Indian Stock Market : ભારતીય શેરબજારની રૂખ ટૂંકાથી મધ્યમ ગાળે કેવી રહેશે? જાણો આજના સમય મુજબ જોખમો અને પડકારો

ડૉ. જયનારાયણ વ્યાસ

Indian Stock Market : રોકાણકારોને શૅરબજાર ખીણમાં છલાંગ મારતું હોય તેની અનુભૂતિ છેલ્લા એકાદ વર્ષથી સતત કરતા જ રહ્યા છે, એટલે સેન્સેક્સ દૈનિક ધોરણે 500 પોઇન્ટ તૂટે એ પણ આ લોકો પચાવી જાય છે. જગત એના ઘટનાક્રમ પ્રમાણે ચાલે છે એવું શૅરબજારનું પણ છે. શૅરબજાર માટે એવું કહેવાય છે કે, ‘સ્ટોક માર્કેટ એ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે.’ ઊંચાઈ વધતી જાય તેમ હવાનું દબાણ ઘટતું જાય છે પણ અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આ સરખામણીનું શીર્ષાસન કરાવવું પડે. અર્થવ્યવસ્થા સુધરતી જાય તેમ શૅરબજારના સૂચકાંકો હવામાં ઊડવા માંડે અને અર્થવ્યવસ્થા ગોથું ખાય તો એનો આસાર માત્ર આવવાથી આ સૂચકાંકો ખીણમાં કૂદી પડે છે.

શૅરબજાર માટે બીજું કહેવાય છે કે, ‘સ્ટોકમાર્કેટ રાઇઝીસ ઓર ફોલ્સ ઓન ધી પર્સેપ્સન ઑફ હોપ ઓર ફીઅર.’ અર્થાત્ કોઈ સારી ઘટના બનવાની આશા જાગે તો આવા આશાવાદે શૅરબજાર ઊંચકાઈ જાય અને યુદ્ધ, દુષ્કાળ, રાજકીય અસ્થિરતા, મહામારી જેવા ભયના પ્રસંગે એ ધડામ્ કરતું ખીણમાં કૂદી પડે. શૅરબજાર એકદમ ચગ્યું હોય ત્યારે એમાં ઘટાડો આવે તેને કરેક્શન કહેવાય, જે સામાન્ય રીતે સપ્તાહના અંતે આવતો હોય છે, જ્યારે સુધારો આવે તેને રીકવરી કહેવાય છે.

આટલી પ્રાથમિક વાત પછી ૨૫મી જુલાઈ પર પાછા ફરીએ. સેન્સેક્સ આ દિવસે લગભગ 700 પોઇન્ટ ગગડ્યો અને નિફટી 24,850 પોઇન્ટની નીચે પહોંચ્યો. પરિણામે શૅરબજારમાં માતમનો માહોલ છે. અત્યારની પરિસ્થિતિમાં શૅરબજારને અસર કરતાં જે મધ્યમ તેમજ લાંબા ગાળાના પરિબળો છે એ ધ્યાને લેતાં કોઈ પણ લાંબા ગાળાની આગાહી કરવી એ દીવો લઈને કૂવામાં કૂદવા જેવું કામ બની શકે એટલે એ મર્યાદાને ધ્યાનમાં રાખીને આ લેખ મધ્યમ કક્ષાની આગાહી અને તે પણ કંઈક અંશે રૂઢિચુસ્ત સાવચેતી સાથે કરવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલા આપણે શૅરબજાર કેમ તૂટી રહ્યું એનું નિદાન કરતાં એ માટેના કારણો જોઈએ તો કેટલાંક ઊડીને આંખે વળગે એવા કારણો નીચે મુજબ મળી રહે છેઃ

(1) શૅરબજારનો ધબડકો એક વિહંગાવલોકન

(અ) કોર્પોરેટ ક્ષેત્રની આવકો પહેલા ત્રૈમાસિકી ગાળામાં ઘટી તેમાં પણ આઈટી સેક્ટર અગ્રણી છે. આ ગાળા દરમિયાન તાતા કન્સ્લન્ટન્સી સર્વિસીસે ક્વાર્ટર-ઑન-ક્વાર્ટર 0.59 ટકા અને ઇયર-ઑન-ઇય૨1.12 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. 2020 બાદ કોઈ પણ ક્વાર્ટરમાં આ ખરાબમાં ખરાબ પરિણામો છે, જેના કારણે સમગ્ર આઈટી સેક્ટર માટે નિરાશા ઊભી થઈ છે, જે સેન્સેક્સનો મહત્ત્વનો ભાગ છે.
(બ) ટ્રમ્પે જે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે તેના કારણે આખા વિશ્વનું વાતાવરણ ડહોળાયું છે. ભારતની દરખાસ્ત હજુ આખરી થઈ નથી એટલે અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલ શક્યતાઓ નાણાબજા૨ને નબળું બનાવે છે.

(ક) ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત માલ વેચી રહ્યા છે. 2025માં અત્યાર સુધીમાં એમણે એક લાખ કરોડ કરતાં વધુ માલ બજારમાં ફૂંકી માર્યો છે. બીજી બાજુ ડૉલર મજબૂત બની રહ્યો છે અને વિકસિત બજારો સારું વળતર આપી રહી છે, જેનું દબાણ પણ ભારતીય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફટી પર આવ્યું છે.

(ડ) ઉપરોક્ત કારણોસર સેન્સેક્સ અને નિફટી બંનેમાં પ્રેક્ટિકલ વિકનેસ સપાટી પર આવી છે. નિફટીએ 25,000ની સપાટી તોડી છે અને ટેકનિકલ એનાલિસ્ટ મંદીતરફી વાતાવરણ અનુમાનિત કરી રહ્યા છે, જે ‘લૉઅર ટોપ ફોર્મેશન’ તેમજ મંદીસૂચક સ્કેન્ડલ્સ ચાર્ટ શૅરબજાર ઊંચકાય તે માટે જરૂરી ગતિશીલતાનો અભાવ દર્શાવે છે. સેન્સેક્સ 82,000ની સપાટી તોડી નીચે ગયો તે પણ આમાંનું એક કારણ છે.

(ઈ) વૈશ્વિક તેમજ ઘરઆંગણાની આર્થિક પરિસ્થિતિ નકારાત્મક છે. ઇરાકમાં પુરવઠો ખોરવાવો તેમજ નાટો દેશોનો રશિયામાંથી ક્રૂડ ઑઇલ આયાત કરવા ઉપર પ્રતિબંધ ભારત જેવા ક્રૂડ તેલની મોટાપાયે આયાત કરનાર દેશોને ઘટતા પુરવઠે વધનાર ભાવની આશંકાએ બજારને સળગાવ્યું છે. અમેરિકામાં અર્થવ્યવસ્થા ધીમી પડશે તેવો ભય અને ત્યાં વ્યાજદરો વધશે એવી માન્યતાને કારણે પણ મંદીતરફી પરિબળોને વેગ મળે છે.

(ફ) ટીસીએસ (-3.47 ટકા) મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા (-2.83ટકા) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (-1.46 ટકા) જેવા ઊંચા મૂલ્યના ભારેખમ શેરો શૅરબજારને મંદી તરફ ધકેલવા માટે જવાબદાર દેખાય છે.

(૨) ભારતીય શૅરબજારમાં મધ્યમ ગાળે શું રૂખ રહેશે?

ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં આવનાર ત્રણથી છ મહિનાના મધ્યમ ગાળા માટે શૅરબજારની રૂખ શું રહેશે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

(૧) હકારાત્મક પરિબળો : હકારાત્મક પરિબળોમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ ગણી શકાય.

(અ) ભારતીય અર્થવ્યવસ્થા અવરોધો સામે પણ ઝીંક ઝીલીને આગળ વધી રહી છે. મધ્યમ સમયગાળામાં જીડીપીનો વિકાસદર 6.4 ટકાનો અંદાજવામાં આવે છે એવું ‘ફીચ રેટીંગ્સ’ કહે છે. ઘરઆંગણાની તંદુરસ્ત માંગ, ઉત્પાદન ક્ષેત્રમાં સુધારો અને બજારની સ્થિરતા આપે તેવા પરિબળો માટે સાનુકૂળ નીતિ આના મુખ્ય કારણો છે.

(બ) ઘરઆંગણાનો સંસ્થાકીય ટેકો અને રોકાણ, ખાસ કરીને રીટેઇલ ક્ષેત્રે તેમની સાનુકૂળ રોકાણ નીતિઓ, વિદેશી સંસ્થાકીય રોકાણો, જે માલ વેચી રહ્યા છે તે પ્રેશર સામે ઘરઆંગણાના રોકાણકારોને પ્રોત્સાહન આપે છે. આ પરિસ્થિતિ ચાલુ રહે તો ધીમી પણ મક્કમ ગતિએ શૅરબજાર સુધરે.

(ક) કેટલાંક પાયાના ફેક્ટર્સ, જેવા કે બૅન્કિંગ તેમજ ઇન્ફ્રાસ્ટક્ચર ક્ષેત્રે ડાયરેક્ટ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ તેમજ કેટલાંક એફપીઆઈ જેવા કારણો લઈને આવનાર મહિનાઓમાં બૅન્કિંગ તેમજ ઇન્ફ્રાસ્ટક્ચર ક્ષેત્રે ચમક આવે એવી શક્યતાઓ નકારી શકાય નહીં.

(ડ) તાજેતરમાં આપણે ભારતીય શૅરબજારમાં જે કરેક્શન જોયા છે, તેને સ્વીકારીને પણ મોર્ગન સ્ટેન્લી જેવી વૈશ્વિક બ્રોકરેજ સંસ્થાઓ ભારત માટે તેજીતરફી વલણ ધરાવે છે અને ટૂંકાથી મધ્યમગાળાનો સેન્સેક્સ ડિસેમ્બર, 2025સુધીમાં 93,000 ની સપાટીને સ્પર્શે તેવું કહે છે. જોકે નાણાકીય વર્ષ 2027 એટલે કે તા. 1 એપ્રિલ, 2027 થી 31 માર્ચ, 2028ના ગાળામાં સેન્સેક્સ 1,00,000નો જાદુઈ આંકડો પાર કરી શકે છે.

(૨) આજના સમય મુજબ જોખમો અને પડકારો:

(અ) હાલની પરિસ્થિતિમાં પહેલું જોખમ એ વૈશ્વિક અનિશ્ચિતતાઓ, ખાસ કરીને ટ્રમ્પના ટેરિફ વૉરને કારણે બીજી અર્થવ્યવસ્થાઓ સામે લેવા માંડેલ પગલાં અને તેની અસરો, દા.ત. એક આધારભૂત સમાચાર મુજબ નાયરા, રિલાયન્સ તેમજ અન્ય ભારતીય રિફાનરીઓને રશિયન ક્રૂડ ઑઇલ ન મળવાને કારણે ઊભી થનાર પરિસ્થિતિ. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઊભી થયેલ અનિશ્ચિતતાઓ તેમજ મંદી ભારતના નિકાસ ઉપર આધારિત ક્ષેત્રો જેવા કે, આઈટી સેક્ટરને અસર કરી શકે.

(બ) નિફટીનો હાલનો પીઈ રેશિયો 22.6 છે, જે અગાઉના બે વર્ષોની સરેરાશ ૨૨.૩ કરતાં ઉપર છે. આના કારણે પણ નિફટીના કેટલાંક શૅરોમાં કરેક્શન આવી શકે.

(ક) ફોરેન ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સનું વેચાણ, ડૉલરનું મજબૂત બનવું તેમજ વિકસિત બજારોમાં મળતું પ્રમાણમાં ઊંચું વળતર પણ ભારતીય શૅરબજારમાં ઊઠબેસ કરાવી શકે છે.

(ડ) ફુગાવો અને વ્યાજદર: ઊર્જાની વધતી જતી કિંમતોને કારણે ફુગાવાજન્ય પરિબળોને વેગ મળે તે ઉપરાંત વિશ્વભરના સેન્ટ્રલ બૅન્કર્સ પોતાના રેપોરેટ વધારી રહ્યા છે જે ભારતીય રિઝર્વ બૅન્કને પણ પોતાની નાણાનીતિ વૈશ્વિક પ્રવાહો સાથે વિચારથી અને કાંઈક અંશે મજબૂત કરી શકે છે.

સમાપનઃ

(અ) ઉપરોક્ત ચર્ચા તેમજ અન્ય વિગતો જોતા બૅન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રે તેજી જોઈ શકાય. જ્યારે રોકાણકારોએ આઈટી અને ઑટો સેક્ટર્સ જેવા ક્ષેત્રે સાવચેત રહી રોકાણ કરવું. આ ઉપરાંત કન્ઝ્યુમર ડ્યૂરેબલ અને રિઅલ્ટી ક્ષેત્રો પણ દબાણ હેઠળ રહેશે એવું લાગે છે.

લાંબા ગાળાના રોકાણકારોએ મોટા ઘટાડે ખરીદીનું વલણ સારા મેનેજમેન્ટ તેમજ વળતર આપતી કંપનીઓમાં રાખવું, જ્યારે નિફટી કે સેન્સેક્સ ઉપર આધારિત રહી રોકાણ કરવાને બદલે ચોક્કસ શૅર ઉપર આધારિત રહી સમજદારીપૂર્વક રોકાણ કરવું જરૂરી જણાય છે. આવનાર 3થી6 મહિનાના ગાળા દરમિયાન ભારતીય શૅરબજારમાં એ૨પોકેટ્સ આવતા રહેવાના અને બમ્પ આવતા રહેશે તેની કાળજી રાખવી.
છેલ્લે, આ લેખ એક અભ્યાસલેખ તરીકે લખ્યો છે, જેનો મુખ્ય હેતુ એકેડેમિક ઉપરાંત લેખકના વિચારો રજૂ કરવાનો છે. કોઈ પણ રોકાણકારે રોકાણ કરતા પહેલા પૂરતી કાળજી લેવી અને સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ એક્ષપર્ટ્સની સલાહ બાદ જ રોકાણ કરવું એવી સ્પષ્ટ સલાહ છે.

આ પણ વાંચો:  

Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ

Rajasthan: જીંદગીથી હારી ગયો જળસમાધિ લઈ રહ્યો છું, વીડિયો બનાવી યુવક નદીમાં કૂદી ગયો

સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા | C.P. Radhakrishnan

Related Posts

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!
  • March 19, 2026

PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર…

Continue reading
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!