
Gandhinagar Hindu Muslim Controversy: ગુજરાતમાં સતત કોમી એકતા તૂટતી નજરે પડી રહી છે. વારંવાર કોમી હિંસાઓ ફેલાઈ રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટને લઈને થયેલા હિંસક તોફાન પછી વહીવટી અને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના ગંભીર બનાવ પછી કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચાં-પાકાં દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તોફાનમાં સામેલ તત્ત્વો સહિત અંદાજે 190 દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, અને તેમને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું.
ગાંધીનગર: બહિયલ ગામમાં ગરબા પર પથ્થર ફેંકનારાઓના ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 186 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી
60 જેટલા આરોપીઓના ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી#Gandhinagar #Bahiyal #Demolition @CMOGuj @sanghaviharsh @GujaratPolice pic.twitter.com/2icg6jfcnv
— Sudarshan ગુજરાત (@SudarshanNewsGJ) October 9, 2025
નોટિસ મળતાં જ દબાણકારોમાં ફફડાટ
તંત્રનો દાવો છે કે આ સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી, અને એક પણ દબાણકારે પુરાવા રજૂ કર્યા નહોતા. પરિણામે ગુરુવારે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝરની મદદથી આ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ 190 દબાણમાંથી રાયપુર ઘમીજ કરોલી રોડ પર 135 અને હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણને નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, અને નોટિસ મળતાં જ દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જેમણે પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.
નવરાત્રિના ગરબા મંડપ પાસે પથ્થરમારો
આ તમામ ઘટનાક્રમની શરૂઆત 24 સપ્ટેમ્બરની મોડી રાત્રે થઈ હતી, જ્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ‘I Love Muhammad’ લખેલા બેનરોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. બહિયલ ગામના એક હિંદુ યુવકે આ પોસ્ટ પર ટિપ્પણી કરી, જેને કારણે સ્થાનિક મુસ્લિમ યુવાનોમાં રોષ ફેલાયો. પરિણામે તેઓએ તે યુવકની દુકાન અને આસપાસની દુકાનોમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી. આ બનાવ પછી નવરાત્રિના ગરબા મંડપ પાસે પથ્થરમારો શરૂ થયો, અને ગામમાં વાતાવરણ તંગ બની ગયું. આ હિંસામાં વાહનોને નુકસાન પહોંચ્યું અને અનેક લોકો ઘાયલ થયા.
બહિયલ ગામ અંદાજે 16થી 17 હજાર વસ્તી ધરાવે છે, જેમાં 70 ટકાથી વધુ મુસ્લિમ સમુદાયના લોકો છે, જ્યારે બાકીના 30 ટકા હિંદુ સમુદાયના છે. આ ઘટના સમુદાયો વચ્ચે તણાવ વધારી શકે તેમ હતી, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
હિંસક તોફાનની ઘટના બનતાંની સાથે જ પોલીસ તંત્ર સક્રિય બની ગયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢીને ઘટનાનું રિકસ્ટ્રક્શન પણ કર્યું હતું. તોફાન પછી બરેલી-યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શનની માંગ ઊઠી હતી, જેને પગલે તંત્રે આ કાર્યવાહી કરી છે.
સરપંચનું રાજીનામું
આ તમામ ઘટનાક્રમ વચ્ચે બહિયલની મહિલા સરપંચ અફસાનાબાનુ સજ્જાદહુસૈન ચૌહાણે ‘અગમ્ય કારણોસર’ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યું હતું. સરપંચના આ અચાનક નિર્ણયથી ગામ આગેવાન વિનાની સ્થિતિમાં મુકાઈ ગયું છે અને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગાંધીનગરથી 40 કિલોમીટર અને દહેગામથી 15 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ હવે શાંતિના માર્ગે આગળ વધી રહ્યું છે, પરંતુ આ ઘટનાએ સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સમુદાયિક તણાવના મુદ્દાઓને ઉજાગર કર્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આગળ પણ કડક પગલાં લેવાની શક્યતા છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો:
Gujarat Politics: શું ખરેખર જીતુ વાઘાણી ગુજરાતના ગૃહમંત્રી બની શકે છે?, શું છે સચ્ચાઈ!
Gujarat Politics: 2002ના ભાજપના ચૂંટણી ઢંઢેરા, ગુજરાતમાં મોદીએ આપેલા વચનો 2025માં પણ કેમ અધૂરા?
BJP Manifesto: ભાજપે વર્ષ 2002માં રજૂ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતિ








