
Amit Khunt Case: રાજકોટના ગોંડલમાં રીબડા ગામના પાટીદાર યુવક અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. આ કેસમાં હનીટ્રેપના આરોપો લાગ્યા બાદ દુષ્કર્મનો ભોગ બનનાર 17 વર્ષીય સગીરાએ ગોંડલ કોર્ટમાં મોટું પગલું ભર્યું છે. સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા, 6 પોલીસ ઇન્સ્પેક્ટર્સ સહિત કુલ 28 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક
સગીરાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે પોલીસે તેના પર ખોટા નિવેદનો આપવા માટે દબાણ કર્યું હતું, જેમાં 6 લોકોના નામ ખોટી રીતે લેવડાવવાનો પ્રયાસ થયો હતો. આ ઉપરાંત, સગીરાએ DCP ઝોન-2 જગદીશ બાંગરવા પર પણ આંગળી ઉઠાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે DCPએ તેને અપમાનજનક ટિપ્પણી કરી હતી, “તું 5 ફૂટની છે અને મોડલ બનવું છે? હાક થૂ!” આ ટિપ્પણીએ સગીરાને માનસિક રીતે હેરાન કરી હોવાનું તેણે જણાવ્યું. સગીરાએ આ મામલાની તપાસ SMC (સ્પેશિયલ મોનિટરિંગ સેલ)ને સોંપવાની માગ કરી છે. કોર્ટે પોલીસને 1 જુલાઈ, 2025 સુધીમાં સંબંધિત CCTV ફૂટેજ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સગીરાનું અગાઉનું નિવેદન
અગાઉ, સગીરાએ JMFC ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે તેના પર અમિત ખૂંટે દુષ્કર્મ કર્યું હતું, પરંતુ પોલીસ અને જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા તેના પર ખોટું નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સગીરાએ ખાસ કરીને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને ઓળખવાની ના પાડી હતી, જણાવ્યું કે તે આ બંનેને ક્યારેય મળી નથી. આ ઉપરાંત, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને પણ ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો. સગીરાએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પણ આવું જ નિવેદન આપ્યું હતું, જેમાં તેણે પોતાના અને પરિવારની સુરક્ષા માટે પોલીસ સુરક્ષાની માગ કરી હતી.
અમિત ખૂંટનો આત્મહત્યા કેસ શું છે ?
5 મે, 2025ના રોજ રીબડા ગામના અમિત ખૂંટે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલાં તેણે એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં હનીટ્રેપના આરોપો અને અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર અને સગીરા સહિતના લોકો દ્વારા ખોટી ફરિયાદ કરાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ સુસાઈડ નોટના આધારે ગોંડલ તાલુકા પોલીસે આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમો હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર અને સગીરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે, આ ઘટનાના 11 દિવસ બાદ પણ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને રહીમ મકરાણી પોલીસની પકડથી દૂર છે.
રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું
આ કેસે ગોંડલ અને રાજકોટમાં પાટીદાર અને ક્ષત્રિય સમુદાયો વચ્ચે તણાવ વધાર્યો છે. જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા જેવા રાજકીય આગેવાનોના નામ સામે આવતાં આ મામલો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સગીરાના આક્ષેપો અને પોલીસની ભૂમિકા પર ઉઠેલા સવાલોને કારણે આ કેસની તપાસ પર સૌની નજર છે. આગામી દિવસોમાં CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આ કેસ કઈ દિશામાં આગળ વધે છે, તે જોવું રહ્યું….
આ પણ વાંચો:
Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!
Ghazipur: સાસરિયાઓએ વહુને પ્રેમી સાથે જોઈ જતા બંનેને બંધક બનાવી કરાવી દીધા લગ્ન
Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ
ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War
Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો