
Chhatrapati Shivaji Maharaj Jayanti 2025: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ 2025: મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય ઇતિહાસના સૌથી બહાદુર અને કુશળ યોદ્ધાઓમાંના એક છે, જેમની બહાદુરીની ગાથા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલી છે. દરેક મરાઠા શિવાજી મહારાજનું નામ ગર્વથી લે છે. તેઓ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહાદુરીનું ઉદાહરણ છે.
તેઓ માત્ર તેમની વ્યૂહાત્મક બુદ્ધિમત્તા માટે જ નહીં પરંતુ એક શક્તિશાળી મરાઠા સામ્રાજ્યનો પાયો નાખવા માટે પણ જાણીતા છે. શિવાજી મહારાજની જન્મજયંતિ દર વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે તેમની બહાદુરી, નેતૃત્વ અને પ્રેરણાદાયી જીવનને યાદ કરવામાં આવે છે.
શિવાજી ભોંસલેનો જન્મ
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1930 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી ભોંસલે બીજાપુરના સેનાપતિ હતા. માતા જીજાબાઈએ તેમને બાળપણથી જ ધર્મ, નૈતિકતા અને યુદ્ધ કૌશલ્ય શીખવ્યું હતું. કહેવાય છે કે જીજાબાઈએ તેમને રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવીને એક મહાન યોદ્ધા બનવાની પ્રેરણા આપી હતી.
તોરણા કિલ્લાનો પ્રથમ વિજય
શિવાજી મહારાજે 16 વર્ષની ઉંમરે બીજાપુરનો તોરણા કિલ્લો કબજે કર્યો. આ તેમનો પહેલો વિજય હતો, જેણે તેમની બહાદુરી અને દૂરંદેશી સાબિત કરી. આ પછી તેણે બીજા ઘણા કિલ્લાઓ જીતી લીધા અને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો.
બીજાપુરના સુલતાને શિવાજી મહારાજને હરાવવા માટે અફઝલ ખાન નામના એક ક્રૂર સેનાપતિને મોકલ્યો. તેણે શિવજીને વિશ્વાસઘાતથી મારવાની યોજના બનાવી અને તેમને મળવા બોલાવ્યા. પણ શિવાજી મહારાજને આ યુક્તિ પહેલેથી જ ખ્યાલ આવી ગઈ હતી. જ્યારે અફઝલ ખાને શિવાજીને ભેટવાના બહાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે પોતાના નખ જેવા હથિયારથી તેમને મારી નાખ્યા.
શિવાજીને કપટથી પકડ્યા હતા
ઔરંગઝેબે શિવાજી મહારાજને આગ્રા બોલાવ્યા અને કપટથી તેમને કેદ કર્યા હતા. તેમને આગ્રા કિલ્લામાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા હતા. પણ શિવાજીએ બુદ્ધિ અને ચતુરાઈથી પોતાને બચાવ્યા હતા. તેઓએ બીમાર હોવાનો ડોળ કર્યો અને પોતાની ખોરાકની ટોપલીઓમાં છુપાઈને ભાગી જવાની યોજના બનાવી હતી. આ યોજનથી તે આગ્રા કિલ્લામાંથી સફળતાપૂર્વક ભાગી ગયા હતા અને મહારાષ્ટ્ર પાછા આવી ગયા હતા.
છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્યની વિભાવનાને સાકાર કરી અને મુઘલો, આદિલશાહ અને પોર્ટુગીઝ સામે લડતા લડતા સ્વતંત્ર મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. 6 જૂન 1674ના રોજ રાયગઢ કિલ્લા ખાતે એક ભવ્ય સમારોહમાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તેઓ સત્તાવાર રીતે “છત્રપતિ” બન્યા અને તેમના શાસનનું નામ હિંદવી સ્વરાજ રાખ્યું હતુ.
શિવાજી મહારાજે ભારતમાં પહેલીવાર નૌકાદળની સ્થાપના કરી
શિવાજી મહારાજે ભારતમાં પહેલીવાર એક શક્તિશાળી નૌકાદળની સ્થાપના કરી હતી. તેમણે અરબી સમુદ્રમાં પોર્ટુગીઝ, બ્રિટિશ અને ડચ દળોનો સામનો કરવા માટે શક્તિશાળી જહાજો બનાવ્યા. તેથી તેમને “ભારતીય નૌકાદળના પિતા” પણ કહેવામાં આવે છે.
શિવાજી મહારાજ હંમેશા મહિલાઓનો આદર કરતા હતા અને તેમના સૈનિકોને મહિલાઓના સન્માનનું રક્ષણ કરવાનો આદેશ આપતા હતા. તેમણે ખેડૂતોના રક્ષણ માટે કર પ્રણાલીમાં સુધારો કર્યો. તેમણે કોઈપણ ધાર્મિક આધાર પર ભેદભાવ કર્યો નહીં અને બધા ધર્મોનો આદર કર્યો હતો. તેમનું અવસાન 3 એપ્રિલ 1680માં થયું હતુ.
શિવાજીએ સુરતને લૂંટ્યું હતુ?
ઘણા નિષ્ણાંતો અને રાજકારણીયો દાવા કરે છે કે છત્રપતિ શિવાજીએ સુરતમાં બે વાર લૂંટ ચલાવી હતી. આ મુદ્દે ઘણવીર રાજકારણ પણ ગરમાઈ છે. વર્ષ 2024માં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે શિવાજી મહારાજે ક્યારેય સુરત લૂંટ્યું નથી. કહેવાય છે કે અંગ્રેજો કરતાં ગુજરાત પર મરાઠાઓએ વધારે અત્યાચાર ગુજાર્યો હતો.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીએ મહાકુંભને ‘મૃત્યું કુંભ’ ગણાવીને CM યોગીને કહ્યું; તમે શું આયોજન કર્યું ?
શિવાજીના પુત્ર છત્રપતિ સંભાજી
છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમની ગાથાઓ પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે છત્રપતિ શિવાજીની જેમ તેમના પુત્ર છત્રપતિ સંભાજીએ પણ પોતાનું જીવન દેશ અને હિન્દુત્વ માટે સમર્પિત કર્યું હતું. છત્રપતિ સંભાજી પણ તેમના પિતા છત્રપતિ શિવાજીની જેમ બહાદુરી અને સાહસ હતા.
છત્રપતિ સંભાજીનો જન્મ
છત્રપતિ સંભાજીનો જન્મ 14 મે 1657ના રોજ પુરંદર દુર્ગ, પુણેમાં છત્રપતિ શિવાજી મહારાજની બીજી પત્ની સાઈબાઈને ત્યાં થયો હતો. છત્રપતિ સંભાજી માત્ર બે વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેમનો ઉછેર તેમના દાદી જીજાબાઈએ કર્યો હતો. જીજાબાઈએ સંભાજીમાં બહાદુરી અને પરાક્રમના બીજ વાવ્યા હોવાનું મનાય છે. 14-15 વર્ષની વયે સંભાજીમાં રાજાને કવિતા અને લેખનમાં રસ પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન જ તેઓ સંસ્કૃતના વિદ્વાન બન્યા.
વર્ષ 1680માં છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી, તેમની ત્રીજી પત્ની સોયરાબાઈના પુત્ર રાજારામને ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. તે સમયે છત્રપતિ સંભાજી મહારાજ પન્હાલામાં કેદ હતા. રાજારામના રાજ્યાભિષેકના સમાચાર છત્રપતિ સંભાજીને મળતા જ તેમણે પન્હાલાના કિલ્લેદારને મારી નાખ્યો અને કિલ્લો કબજે કર્યો હતો. આ પછી, 18 જૂન 1680ના રોજ છત્રપતિ સંભાજીએ રાયગઢ કિલ્લા પર પણ કબજો કર્યો. રાજારામ તેમની પત્ની જાનકી અને માતા સોયરાબાઈની ધરપકડ કરવામાં આવી હતી.
23 વર્ષની વયે રાયગઢ કિલ્લામાં છત્રપતિ સંભાજીનો રાજ્યાભિષેક
16 જાન્યુઆરી, 1681ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં છત્રપતિ સંભાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તેઓ 23 વર્ષની ઉંમરે છત્રપતિ બન્યા હતા. બીજી તરફ, છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી, મુગલ સમ્રાટ ઔરંગઝેબને લાગ્યું કે તે હવે સરળતાથી રાયગઢ કિલ્લા પર કબજો કરી લેશે, પરંતુ જ્યારે છત્રપતિ સંભાજી મહારાજ રાયગઢની સત્તા પર આવ્યા ત્યારે ઔરંગઝેબે જ્યારે રાયગઢ પર હુમલો કર્યો ત્યારે તેને છત્રપતિ સંભાજીએ હરાવ્યો હતો.
સંભાજીની અમાનવીય રીતે થઈ હતી હત્યા
છત્રપતિ સંભાજી મહારાજ દ્વારા વારંવારની હાર બાદ, સમ્રાટ ઔરંગઝેબે શપથ લીધા હતા કે જ્યાં સુધી સંભાજી મહારાજની ધરપકડ ન થાય ત્યાં સુધી તે માથા પર ફેટો બાંધશે નહીં. છત્રપતિ સંભાજી મહારાજના સાળાએ તેમની સાથે દગો કર્યો. તે મુઘલો સાથે જોડાયો. જ્યારે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના મિત્ર કેશવ રાજકીય કામકાજ પર સંગમેશ્વરથી રાયગઢ પરત ફરી રહ્યા હતા, ત્યારે સંભાજીથી નારાજ ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને પકડી લીધા અને અમાનવીયતાની તમામ હદો વટાવી દીધી હતી. તેમની જીભ કાપવામાં આવી હતી અને તેમની આંખો પણ ખેંચી લેવામાં આવી હતી. 11 માર્ચ, 1689ના રોજ તેમનું મોત થયું હતુ.
કહેવાય છે કે જ્યારે છત્રપતિ સંભાજી મહારાજના મૃતદેહને તુલાપુરની નદીમાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે કિનારે રહેતા લોકોએ શરીરના અંગો એકઠા કરી, ટાંકા લઈને આખા મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા હતા.
સંભાજી પર બની છાવા ફિલ્મ
સંભાજીની વીર ગાથા પર હાલ ફિલ્મ છાવા ધૂમ મચાવી રહી છે. થિયટરોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. 14 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી સાથે ધમાકેદાર શરૂઆત કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં મૂખ્ય ભૂમિકામાં વિક્કી કૌશલ, અક્ષય ખન્ના અને રશ્મિકા મંદાના છે.
આ પણ વાંચોઃ CEC નિમણૂક પર ઉઠ્યા સવાલ, સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી, વિપક્ષનો હોબાળો