
-અર્કેશ જોશી.
વિજ્ઞાન જેને બીગબેંગ કહે છે, યોગીઓ પરમાત્મા એક હતા તેમાંથી અનેક રૂપે પ્રગટ થયા એમ કહે છે તો ધર્મચૂ્સ્ત લોકો જેને ઈશ્વરની લીલા કહે છે તે સૃષ્ટિના આરભ પહેલાથી એક નિયમ પ્રકૃતિએ બનાવી દીધો છે કે કોઈને અધુરી બાજી છોડવાનો હક નથી. સ્વયં પ્રભુ અને પ્રકૃતિ પણ અધૂરી બાજી મુકતા નથી. એ સિવાય વારંવાર સર્જન વિસર્જન શા માટે તે કરે?
કોઈ વ્યક્તિને સંસારમાંથી મોહ ઉઠી જાય અને સંન્યાસ લઈ લે તો પણ તેની સંસારમાં બાજી અધૂરી રહી હશે તો પાછા વળવું પડશે. એના ઋણાનુબંધો અને કર્મબંધનો તેને પાછો ખેંચી લાવશે.
હમણાં એક દિવસ મારા મિત્ર આધ્યાત્મિક દિશામાં કેવી રીતે જવાય તે સમજાવતા હતા. ત્યારે તેમણે બહું સુંદર વાત કરી કે બધા કહે છે ગાંઠો છોડી દો. પણ આ ગાંઠ ખોલી કોણ શકે? જેને ગાઠ બાંધતા આવડતું હોય તે જ.
આપણે આપણો પોતાનો એક મન, બુધ્ધિ કે હ્દયની અગણિત ગાંઠો લઈને અહીં આવ્યા પછી આ ગાંઠો વાગવા માંડી એટલે તેનાથી છુટવા અધ્યાત્મ તરફ વળ્યા. પરંતૂ આ ગાંઠો બંધાઈ કંઈ રીતે તેની ખબર નહીં હોય તૌ છુટશે કેમ કરીને?
એટલે આપણે જન્મજન્માંતરથી સંસારની આ બાજી રમીએ છીએ. એને રમવી જ પડે છે. કોઈ છટકવા માટે આત્મહત્યા કરે તો બીજા જન્મે પણ બાજી તો રમવી જ પડશે. વિજય ન મળે ત્યાં સુધી તો બાજી મુકી શકાશે નહીં.
એટલે અધ્યાત્મને સમજતા પહેલા આપણી અંદરના અને બહારના સંસારને સમજવો પડે, તે ન સમજાય ત્યાં સુધી સંસારના રચનાકારને જાણી શકાતો નથી.
