
By- દિલીપ પટેલ
Barda Sanctuary Illegal Liquor: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની સમીપ આવેલું 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કુદરતી સૌંદર્યથી સભર બરડા વન્યપ્રાણી અભયારણ્ય આજે એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. જે વિસ્તારમાં સિંહો અને દીપડાઓનો વસવાટ છે, તે 200 કિલોમીટરનો અભયારણ્ય વિસ્તાર હવે જાણે દેશી દારૂ બનાવવાની ફેક્ટરીમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક જાણકારો અને દારૂના વ્યવસાયથી વાકેફ લોકોના મતે બરડાના ડુંગરોમાં અંદાજે 300 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. સરેરાશ એક ભઠ્ઠીમાં રોજનો 200 લિટર દારૂ બનતો હોવાનું અનુમાન છે, જેનો અર્થ એ થયો કે રોજિંદો હજારો લિટર કેમિકલયુક્ત ખતરનાક દારૂ અહીં ઉત્પાદિત થઈ રહ્યો છે.
પર્યાવરણ અને વન્યજીવો પર તોળાતું જોખમ: વૃક્ષોનું નિકંદન
બરડા અભયારણ્ય એ માત્ર પર્યટન સ્થળ નથી, પણ અનેક કિંમતી ઔષધિઓ અને વન્યસૃષ્ટિનું ઘર છે. જોકે, દારૂ બનાવનારા બૂટલેગરો આ કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. દારૂ ગાળવા માટે ભઠ્ઠીઓમાં બળતણ તરીકે જંગલના ઘટાદાર વૃક્ષોને કાપવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે વનસ્પતિ અને પક્ષીઓના આવાસ નાશ પામી રહ્યા છે. સિંહોની હાજરી હોવા છતાં આ વિસ્તારમાં નિર્ભયપણે ચાલતી ભઠ્ઠીઓ વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. જ્યાં પાણીના કુદરતી ઝરણા વહેતા હોય, ત્યાં જ બૂટલેગરો પોતાના અડ્ડા જમાવીને બેઠા છે.
આરોગ્ય સાથે રમત અને સામાજિક પાયમાલી
બરડામાં બનતો આ દેશી દારૂ અત્યંત ખતરનાક અને કેમિકલયુક્ત હોય છે. આ દારૂ સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જેવા 6 જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવે છે. આ ઝેરી દારૂના સેવનથી અનેક યુવાનો અકાળે અવસાન પામી રહ્યા છે, જેના કારણે આસપાસના નેસ વિસ્તારો અને ગામોમાં વિધવાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. પીવાવાળો વર્ગ અને બનાવનાર વર્ગ અલગ હોવા છતાં, આ આખું રેકેટ સામાજિક સ્વાસ્થ્યને ઉધઈની જેમ કોતરી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2025માં જ અંદાજે 300 કરોડનો દારૂ પકડાયો હોવાના આંકડા આ દૂષણની ગંભીરતા દર્શાવે છે.
રાજકીય છત્રછાયા અને વહીવટીતંત્રની ભૂમિકા પર સવાલ
પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં રાજકીય નેતાઓની ભૂમિકા પણ ચર્ચાના ચગડોળે ચઢી છે. એક તરફ નેતાઓ વ્યસન મુક્તિની વાતો કરે છે અને બીજી તરફ ભાજપના જ એક કાઉન્સિલરની હોટલ પાસે દારૂની દુકાન શરૂ થવા જઈ રહી હોવાની ચર્ચાઓ છે. અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓએ અનેકવાર વ્યસન મુક્તિ યાત્રાઓ કાઢી છે, પરંતુ હવે જ્યારે તેઓ સત્તાધારી પક્ષમાં છે, ત્યારે તેમના જ વિસ્તારમાં ચાલતા આ દેશી દારૂના વેપાર સામે તેઓ કેમ મૌન છે તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે. વન વિભાગ અને પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડીને ‘કામગીરી’ બતાવવામાં આવે છે, પરંતુ 90 ટકા કિસ્સાઓમાં આરોપીઓ ફરાર થઈ જાય છે અને થોડા સમય પછી ભઠ્ઠીઓ ફરી શરૂ થઈ જાય છે.
ઝીરો ટોલરન્સ કે માત્ર દરોડાનું નાટક?
પોલીસ અને વન વિભાગના ચોપડે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક કાર્યવાહીઓ નોંધાઈ છે. 24 ફેબ્રુઆરી 2026ના રોજ 1.20 લાખનો મુદ્દામાલ અને 3,000 લિટર આથો કબજે કરાયો હતો. એ જ રીતે 4 મે 2026ના રોજ વડલાવારી ઝર વિસ્તારમાંથી 36 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. ડ્રોન કેમેરાની મદદથી પણ ભઠ્ઠીઓ પકડવામાં આવી રહી છે. જોકે, આંકડાઓ જોઈએ તો પકડાયેલા દેશી દારૂનું મૂલ્ય કરોડોમાં હોવા છતાં વાસ્તવિક ઉત્પાદન તેની સરખામણીએ ઘણું વધારે હોવાનું મનાય છે. શું આ દરોડા માત્ર હપ્તાખોરી અને સાંઠગાંઠ છુપાવવા માટેનું એક સાધન છે? તેવો સવાલ એક જાગૃત નાગરિક તરીકે ઉઠવો સ્વાભાવિક છે.
જંગલ સફારી અને સિંહોનું ભવિષ્ય
સરકારે બરડા અભયારણ્યમાં 180 કરોડના ખર્ચે ‘જંગલ સફારી’ શરૂ કરી છે અને અહીં સિંહોનું સંવર્ધન કેન્દ્ર પણ બનાવ્યું છે. હાલમાં અહીં અંદાજે 17 જેટલા સિંહો વસવાટ કરે છે. જંગલ સફારીના 27 કિલોમીટરના રૂટ પર પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ જો જંગલમાં દારૂની ભઠ્ઠીઓ અને બૂટલેગરોનો જ દબદબો રહેશે, તો વન્યજીવો અને પ્રકૃતિ કઈ રીતે સુરક્ષિત રહેશે?. વન મંત્રી મૂળુભાઈ બેરા અને અર્જુન મોઢવાડિયાએ આ વિસ્તારના કુદરતી વારસાને બૂટલેગરોના હાથમાંથી છોડાવવા માટે નક્કર પગલાં લેવા પડશે.
આ પણ વાંચો:








