
-અર્કેશ જોશી
આ દુનિયામાં આહત કોણ નથી? કોઈ સ્વજનોથી, કોઈ કુટુંબીજનોની, કોઈ પોતાની સાથે થયેલી છેતરપિંડીઓથી, અનેક રીતે બધા જ આહત થાય છે, થતાં રહે છે. એમાંથી કોઈ બાકાત નથી, ભલે બહાર ચહેરો હસતો હોય. ઘણાખરા જીરવી જાય છે. ઘણાથી નથી જીરવાતુ તે અંદરથી બળતા રહે છે.
એ તો બળેલો છે, એવું આપણે કોઈને ને કોઈને ક્યારેક કહીએ, પણ વાસ્તવિકતા એ છે કે બળેલા કોણ નથી? એમ ને એમ કંઈ આટલા બધા દ્વેષથી ખદબદતી દુનિયા દેખાય છે?
દુનિયાથી આહત થઈએ અને જે તામસિક અગ્નિ મનમાં બળતો રહે તે જ શું સમય આવતા, દુનિયાની સચ્ચાઈની ખબર પડતા પ્રભુ તરફ વળી જતી અગ્નિશિખામાં પલટાઈ જતો નથી? એમાંથી જ શું પ્રભુપ્રેમનો અગ્નિ પ્રગટતો નથી?
આ જ તો હેતુ છે દુનિયાથી મળતી બળતરાઓનો! જો એ બળતરાઓ ન હોત તો પ્રભુપ્રેમની અજમાયશ કોઈ કરે ખરા?
અગ્નિને પાવક કહ્યો છે. પછી તે જઠરાગ્નિ હોય કે હ્દયાગ્નિ, આખરે તે પોષે જ છે. સુખ આપીને કે દુઃખ આપીને! દુઃખનો અગ્નિ પરમાત્મા તરફ વળી જાય એટલે કામ થઈ ગયું! દુનિયામાં જે ખરાબ છે તેનું પણ સર્જન સારા માટે જ થયું છે. આ સળગતી દિવાસળીમાં માનવાકૃતિ જોઈ, અને આ વિચાર-કૃતિ રચાઈ ગઈ. જુઓ, તસવીર!
આ પણ વાંચોઃ Health Treatment: ચિકિત્સકોની પથી-જડતામાં પિસાતા દર્દીઓ
આ પણ વાંચોઃ Cricket: ક્રિકેટ અને હું; બોલવાનોય વહેવાર નહીં
આ પણ વાંચોઃchhatrapati shivaji: મરાઠા સામ્રાજ્ય કે હિન્દવી સામ્રાજ્ય?