
નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના હિત માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. જોકે, સરકારે કરેલી જાહેરાતથી ખેડૂતોને કેટલો ફાયદો થાય, તે તો આગામી સમય જ બતાવશે પરંતુ અત્યાર વાંચક મિત્રોને જણાવવું જરૂરી છે કે, નવા વર્ષના પ્રથમ દિવસે સરકારે ખેડૂતોને લઈને પણ કેટલાક નિર્ણયો લીધા છે.
આ જાહેરાતથી ખેડૂતોને ફાયદો થાય છે કે પછી માત્ર કોર્પોરેટ કંપનીઓ જ તેનો લાભ ઉઠાવી જાય છે, તે પણ એક પ્રશ્ન છે. કેમ કે અત્યાર સુધીમાં ખેડૂતોની સ્થિતિ સુધરવાની જગ્યાએ કફોડી જ થતી રહી છે. તેથી ક્યાંકને ક્યાંક ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો પછી પણ ખેડૂતોની સ્થિતિ સુધરશે કે કેમ તેને લઈને મનમાં આશંકા ઉદ્દભવેલી રહે તે સ્વભાવિક છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં DAP ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજ અને પાક વીમા યોજનાને આકર્ષક બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે, આ નિર્ણયો ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને આંતરરાષ્ટ્રીય બજારની અસરોમાંથી સુરક્ષિત કરવા માટે લેવામાં આવ્યા છે. સરકારે DAP ખાતર માટે સરકાર દ્વારા 3,850 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂરી આપવામાં આવી છે. સરકારે ડીએપી ખાતર ઉપર જાહેર કરેલા પેકેજ પછી કહેવામાં આવી રહ્યું છે કે, ડીએપી ખાતરની થેલી 1350 રૂપિયાની કિંમતમાં મળી રહેશે.
2014થી 2024 દરમિયાન ખાતર સબસિડી રૂ. 11.9 લાખ કરોડ સુધી પહોંચી છે, જે 2004-2014ની તુલનામાં બમણી છે. પરંતુ અહીં તમને જણાવી દઈએ કે, 2014માં, ડીએપી (ડાય-એમોનિયમ ફોસ્ફેટ) ખાતરની કિંમત લગભગ ₹1,200 થી ₹1,300 પ્રતિ 50 કિલો બેગ હતી.આ કિંમત કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના સબસિડી પ્રોગ્રામ હેઠળ નિયંત્રિત કરવામાં આવી હતી, અને સબસિડીને કારણે ખેડૂતોને ખાદ્યપદાર્થો સસ્તા ભાવે ઉપલબ્ધ થતા હતા.
સરકારે પાક વીમાને લઈને જણાવ્યું છે કે, પાક વીમા યોજનાને વધુ આકર્ષક બનાવવા અને ખેડૂતો માટે સરળ બનાવવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ હેઠળ પાક વીમાના દરમાં ઘટાડો કરવામાં આવશે, જેથી વધુમાં વધુ ખેડૂતોને તેનો લાભ ઉઠાવી શકે. આ યોજના હેઠળ વિમાના નિયમો અને પ્રક્રિયાઓને સરળ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ખેડૂતોએ યોગ્ય સુરક્ષા મેળવવી સરળ બની શકે.
જણાવી દઈએ કે ભારત તેની કુલ DAP માંગનો મોટો હિસ્સો આયાત કરે છે. આયાત મુખ્યત્વે ચીન, સાઉદી અરેબિયા અને મોરોક્કો જેવા દેશોમાંથી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવમાં વધારાને કારણે DAPની કિંમત વધે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને રાહત આપવા માટે સરકાર સબસિડી આપે છે. પાક વીમા યોજનાને સરળ બનાવવા તેના નિયમો અને નિયમોમાં સુધારો કરવામાં આવશે. સસ્તા દરે અને સરળ નિયમો હેઠળ પાકનો વીમો મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
યુનાઇટેડ કિસાન મોરચાએ તેની માંગણીઓ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિએ SKMને ચર્ચા માટે 3 જાન્યુઆરીએ બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. SKMએ કહ્યું કે SKM કોર્ટની દખલગીરી સ્વીકારતું નથી કારણ કે ખેડૂતો નીતિ વિષયક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર સાથે લડી રહ્યા છે. જ્યાં કોર્ટની કોઈ ભૂમિકા નથી.
દરમિયાન 4 જાન્યુઆરીએ ખનૌરી બોર્ડર પર મહાપંચાયત બોલાવવામાં આવી છે. ખેડૂત નેતા જગજીત દલ્લેવાલે 4 જાન્યુઆરીએ મહાપંચાયત બોલાવી છે. જેમાં તે ખેડૂતોને મહત્વપૂર્ણ સંદેશો આપશે. આ મહાપંચાયતમાં પંજાબ ઉપરાંત નજીકના રાજ્યોના ખેડૂતો પણ ભાગ લેશે.







