
Bhavnagar Fire Incident: ભાવનગર જીલ્લામાં જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ સળગતા નાસભાગ મચી ગઈ હતી. એકાએક આગ ભભૂકતાં જાનૈયાઓ લક્ઝરી બસમાંથી કૂદી પડ્યા હતા. બસ ભડભડ સળી ગઈ હતી. જાનૈયાઓએ ઈમરજન્સી બારીથી કૂદી જીવ બચાવ્યા હતા.
મળતી જાણકારી અનુસાર સિહોરના તાલુકાના બજુડ ગામથી ગારીયાધારના ઘોબા ગામે જાનૈયા ભરીને બસ જવા તૈયારીમાં જ હતી. તે દરમિયાન એકાએક બસમાં આગ ભભૂકી ઉઠી હતી. બસમાં આગ લાગતાં જાનૈયાઓએ ઈમરજન્સી દરવાજાથી છલાંગો લગાવી પોતાના જીવ બચાવ્યા હતા. આગમાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને રાખ થઈ ગયું હોવાની જાણકારી મળી રહી છે.
એન્જિનમાં આગનો તણખો થયા બાદ આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. જો કે લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને નષ્ટ થઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સળગેલી બસ પર પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. જાનૈયાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચોઃ USથી ત્રીજા તબ્બકામાં ડિપોર્ટ થયેલા 33 ગુજરાતી આજે અમદાવાદ આવશે
આ પણ વાંચોઃ Leopard attack: ગીર ગઢડામાં રમતી બાળકી પર દિપડાએ હુમલો કરતાં મોત, પરિવાર આઘાતમાં