
Banaskantha: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, સામાન્ય માણસતો સુરક્ષિત નથી જ પરંતુ હવે પોલીસ તેમજ પોલીસ પરિવાર પણ સુરક્ષિત નથી રહ્યો. થોડા સમય પહેલા ભાવનગરમાં મહિલા પોલીસકર્મીના દીકરાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક પોલીસ પરિવારની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં બનાસકાંઠાના લાખણીના જસરા ગામમાં એસએમસીના પીઆઇ એ.વી પટેલના માતા પિતાની ઘાતકી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે.
SMC ના PIનાં માતા-પિતાની નિર્મમ હત્યા
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે, જ્યાં SMCના PI એ.વી. પટેલના માતા-પિતાની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી છે. આ ઘટના રાત્રીના સમયે બની હોવાનું જાણવા મળ્યું છે. હત્યા બાદ શખ્સોએ ઘરમાંથી ચોરી કરીને નાસી છૂટવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે, અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.
પગ કાપી કડલા ચોરી કર્યા
મળતી માહિતી મુજબ જસરા ગામમાં રહેતા PI એ.વી. પટેલના પિતા વર્ધાજી પટેલ અને માતા હોશીબેન પટેલની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યાં હતાં તેમજ PI ના માતાના પગમાં પહેરેલા કડલા માટે તેમના પગ જ કાપી નાખ્યા હતા. તેમજ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા છે એવું પણ જાણવા મળ્યું છે કે, ઘરમાં તિજોરી પણ તોડેલી છે અને તેનો સામાન પણ વિખેરાયેલો છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
ઘટનાની જાણ થતાં જ આગથળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, અને પોસ્ટમોર્ટમ બાદ તે પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે.
પોલીસે હત્યારાઓને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ
આ મામલે પોલીસનું કહેવું છે કે, કોઈએ ચોરીના આશયથી આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે. વી કોઈ ગેંગ છે, જે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે તેના પર પોલીસ કામ કરી રહી છે.
ઘરની આસપાસ CCTV કેમેરા ન હોવાથી પોલીસ નજીકના રસ્તાઓ પરના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જ્યો છે. પોલીસે હત્યારાઓને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે, અને આગામી તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ
આ ઘટનાએ લાખણી અને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા જગાવી છે, અને લોકો ઝડપથી ન્યાયની માગ કરી રહ્યા છે. લોકોએ માંગણી કરી છે કે, જે કોઈ પણ આમાં સામેલ હોય તે આરોપીને તાત્કાલિક પકડીને જેલ હવાલે કરવા જોઈએ તેમજ આવા તત્વોને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવી જોઈએ.
આ પણ વાંચો:
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ
Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે