
Chaitra Navratri 2025: આજ 30 માર્ચથી ચૈત્રી નોરતાનો પ્રારંભ થયો છે. માતાજીના પૂજા અને આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રી. ત્યારે આજે પાવાગઢ, અંબાજી અનો ચોટીલામાં માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે. સવારથી શ્રદ્ધા સાથે ભક્તો મોટી સંખ્યામાં શક્તિપીઠોમાં પહોચ્યા છે.
ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યના અંબાજી, પાવાગઢ, ચોટીલા, કચ્છ સ્થિત માતાનો મઢ વગેરે મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે.
ત્યારે ધાર્મિક સ્થળોએ પહોંચેલા ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં ભક્તોએ સવારની આરતીનો લાહ્વો લીધો છે. નવરાત્રી શરુ થતાં આસ્થાળુંઓ ભક્તિના રંગે રંગાયા છે. પોતાની આસ્થા સાથે ધાર્મિક સ્થળોએ પહોંચી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. ધાર્મિક સ્થળોને ફૂલોથી શણગારી સુશોભિત કરવામાં આવ્યા છે.