
જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં સિઝનનો 165 ટકા કરતાં વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી નથી. સાથે જ ગત ઓક્ટોબર માસમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોને ભારે નુકસાન થતાં સહાય ન ચૂકવવામાં આવતાં ખેડૂતોને જાણી જોઈને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાના AAP કાર્યકર રાજુભાઈ કરપડા દ્વારા આક્ષેપ કરાયા છે. આજે માળિયા તાલુકામાં AAP કાર્યકરોએ ભારે હોબાળા સાથે ખેડૂતોને સહાય ચૂકવવા ઉગ્ર માગ કરી છે. તેમણે સરકારને નાણાં મોકલવા બજારમાં ભીખ માગી છે. ભીખ માગી પાર્ટીએ ખેડૂતોને સહાય ચૂકવવા માગ કરી છે.
મામલતદાર મારફતે સરકારને નાણાં મોકલી વિરોધ
સરકાર પાસે સહાય ચૂકવવા માટે પૈસા ન હોય તો માળીયાની મેઈન બજારમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને સાથે રાખી ભીખ માંગી પૈસા એકત્રિત કરી મામલતદાર મારફત સરકારને મોકલવાનો પ્રયત્ન કરાયો છે.
માત્ર બારદાન નહીં હોવાથી છેલ્લા 14 દિવસથી માળીયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર બંધ છે જેનાથી ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, ત્યારે માળીયાની બજારમાં બારદાન માટે પણ ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા ભીખ માંગી આજે મામલતદાર મારફતે સરકારને બારદાન તેમજ રોકડ રકમ અપવામાં આવી છે. જે રકમ સરકારને પહોંચાડવામાં આવશે.
આ તકે આપ કાર્યકર અને કિસાન નેતા રાજુભાઈ કરપડા, જુનાગઢ જિલ્લા સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, પિયુષભાઈ પરમાર, સહિત સ્થાનિક કાર્યકરો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચોઃ કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ: ગાંધીનગર શિક્ષણ વિભાગની તપાસ