
પાલનપુર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી માટે પાલનપુરમાં બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ નવીન પાર્ટીના કાર્યકરો જોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આગામી ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શક્યતા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રચેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની નિયુક્તિ કરાઈ હોવાની જાહેરાત કરી હતી.
આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ, કારણ કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય. ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ નથી. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લોકો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટી વાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિધાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા અનેક વીડિયો અવારનવાર વાયરલ થતા રહ્યા છે. તેથી સ્વભાવિક રીતે જોઈએ તો, શંકરસિંહ ક્યાંકને ક્યાંક સત્ય બોલી રહ્યા છે કે, ગુજરાતમાં ગામે ગામ અને દરેક શહેરોમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. વેપલા પાછળ બુટલેગર અને પોલીસ બંનેની સરખી ભૂમિકા જોવા મળતી હોય છે. કેમ કે પોલીસની પરવાનગીથી જ મોટા ભાગના બે નંબરના ધંધા ફૂલતા ફેલતા હોય છે. તો સરકારે કડક પગલા ભરીને દારૂબંધીને વધારે કડક કરવી જોઈએ, ન કે દારૂબંધી હટાવી દેવી જોઈએ.
જણાવી દઇએ કે, પાલનપુર પહોંચેલા શંકરસિંહ વાઘેલાએ તેમની નવીન પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને સક્રિય કરવાનું કામ શરૂ કર્યું છે. અહીં ગુજરાત અધ્યક્ષ રિદ્ધિરાજસિંહની ઉપસ્થિતમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે લાખણીના દોલાભાઈ ખાગડાની વરણી કરી અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.