
સાઉથ બોપલમાં પ્રી-બુકિંગના નામે 200 લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. સાઉથ બોપલમાં પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ નામથી 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકવામાં આવી હતી. આ સ્કિમ થકી લોકો સાથે છેતરપિંડી કરનારા મુખ્ય આરોપી જયદીપ કોટકની બોપલ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જમીન ખરીદી કર્યા વગર, રેરાની પરમિશન વગર સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર કેસને લઈને SIT બનાવવામાં આવી છે. 2 DYSP સહિતનાં અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરશે.
જણાવી દઈએ કે, આરોપીઓ દ્વારા પ્રી-બુકિંગ પેટે 200થી વધુ લોકો પાસેથી રૂ.15 લાખ સુધીની રકમ લીધી હતી. પરંતુ કામ-કાજ ચાલું કરવામાં આવ્યું નહતું. તેથી ઘણો સમય વીતિ ગયો હોવાથી એડવાન્સ બુકિંગ કરાવનારા લોકો પૈસા લેવા પહોંચ્યા તો બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહ્યું હતું. ભોગ બનેલા લોકોનું કહેવું છે કે, 200થી વધુ લોકો પાસેથી 35 કરોડથી વધુ ઉઘરાવ્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.
લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડરે બોપલ-ઘુમામાં રિચમન્ડ પ્રિવિલોન નામથી 2 અને 3 બીએચકેની સ્કીમ મુકી હતી. 22 માળની બિલ્ડિંગ માં 66 ફ્લેટ વેચાણ માટે મુકવાનું નક્કી કરાયું હતું. જ્યારે અન્ય એક 14 માળની સેલેસ્ટિયન સ્કીમ મુકાઇ હતી, જેમાં કુલ 600 ફ્લેટ હતા. જેમાં સ્કીમને રેરાની મંજૂરી પહેલા બુકિંગ શરૂ કરી દીધું હતું. અમને જણાવેલી તારીખ સુધીમાં બિલ્ડિંગનું કામ શરુ ન થતાં અમે પૂછપરછ કરતાં ખબર પડી કે સ્કીમની જમીનનો દસ્તાવેજ નહોતો થયો. ત્યારબાદ બિલ્ડર તરફથી અમને કોઈ જવાબ પણ મળ્યો ન હતો. અમારી રકમ પરત ન કરતા અમે પોલીસમાં અરજી કરી છે.
જે જમીન ઉપર કન્સ્ટ્રક્શન કરવાનું હતું તે, અશોક ડાહ્યા ભાઈ પટેલ અને ધરણીધર ડેવલોપરનાં નામે જમીન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર છેતરપિંડી મામલે 138 લોકોની અરજીઓ મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીની મિલકતો પણ ચેક કરવામાં આવશે અને જો ગુનાનાં પૈસાથી મિલકતો વસાવવામાં આવી હશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે.
તે ઉપરાંત પોલીસે ભોગ બનેલા તમામ લોકોને આશ્વસન આપ્યું છે કે, તમામ લોકોના પૈસા સીધી રીતે મળી જાય તેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ સ્ક્રિમમાં ભોગ બનનાર મહેન્દ્ર સિંહ ગોહેલે જણાવ્યુ હતુ કે, તેમણે તેમના બજેટમાં ઘર મળી રહ્યું હોવાના કારણે તેમણે પણ પંદર લાખ 51 હજાર રૂપિયા આપીને બૂકિંગ કરાવ્યું હતું. પરંતુ તેમણે જણાવેલા સમયાનુંસાર બાંધકામ શરૂ કરવામાં આવ્યું નહતું. તો અમે બીજી વખત તેમને પૂછવા ગયા તો બે મહિનામાં કામ શરૂ થઇ જવાનું જણાવ્યું હતું. પરંતુ તે પછી પણ કંઇ જ કામ શરૂ કરવામાં આવ્યું નહતું.
રેરામાંથી મંજૂરી મળ્યા પહેલાં જ બિલ્ડરે બુકિંગ શરૂ કરી દીધું હતું. બુકિંગ કરનારા લોકોના જણાવ્યા મુજબ, બિલ્ડરે એપ્રિલમાં રેરાની મંજૂરી આવી જવાની વાત કરી હતી. પરંતુ રેરાની મંજૂરી ન આવતા તમામ લોકોએ બિલ્ડરને પૂછતાં કહ્યું કે, થોડો વધુ સમય લાગશે, પરંતુ મંજૂરી મળી જવાની વાત કરી હતી. બિલ્ડરે બુકિંગ લઇ લીધુ હતું પરંતુ કામ ચાલુ ચાલુ ન કરતા તમામ ભાંડો ફૂટ્યો હતો.





