
- મણિપુરમાં એક CRPF જવાને પોતાના જ કેમ્પ પર કર્યો ગોળીબાર; 2 જવાનના મોત 8 ઘાયલ
મણિપુરમાં એક CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી. આ ગોળીબારમાં બે સૈનિકો માર્યા ગયા અને 8 ઘાયલ થયા. આ ઘટના ગુરુવારે (13 ફેબ્રુઆરી, 2025) રાત્રે લગભગ 8.20 વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફાલ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, 120મી બટાલિયનના હવાલદાર સંજય કુમારે પોતાની સર્વિસ ગનમાંથી ગોળીબાર કર્યો, જેમાં એક કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટરનું મોત થયું અને પછી તેણે પોતાને ગોળી મારી દીધી.
ગોળીબારમાં આઠ સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ઇમ્ફાલ સ્થિત રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં લઈ જવામાં આવ્યા હતા. સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ કેમ્પમાં પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
સૈનિકે ગોળીબાર કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. CRPF એ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં અમેઠીમાં CRPF કેમ્પમાં એક જવાને પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તે આસામનો રહેવાસી હતો અને ત્રિસુંડીમાં CRPF કેમ્પમાં પોસ્ટેડ હતો.
આ પણ વાંચો-‘આજે સૌથી મોટો દિવસ છે’: પીએમ મોદીને મળતા પહેલા ટ્રમ્પની ‘પારસ્પરિક ટેરિફ’ પોસ્ટ