
ભરુચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર ગજારાયા બાદ તેની સ્થિત કફોડી બની ગઈ છે. તેની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. પાડોશી નરાધમે બાળકી પર રેપ કર્યા બાદ લોખંડનો સળિયો ગુપ્તાંગમાં નાખ્યો હતો અને શરીરે બચકા ભરી લીધા હતા. હાલ નરાધમની પોલીસે ધરપકડ કરી લીધી છે.
બીજી તરફ પિડિત બાળકીને સ્થાનિક હોસ્પિટલ બાદ વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જ્યાં બાળકીની સર્જરી કરાઈ હતી. જો કે ડોક્ટરની ભૂલના કારણે તેની ફરી સર્જરી કરવાની ફરજ પડી હતી. હાલ બાળકીનો પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે. મૂળ ઝારખંડના આ પરિવારમાં પતિ-પત્ની સાથે ચાર બાળકો છે. જેમાં બે પુત્રો અને બે પુત્રી છે.
કેમ કરવી પડી પિડિત બાળકીની બેવાર સર્જરી?
બાળકીને મોઢા અને પેટના ભાગે તેમજ ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ છે, ત્યારે પેટના ભાગે થયેલી ગંભીર ઇજાઓને પગલે ભરૂચની હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરાઈ હતી. પરંતુ આ સર્જરી દરમિયાન એક ટાંકો ભૂલી જતાં ડોક્ટરોને આ સર્જરી ફરી કરવાની જરૂર પડી હતી. હાલ બાળકીની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.
આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજના મંત્રી સહિતની ટીમ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ઝારખંડ સરકારની ટીમે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરીને બાળકીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે સમગ્ર ઘટના મામલે કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.