
વર્ષોથી રાજકારણીઓનાં “વ્હાલા” લલ્લા બિહારી 6 દિવસના રિમાન્ડ પર । ચંડોળામાં કુલ 190 બાંગ્લાદેશી ઝબ્બે

અમદાવાદ । પહેલગામ આતંકવાદી હુમલા બાદ સફાળી ઘોર નિંદ્રામાંથી જાગેલી ગુજરાત પોલીસ હાલ બાંગ્લાદેશીઓને શોધવા માટે ભારે દોડધામ કરી રહી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની માત્ર કહેવા પૂરતી સંવેદનશીલ સરકાર હાલ બાંગ્લાદેશીઓના નામે ગરીબ ભારતીયોને પણ ઘર વિહોણા કરી રહી છે. આ સંજોગોમાં ચંડોળા તળાવમાંથી અત્યાર સુધીમાં 190 બાંગ્લાદેશીઓ પકડી પાડ્યા હોવાનું જણાવી પોલીસ કમિશનરે જાતે જ પોતાની પીઢ થાબડી લીધી છે.
190 બાંગ્લાદેશીઓને પકડવા માટે 4000 જેટલા મકાનો દૂર કરીને તંત્રએ દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરી છે. અને આ તો માત્ર પહેલા ફેઝની કામગીરી છે. હજી આગળ પણ આવી કામગીરીઓ થતી રહેશે.
ચંડોળા તળાવ વિસ્તારમાં છેલ્લાં લગભગ ત્રણ કરતાં વધુ દાયકાઓથી સામ્રાજ્ય ઉભુ કરનાર લલ્લા બિહારીએ પર હાલ બાંગ્લાદેશીઓને મદદ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. જોકે, આટલાં વર્ષોથી ચૂંટણીઓ ટાણે લલ્લા બિહારીએ અનેક રાજકારણીઓના ઈશારે કામ કર્યું હોવાની વિગતો પણ ચર્ચામાં છે જ. આ બધાંની વચ્ચે આજે લલ્લા બિહારીને પોલીસે ભદ્ર કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. પરંતુ, વકીલોને દલીલો સાંભળ્યા બાદ કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
નારાયણ સાંઈની જેલ આઈજી સામેની અરજી હાઈકોર્ટે ફગાવી

અમદાવાદ । દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાને પગલે જેલમાં બંધ નારાયણ સાંઈએ 27 જાન્યુઆરી 2025ના રોજ ફર્લો રજાની માંગણી કરતી અરજી કરી હતી, જેને જેલના આઈજીએ નકારી કાઢી હતી. જેલ આઈજીના નિર્ણયને નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
નારાયણ સાંઈએ હાઈકોર્ટને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, છેલ્લાં 12 વર્ષથી પોતાના પિતા આસારામને જોયાં નથી. આ સહિતની વિગતો સાથે ફર્લો રજા આપવાનો નિર્દેશ કરવા જણાવાયું હતું. જોકે, હાઈકોર્ટે સરકારી વકીલની દલીલો બાદ નોંધ્યું હતું કે, અરજદાર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે. અગાઉ તે શાહેદોને ધમકાવી ચૂક્યો છે અને હુમલો પણ કરાવી ચુક્યો છે. સરકારી અધિકારીઓને લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો છે. જેલમાં પણ અરજદારની વર્તણુંક યોગ્ય નથી. જેલમાં અયોગ્ય વર્તનને પગલે તેને સજા પણ કરવામાં આવી છે. તેથી તેને જેલ મુક્ત કરવો યોગ્ય જણાતું નથી.
સુરતમાં મધ્યપ્રદેશની 19 વર્ષિય મોડલનો ગળે ફાંસો ખાઈ આપઘાત

સુરત । મધ્ય પ્રદેશની વતની અને હાલ સુરતના સારોલી કુંભારિયા ગામમાં મકાન રાખી અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી 19 વર્ષિય સુખપ્રીત લખવિંદરસિંહ કૌરે રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. ચાર – પાંચ દિવસ પહેલાં જ મધ્ય પ્રદેશથી સુરત આવેલી યૂવા મોડેલના આપઘાત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
છેલ્લાં બે દાયકાથી રાજકોટમાં વસી ગયેલાં 3 પાકિસ્તાની પોલીસે ઝડપી પાડ્યાં

રાજકોટ । મોદી મહારાજના માર્ગદર્શનને પગલે દેશમાં માત્ર એકલાં એક્શનમાં આવેલા ભૂપા દાદા હાલ બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ શોધીને કામગીરી કર્યાનો સંતોષ અનુભવી રહી છે. ત્યારે, રાજકોટના લોધીકા તાલુકામાં ગેરકાયદે વસવાટ કરતાં પાકિસ્તાનીઓ અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી.
જેને પગલે તેઓએ લોદીકા પહોંચી તપાસ કરતાં લગભગ બે દાયકા જેટલાં સમયથી 50 વર્ષિય રિઝવાનાબહેન મુનાફભાઈ ટાટારીયા ઉપરાંત 29 વર્ષિય ઝીશાન મુનાફભાઈ ટાટારીયા અને તેનો સગીર વયનો પુત્રને ઝડપી પાડવામાં આવ્યો હતો. રિઝવાનાના પુત્ર ઝીશાને વર્ષ 2021માં ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હતાં. તેઓને એક દિકરો થયો છે જે બે વર્ષનો છે.
પરીક્ષામાં ચોરી કરવા બોલપેન પર પેન્સિલથી જવાબ લખનાર 3 વિદ્યાર્થી પકડાયાં

સુરત । વલસાડ અને નવસારી જિલ્લાની કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે ફ્લાઈંગ સ્ક્વોડે વિચિત્ર રીતે ચોરી કરવાનો કિમીયો કરનાર વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતાં. પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થી સામાન્ય લાગતી પેન પર ઝીણાં અક્ષરમાં જવાબો લખી લાવ્યાં હતાં. પેન ઉપર પેન્સિલથી ઝીણાં અક્ષરોમાં જવાબો લખ્યાં હતાં. જેથી બાદમાં તે ભુંસી શકાય. જોકે, ભણવાને બદલે ચોરી કરવા માટે કલાકો મહેનત કરનાર ત્રણેય વિદ્યાર્થીઓ ચોરીની પરીક્ષામાં નાપાસ થઈ ગયા હતાં.
આ પણ વાંચોઃ
Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા
Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?
Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર
ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal
Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે









