યા નથી શોધી શકતી, તેઓ હવે ગુજરાતને પોતાનું સુરક્ષિત આશ્રયસ્થાન માની રહી છે કારણ કે તેમને ખાતરી છે કે અહીં વિકાસના નામે વિરોધને દબાવી દેવામાં આવશે. ભલે મંત્રીઓ હિન્દી કે ગુજરાતીમાં ભાષણો આપીને ગૌરવ લે, પણ વાસ્તવિકતા એ છે કે આપણી આવનારી પેઢીઓ માટે આપણે શું છોડી રહ્યા છીએ? પાણી વિનાનો વિકાસ ક્યારેય ટકાઉ હોઈ શકે નહીં. સરકારને આ બાબતે શ્વેતપત્ર બહાર પાડવાની અને લોકો સમક્ષ પાણીના વાસ્તવિક વપરાશ અને પર્યાવરણીય પ્રભાવ અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે. વિકાસ જરૂરી છે, પણ તે વિનાશના ભોગે નહીં.
આ પણ વાંચો:
Urban Flooding in India: વરસાદે ખોલી ભારતીય શહેરોની આયોજનહીનતાની પોલ – thegujaratreport.com








